દેશના ઉપરાષ્ટ્રપતિ એમ. વૈંકેયા નાયડુ (Vice President Venkaiah Naidu ) ગુજરાત પ્રવાસે છે ત્યારે તેમણે સૌ પ્રથમ દ્વારકા ખાતે પહોંચીને જગત મંદિરે દ્વારકાધિશના દર્શન કર્યા હતા. દ્વારકા હેલિપેડ ખાતે તેમનું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ સ્વાગત કર્યું હતું. બાદમાં તેમણે પરિવારજનો સાથે દ્વારકિધિશના દર્શન કર્યાં હતા. શ્રાવણ માસમાં દેવદર્શનનું અનેરું મહત્વ છે ત્યારે તેઓ પરિવાર સાથે ભગવાન દ્વારકાધીશ તેમજ સોમનાથ મહાદેવના દર્શને આવ્યા છે. દરમિયાન તેઓ પોરબંદરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિમંદિરની પણ મુલાકાત લીધી હતી અને મહાત્મા ગાંધીજીને તેમના જન્મસ્થળે શ્રદ્ધાસુમન અર્પણ કર્યાં હતા. તેમણે નાગેશ્વર જ્યોર્તિલિંગના (Nageshwar Jyotirling) પણ દર્શન કર્યા હતા.
ઉપરાષ્ટ્રપતિ એમ. વેંકૈયા નાયડુ જ્યારે નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શનાર્થે પધાર્યા ત્યારે સ્થાનિક કલાકારોએ તેમનું પારંપરિક વેશભૂષામાં નૃત્ય રજૂ કરીને સ્વાગત કર્યું હતું. નાગેશ્વર મહાદેવ ખાતે ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ તેમના ધર્મપત્ની ઉષાબહેન સાથે વિશેષ પૂજન-અર્ચના કરી હતી.
દ્વારકાધીશનાં દર્શન કરી હવાઈ માર્ગે પોરબંદર (Porbandar) એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા.જ્યાં પોરબંદર એરપોર્ટ ખાતે તેઓનું રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, જિલ્લા પંચાયતના પ્રમુખ, પોરબંદર કલેક્ટર અશોક શર્મા તથા પોરબંદર એસ.પી. ડો. રવિ મોહન સૈની સહિતના વરિષ્ઠ અધિકારીઓએ સ્વાગત કર્યું હતું. તેમજ પોરબંદરમાં મણિયારા રાસ દ્વારા પારંપરિક વેશભૂષામાં ઉપરાષ્ટ્રપતિનું સપરિવાર સ્વાગત કરવામાં આવ્યું હતું.
પોરબંદરમાં મહાત્મા ગાંધીજીના જન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લઈ પૂજ્ય બાપુને શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા. કીર્તિ મંદિર ખાતે ઉપરાષ્ટ્રપતિનું સુતરની આંટીથી શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી, કલેકટર અશોક શર્મા સહિતના મહાનુભાવોએ સ્વાગત કર્યું હતું. ઉપરાષ્ટ્રપતિએ વિઝિટર્સ બુકમાં નોંધ લખીને હસ્તાક્ષર કર્યા હતા.
Published On - 7:05 pm, Sat, 6 August 22