Devbhoomi Dwarka: જગત મંદિરના પરિસરની આસપાસ ગંદકીનું સામ્રાજ્ય, તંત્ર ક્યારે આપશે ધ્યાન?
મંદિરમાં બધી જ વ્યવસ્થા સારી છે, પરંતુ મંદિરની આગળ ફેલાયેલી ગંદકીના કારણે મંદિરની શોભા બગડી ગઈ છે. રાજ્યના તો ઠીક પરંતુ બીજા રાજ્ય અને બીજા દેશોમાંથી આવતા લોકો વ્યવસ્થા તંત્ર સામે સવાલ કરે તેવી સ્થિતિ છે, ત્યારે જાણે સ્થાનિક તંત્રને તો કઈ અસર જ ના હોય તેમ ગંદકી જોવા છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા વિશ્વ વિખ્યાત જગત મંદિરના દર્શન કરવા વર્ષે લાખો લોકો દેશ વિદેશથી આવતા હોય છે, ત્યારે અહીં વધારે ને વધારે સુવિધા વિકસે તે જરૂરી છે. જોકે અહીં મંદિરના પરિસરમાં સાવ સામા છેડાની બાબત જોવા મળે છે, જ્યાં દેશ વિદેશના દર્શનાર્થીઓ આવતા હોય ત્યાં વિશેષ સુવિધાની વાત તો દૂર પરંતુ મંદિરની સામે જ ગંદું પાણી વહેતુ જોવા મળી રહ્યું છે. દ્વારકાનું જગતમંદિર આજકાલ ગંદકીથી ખદબદી રહ્યું છે. જગત મંદિરે દરરોજ હજારો દર્શનાર્થીઓ આવે છે અને તેઓ ગંદા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે. મંદિરના મુખ્ય દ્વાર પાસેથી જ ગટરનું ગંદુ પાણી વહેતું હોવાના કારણે શ્રદ્ધાળુઓમાં રોષ વ્યાપ્યો છે. પ્રવેશ દ્વાર ઉપર જ ગંદકી હોવાના કારણે લોકો ગંદકીમાંથી પસાર થઈને દ્વારિકાધીશના મંદિર સુધી પહોંચવા માટે મજબૂર બન્યા છે.
સ્થાનિક તંત્રના આંખ આડા કાન
મંદિરમાં બધી જ વ્યવસ્થા સારી છે, પરંતુ મંદિરની આગળ ફેલાયેલી ગંદકીના કારણે મંદિરની શોભા બગડી ગઈ છે. રાજ્યના તો ઠીક પરંતુ બીજા રાજ્ય અને બીજા દેશોમાંથી આવતા લોકો વ્યવસ્થા તંત્ર સામે સવાલ કરે તેવી સ્થિતિ છે, ત્યારે જાણે સ્થાનિક તંત્રને તો કઈ અસર જ ના હોય તેમ ગંદકી જોવા છતાં તંત્ર જાણે આંખ આડા કાન કરી રહ્યું છે. રાજ્ય અને કેન્દ્ર સરકાર પૌરાણિક તીર્થસ્થાનો અને દેવાલયો, નદીઓ અને સંગમોના વિકાસ માટે હરણફાળ ભરી રહી છે. પરંતુ અહીં ઉલ્ટી ગંગા છે. તંત્રની અણઆવડતના કારણે ભક્તોમાં રોષ જોવા મળી રહ્યો છે.
પ્રાચી તીર્થમાં પણ જોવા મળે છે ગંદકીનું પ્રમાણ
બીજી તરફ ગીર સોમનાથમાં આવેલા પ્રાચી તીર્થમાં પણ ગંદકીના ઢગ જોવા મળે છે, અહીં પિતૃતર્પણ કરવા આવતા ભાવકો માટે સ્નાન કરવા પણ ચોખ્ખુ પાણી મળતું નથી. ગુજરાતીમાં લોકવાયકા છે, 100 વાર કાશી એકવાર પ્રાચી ત્યારે પૌરાણિક શાસ્ત્રોક્ત રીતે આપણા વેદો અને પુરાણોમાં પ્રાચી તીર્થનું અનેરૂ મહત્વ છે. પરંતુ પુરાણ પ્રસિદ્ધ પ્રાચી તીર્થ ગંદકીના ગંજમાં ફેરવાયું છે. ત્યારે દેશ વિદેશના યાત્રિકો અને સ્થાનિકો ઇચ્છી રહ્યા છે કે પ્રાચી તીર્થ અને સરસ્વતી નદીની વ્યવસ્થિત સફાઈ કરવામાં આવે જેથી તીર્થધામની ગરિમા જળવાઈ રહે.