અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હત્યાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. હજુ વટવામાં થયેલી હત્યાનો ભેદ ઉકેલાયો જ છે ત્યાં અમરાઈવાડી વિસ્તારમાં અંગત અદાવતમા 40 વર્ષીય વેપારીની હત્યા કરવામાં આવી છે. હત્યારાને પકડવા પોલીસે અલગ અલગ ટીમ બનાવી તપાસ શરૂ કરી છે.
શહેરમાં જાણે કે ગુનેગારો બેફામ બન્યા હોય તે પ્રકારનો ઘાટ સર્જાયો છે અને તેમાં પણ પૂર્વ વિસ્તાર જાણે ગુનેગારો માટે હોટસ્પોટ બન્યું છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં આવેલ સંતોષીનગરની ચાલીમાં શનિવારે રાતના સમયે હત્યાનો બનાવ બન્યો હતો. અંગત અદાવતમાં 3 શખ્સોએ છરીના એક પછી એક 9 ઘા મારી કરિયાણાના વેપારીની હત્યા કરી ફરાર થયા હતા. પોલીસે આરોપીઓને શોધવા માટે CCTV તપાસવાની તજવીજ હાથ ધરી છે.
સમગ્ર ઘટનાની વાત કરવામાં આવે તો અમરાઈવાડીમાં રાજ્યા બીબીની ચાલીમાં રહેતા અવધેશ સહાની વર્ષોથી સતોષીનગરમાં કરીયાણાની દુકાન ચાલાવે છે. શનિવારની સાંજે આ દુકાનમાં તેઓની છેલ્લી સાંજ બની. આરોપી ભાવેશ ઉર્ફે રાજા તેના 3 સાગરીતો સાથે અવધેશ સહાનીની દુકાને આવ્યા અને સિગારેટ માંગીને ઝગડો કરી અચાનક એક પછી એક છરીના ઘા મારી હત્યા કરી ફરાર થયા હતા.
આ હત્યા અંગત અદાવતમાં થઈ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ભરચક વિસ્તારમાં બનેલ આ ઘટનાએ પોલીસની કામગીરી અને પેટ્રોલિંગ પણ સવાલ ઉઠાવ્યા છે.
પોલીસ પેટ્રોલિંગની વાતો વચ્ચે ગુનેગારોને પોલીસનો કોઈ ડર નથી રહ્યો. અને તેનાજ કારણે હત્યા કરતા પણ અચકાતા નથી ત્યારે ગુનેગારોમા પોલીસનો ભય ઉભો થાય તે જરૂરી છે. આ ઘટનામાં પોલીસે ફરાર શખ્સોની શોધખોળ કરી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા છે ત્યારે જોવું રહ્યું હત્યારાઓ પોલીસના હાથે ક્યારે લાગે છે.
આ પણ વાંચો – Bigg Boss OTT : દર્શકોની લાંબા સમયની રાહનો અતં, આજથી શરુ થશે બિગ બૉસ ઓટીટી, જાણો ક્યાં અને કેટલા વાગે જોઇ શકશો ?