દાહોદની (dahod) સરોરી પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજનમાંથી (Midday meal) જીવાત નીકળી હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને મધ્યાહન ભોજનમાં આપવામાં આવતા ભાતમાં ઇયળો દેખાતા વિદ્યાર્થીએ આચાર્યને જાણ કરી હતી. મધ્યાહન ભોજનના ફાળવેલા જથ્થામાંથી જીવાત નીકળતા વાલીઓ અને ગ્રામજનોમાં ઉગ્ર રોષ ફેલાયો છે. વારંવાર તંત્રની બેદકારીના પગલે(Negligence) બાળકોના આરોગ્ય સાથે ચેડા થઈ રહ્યા છે. છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. તેવો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
નવાઈની વાત તો એ છે કે શાળાના આચાર્ય તેમજ શિક્ષકોએ એક સમિતિ બનાવી છે, જેમાં બાળકોને આપવામાં આવતા ભોજનની ગુણવત્તા ચેક કરવામાં આવે છે. છતાં રાંધેલા ભાતમાં જીવાત નીકળતા બાળકોના વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આ ઘટના સામે આવ્યા બાદ તંત્રએ નવો જથ્થો ફાળવવાનો રાગ આલોપ્યો છે.