અંગદાન અને અગપ્રત્યારોપણ એવા લોકોના જીવનને બદલવામાં અને તેમના ભવિષ્યને ફરીથી ધડવામાં મદદરૂપ થાય છે, જેઓ ઇશ્વરે બક્ષેલા જીવનને માણી શકતાં નથી. પરંતુ જો કોઈ અંગદાતા આમ કરવાનો સહેલો છતાં નિઃસ્વાર્થ નિર્ણય ન લે તો, આ જીવ બચાવનારી પ્રક્રિયા શક્ય બની શકતી નથી. આ બાબતને ધ્યાનમાં રાખીને કેલોરેક્સ પબ્લિક સ્કુલ (CPS-ઘાટલોડિયા)એ ફેસબૂક વેબિનાર મારફતે સમાજમાં ઉમદા અને મૂલ્યવાન બાબતો પ્રત્યે જાગૃતિ ફેલાવવાના તેના પ્રયાસોને ચાલુ રાખ્યાં છે અને આ વખતે અંગદાન અંગે વાત કરવામાં આવી હતી. શુક્રવારના રોજ ફેસબૂક લાઇવ મારફતે આ વેબિનાર યોજવામાં આવ્યો હતો.
CIMS હોસ્પિટલ ખાતે કાર્યરત ડૉ. નિરેન ભાવસાર (એમ.ડી. એનેસ્થેસિયોલોજી) આ વેબિનારના વક્તા હતા. તેમણે અંગદાન, અંગપ્રત્યારોપણ અને એનેસ્થેસિયા અંગે માહિતી પૂરી પાડી હતી. આ ઉપરાંત, તેમણે અંગપ્રત્યારોપણની સર્જરીની યોગ્ય પ્રક્રિયા અંગે પણ વાત કરી હતી. CPS ઘાટલોડિયાની વિદ્યાર્થિની અને આ વેબિનારની સંચાલક સુશ્રી પ્રાંજલ ભીમપુરિયાએ અંગદાનની પ્રક્રિયાના નિયમો અને કાયદાઓ અંગે પૂછ્યું ત્યારે તેમણે એક ખૂબ સારી વાત કહી કે, કોઇપણ વસ્તુ દાનમાં આપવા માટે પહેલા તો એક સારી સાખ અને વિશાળ હૃદય હોવું જરૂરી છે, બાકીની કાયદાકીય પ્રક્રિયાઓનું પાલન કરવું તો ઘણું સરળ છે. તેમણે અંગદાતાએ અને અંગદાન મેળવનારી વ્યક્તિએ પ્રત્યારોપણ પહેલાં અને પછી રાખવાની સાવચેતીઓ અંગે પણ વાત કરી હતી.
શ્રી નિરેન ભાવસારે જણાવ્યું હતું કે, “અંગદાન એ એક ઉમદા કાર્ય છે, જે કોઇને નવું જીવન આપી શકે છે અને હું સૌને આમ કરવા માટે પ્રતિજ્ઞા લેવાની વિનંતી કરું છું. તેમણે સમજાવ્યું કે, વ્યક્તિના મૃત્યુ બાદ અંગો દફન થઈ જાય છે અથવા તો બળીને રાખ થઈ જાય છે અને આમ તે વેડફાઈ જાય છે. પરંતુ જો તેનું અન્યોને દાન કરવામાં આવે તો, કોઇના અંધકારમય જીવનમાં અજવાળું પાથરી શકે છે.
કોઇએ સાચું જ કહ્યું છે, કોઇને કંઇક આપવાથી અસીમ આનંદ મળે છે અને કોઇનો જીવ બચાવવા માટે કંઇક આપવું એ તો ઇશ્વરની સેવા કરી કહેવાય.’ આ વેબિનાર સમાજમાં આ સંદેશને ફેલાવવામાં સફળ રહ્યો હતો.
આ પણ વાંચો : Google Scholarship: Google ગર્લ સ્ટુડન્ટ્સને શિષ્યવૃત્તિ મેળવવાની શ્રેષ્ઠ તક આપી રહ્યું છે, જાણો કેવી રીતે કરવી અરજી
Published On - 3:34 pm, Sat, 6 November 21