ગુજરાતની નવી ભૂપેન્દ્ર પટેલ (Bhupendra Patel) સરકારની પ્રથમ કસોટી ગુજરાત વિધાનસભામાં (Gujarat Legislative Assembly) યોજાય તેવી સંભાવના છે. આગામી 27 અને 28મી સપ્ટેમ્બરના રોજ મળનારા ગુજરાત વિધાનસભાના દ્વિદિવસીય ચોમાસુ સત્રમાં વિપક્ષ સરકારને વિવિધ મુદ્દે ઘરવાનો પ્રયાસ કરશે, જ્યારે રાજ્ય સરકાર વિવિધ બિલ પસાર કરવાની સાથેસાથે કેટલીક નવી જાહેરાતો કરે તેવી સંભાવના છે. વિધાનસભાના આ ચોમાસુ સત્રમાં અધ્યક્ષપદે નીમાબહેન આચાર્ય સર્વાનુમતે ચૂંટાય તેવી સંભાવના છે. ગુજરાતના રાજકીય ઈતિહાસમાં પહેલીવાર વિધાનસભાના અધ્યક્ષપદે મહિલા ચૂંટાઈ આવશે.
અગાઉ વિધાનસભાના ચોમાસુ સત્રને લઈને સત્તાપક્ષ અને વિપક્ષી સભ્યોની બનેલી કામકાજ સલાહકાર સમિતીની બેઠક યોજાઈ હતી. જેમા બે દિવસના કામકાજની રૂપરેખા ઘડવામાં આવી છે. સરકાર વતી વિધાનસભાના ચોમાસુ સત્રમાં ચાર બીલ પસાર કરવામાં આવે તેવી સંભાવના છે.
ક્યા બિલ પસાર થશે
૧) ગુજરાત પ્રોફેશનલ મેડિકલ કોલેજ અને ઈંસ્ટીટ્યુશન એક્ટ
૨) ગુજરાત ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ
૩) ગુજરાત ખાનગી યુનિવર્સીટી વિધેયક
૪) ઇંડિયન પાર્ટ્નરશીપ એક્ટ
સરકારને ઘેરવા વિપક્ષે બનાવી રણનીતિ
ગુજરાતમાં નવી અસ્તિત્વમાં આવેલ ભૂપેન્દ્ર પટેલની સરકારને ઘેરવા માટે વિપક્ષે પણ તૈયારીઓ કરી હોવાનુ જાણવા મળ્યુ છે. જેમાં મુખ્યત્વે રાજ્યમાં અતિવૃષ્ટિ સામે વળતર, કોરોના મૃતકોના પરિજનોને રાજ્ય તરફથી સહાય કે વળતર, શિક્ષણ જગતને લગતા પ્રશ્નો,પેટ્રોલ-ડીઝલના વધતા જતા ભાવ, બેરોજગારી, સરકારી નોકરીની ભરતી સહીતના મુદ્દે ચર્ચા કરીને સરકારને ઘેરવામાં આવી શકે છે.
ઉલ્લખનીય છે કે ગુજરાત વિધાનસભાના ઈતિહાસમાં આ એવુ પ્રથમ સત્ર હશે કે જ્યા સૌ પ્રથમવાર મહિલાને વિધાનસભાના અધ્યક્ષ બનાવવામાં આવશે. ગુજરાતમાં આનંદીબહેન પટેલ પહેલા મહિલા મુખ્યપ્રધાન બન્યા હતા. તે જ રીતે કચ્છના નીમાબહેન આચાર્ય ગુજરાત વિધાનસભાના પહેલા મહિલા અધ્યક્ષ બનવાનું ગૌરવ અનુભવશે.
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષપદની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે ભુજના ધારાસભ્ય નીમાબેન આચાર્યએ પોતાનું ઉમેદવારી ફોર્મ ભરી દીધું છે. નીમાબેન આચાર્યએ પૂર્વ વિધાનસભા અધ્યક્ષ અને હાલ રાજ્યના કેબીનેટ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીનું હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતુ. ગુજરાતની રાજકીય પરંપરા અનુસાર વિપક્ષ પોતાનો કોઈ ઉમેદવાર અધ્યક્ષપદ માટે ઉભા રાખતા નથી. વિધાનસભાના અધ્યક્ષની ચૂંટણી સર્વાનુમતે થતી આવી છે. આથી નીમાબેન આચાર્ય બિનહરીફ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ચૂંટાઈ આવશે એ નક્કી છે.