દાહોદ (Dahod) જિલ્લામાં ગઇકાલે એટલે કે 31 જુલાઇના રોજ મંગલમહુડી લીમખેડા વિભાગ હેઠળના મંગલમહુડી યાર્ડમાં OHE વાયર તૂટીને રેલવેની (railway) અપ લાઇન પર પડ્યા હતા. 10.45 કલાકે આ ઘટના ઘટી હતી. જેના પગલે અપ ડાઉન લાઇન ટ્રેન ટ્રાફિક (Train traffic) માટે બંધ કરવામાં આવી હતી. આ મામલાની માહિતી મળતાં જ ડિવિઝનલ રેલવે મેનેજર વિનીત ગુપ્તા અને અન્ય રેલવે અધિકારીઓ ડિવિઝનલ કંટ્રોલ રૂમમાં પહોંચ્યા હતા. રતલામથી તરત જ વરિષ્ઠ ડિવિઝનલ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર (ટ્રેક્શન) ટાવર વેગન અને સ્ટાફ સાથે પણ સ્થળ પર પહોંચી ગયા. જે પછી ડાઉન ટ્રેક લાઇન 12.43 કલાકે પુનઃસ્થાપિત કરવામાં આવી, તો અપ લાઇન 05.58 કલાકે શરૂ થઈ. આ દરમિયાન આ સેક્શનમાં ઘણી ટ્રેનોને અસર થઈ હતી.
મહત્વનું છે કે દાહોદ (Dahod) જિલ્લામાં પહેલેથી જ મુસાફરોને કેટલીક ટ્રેનોને સ્ટોપેજ ન મળતા સમસ્યા નડી રહી હતી. ત્યારે હવે આ સમસ્યાના કારણે લોકોને વધુ હાલાકી ભોગવવી પડશે. ત્રણ દિવસ પહેલા જ રેલવે રાજ્ય મંત્રીની મુલાકાતે પહોંચ્યાં હતાં અને દાહોદ જિલ્લા સાંસદ દ્વારા ચાર જેટલી ટ્રેનોમાં એક – એક કોચ વધારવા માટે રેલ રાજ્ય મંત્રીને રજુઆત કરવામાં આવી હતી. ટ્રેનો બાબતે અગાઉ પણ રજૂઆતો કરેલી છે.
કોરોના કાળ દરમ્યાન ખાસ કરીને ટ્રેનો ઉપર ખાસી અસર જોવા મળી હતી ત્યારે દાહોદ જિલ્લાની વાત કરીએ તો દાહોદ જિલ્લાના મુખ્ય મથક એવા દાહોદ રેલ્વે સ્ટેશન ખાતે પણ કોરોના બાદ ઘણી એવી ટ્રેનોનું હાલ સુધી સ્ટોપેજ નથી મળ્યું. આ માટે અગાઉ દાહોદ જિલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર દ્વારા રેલ મંત્રી સહિત દિલ્હી સુધી આ મામલે રજુઆતો કરવામાં આવી હતી.
(વીથ ઇનપુટ- પ્રિતેશ પંચાલ, દાહોદ)