સુરત: બળદેવ સુથાર
સુરતના બિલ્ડર રાજુ રવજીભાઈ દેસાઈ દ્વારા લસકાણા ગામની સીમમાં સિદ્ધિવિનાયક ગ્રીન નામથી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. જે પ્રોજેક્ટમાં 17 બિલ્ડિંગોમાં 314 રહેણાંક ફ્લેટનું બાંધકામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ માટે રાજુ દેસાઈ દ્વારા બીટકોઈન કેસમાં સંડોવાયેલા આરોપી શૈલેષ ભટ્ટ તેમજ વિજય ખોખરીયા નામના વ્યક્તિ પાસેથી વર્ષ 2015માં 1.5 ટકાના વ્યાજે રૂપિયા 4 કરોડ જેટલી રકમ વ્યાજ પેટે લીધી હતી. જો કે બાદમાં 1.5 ટકાના બદલે 4.30 ટકાનું વ્યાજ વસૂલ કરવા બળજબરીપૂર્વક શૈલેષ ભટ્ટ તેમજ વિજય ખોખરીયા દ્વારા દબાણ કરવામાં આવતું હતું. બિલ્ડર રાજુ દેસાઈ પર દબાણ કરાતા શૈલેશ અને વિજય ખોખરીયાએ કબ્જા વગરનો રજિસ્ટર સાટાખત કરાવી લીધો હતો. જે બીટકોઈન આરોપી શૈલેષ ભટ્ટના ભાણેજ નિકુંજ ભટ્ટના નામે લખાણ કરાવી લેવામાં આવ્યો હતો.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જો કે બિલ્ડર રાજુ દેસાઈએ મૂળ મુદ્દલ સામે વ્યાજ સહિત 6 કરોડ જેટલી રકમ પણ ચૂકવી દીધી હતી. પરંતુ બાદમાં શૈલેષ ભટ્ટ દ્વારા રાજકોટ ગોંડલના માથાભારે અનિરુદ્ધ સિંહ ઉર્ફે અનિરૂદ્ધ સિંહ રીબડા મહિપતસિંહ જાડેજા તેમજ ટોળકીના સભ્યોને બિલ્ડર રાજુ દેસાઈ પાસેથી વધુ રૂપિયા 25 કરોડ કઢાવી લેવા માટે સોપારી આપવામાં આવી હતી. જે માટે સૌરાષ્ટ્રના અનિરુદ્ધસિંહ જૂનાગઢ ખાતે રહેતા પોતાના માણસો સલીમ ઈબ્રાહીમ ઠેબા, સાજીદ સુલતાન થેબા, હનીફ અલ્લારખા દરઝાદા શહીદ ઉમર કાસમ પટનીને સુરતના લસકાણા ખાતે આવેલી બિલ્ડર રાજુ દેસાઈની બાંધકામ સાઈટ પર ફેબ્રુઆરી માસમાં બેસાડી કબજો જમાવી લેવામાં આવ્યો હતો. ત્યારબાદ બે દિવસ અગાઉ શબીર નામના ઈસમે રિવોલ્વર બતાવી જાનથી મારી નાખવાની ધમકી રાજુ દેસાઈને આપી હતી. સાથે જ 12 જેટલા માણસો કબજો કરી ફેન્સીંગ કરતા હોવાની જાણકારી મળતાં રાજુ દેસાઈએ સરથાણા પોલીસ મથકમાં આ અંગેની ફરિયાદ નોંધાવી હતી.
બિલ્ડર રાજુ દેસાઈની ફરિયાદના આધારે સરથાણા પોલીસે શૈલેષ બાબુલાલ ભટ્ટ, શૈલેષ ભટ્ટના ભત્રીજા નિકુંજ ભટ્ટ, વિજય શાંતિલાલ ખોખરીયા, વકીલ ધર્મેશ પટેલ, સૌરાષ્ટ્રના માથાભારે શખ્સ અને ગેંગ ઓપરેટ કરતા અનિરુદ્ધસિંહ મહિપતસિંહ જાડેજા, તેના મલ્ટીયા સબીર ,સલીમ ઈબ્રાહીમ ઠેબા, સાજીત સુલતાન, હનીફ અલ્લારખા દરઝાદા સહિત ઉમર કાસમ પટણી વિરુદ્ધ ગુનો દાખલ કરી તપાસ શરૂ કરી હતી. દરમિયાન સરથાણા પોલીસ સ્ટાફે સ્થળ પર જઈ તપાસ કરતાં આરોપી સલીમ ઈબ્રાહીમ ઠેબા સહિત ચાર લોકોની પોલીસે ધરપકડ કરી હતી. સ્થળ પરથી આરોપીઓ પાસેથી દેશી હાથ બનાવટની ચાર પિસ્તોલ,13 જીવતા કારતૂસ, મોબાઈલ તેમજ ઘાતક હથિયારો મળી 45,200 નો મુદ્દામાલ જપ્ત કરી આગળની તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ અંગે સુરત પોલીસ કમિશનર અજય તોમરે પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું હતું કે આ ગુન્હો ખૂબ જ ગંભીર બાબત છે, જેને લઈ ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી રહી છે. ઘટનાની ગંભીરતાને જોતા કેસની તપાસ સુરત ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે એટલું જ નહીં પરંતુ ઝડપાયેલા આરોપીઓનો ગુનાઈત ઈતિહાસ પણ તપાસ કરવામાં આવશે. જ્યારે શૈલેષ ભટ્ટને વિજય ખોખરીયાની પણ અન્ય ગુન્હામાં સંડોવણી છે કે કેમ તે અંગેની ખાતરીપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે. આવી ઘટનામાં કોઈપણ આરોપીને છોડવામાં નહીં આવે. કાયદાકીય રીતે આવા તમામ આરોપીઓ સામે કડક હાથે કાર્યવાહી પણ કરવામાં આવશે.
હાલ તો સૌરાષ્ટ્રનો મુખ્ય આરોપી અનિરુદ્ધસિંહ જાડેજા સહિત શૈલેષ ભટ્ટ,નિકુંજ ભટ્ટ,વિજય ખોખરીયા સહિત કુલ 7 આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. જેની શોધખોળ હવે સુરત ક્રાઈમ બ્રાન્ચ દ્વારા શરૂ કરવામાં આવી છે. જો કે એકવાત તો ચોક્કસ છે કે બિલ્ડરને ધીરવામાં આવેલા વ્યાજપેટેના નાણાંના બદલામાં તેની કરોડોની સંપત્તિ પચાવી પાડવાનો કારસો શૈલેષ ભટ્ટ અને ટોળકીએ રચ્યો હતો. ત્યારે પોલીસ તપાસમાં ક્યાં ખુલાસા બહાર આવે છે તે જોવું રહ્યું.
Published On - 1:52 pm, Mon, 24 August 20