કોરોનાના કારણે શાળાઓમાં શૈક્ષણિક કાર્ય ઠપ્પ થયું છે. ત્યારે બાળકોના અભ્યાસને અસર ન પડે તે માટે સરકારી અને ખાનગી શાળાઓએ ઓનલાઈન અભ્યાસ શરુ કરાવ્યો પણ તેમાં એક મોટી સમસ્યા સામે આવી છે. ગરીબ પરિવારના બાળકો પાસે સ્માર્ટફોન, ટીવી અને ઈન્ટરનેટ કનેકશન ન હોય તેવા બાળકો અભ્યાસથી વંચિત રહી જવાનો ડર ઉભો થયો છે. ત્યારે અંકલેશ્વરના શિક્ષકોએ આ બાળકો માટે સેવાયજ્ઞ શરૂ કર્યો છે. કોરોનાકાળના શૈક્ષણિક સર્વેમાં ચોંકાવનારી હકીકત બહાર આવી છે. અંકલેશ્વર તાલુકાની 86 સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા 15,055 બાળકો પૈકી 1,346 બાળકો એવા મળી આવ્યા કે જેમના પાસે સ્માર્ટફોન કે ઘરે ટેલિવિઝન નથી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
ઓનલાઈન લિંક કે ટીવી ઉપર દર્શાવતા શૈક્ષણિક કાર્યક્રમો આ બાળકો સુધી કેવી રીતે પહોંચાડવા તે સમસ્યા ઉભી થતાં તાલુકામાં નોકરી કરતા 562 પૈકી 300 શિક્ષકોએ આ બાળકોને કોવિડ 19 ગાઈડલાઈન સાથે હોમલર્નિંગ માટે તૈયારી બતાવી ઘરે જઈ ભણાવવાનું શરુ કર્યું છે. બીઆરસી કો ઓર્ડીનેટર આમીન પઠાણે જણાવ્યું હતું કે શિક્ષકો વર્કશીટ બનાવા સાથે ઘરે શીખીએ પુસ્તિકા અને તેમના મોબાઈલમાં વીડિયો બતાવી બાળકોને શિક્ષણ આપે છે. બાળકોને અભ્યાસમાં મૂંઝવણ અનુભવે તો ડાઉટ પણ ક્લિયર કરાય છે. બાળકોના અભ્યાસની પ્રગતિ જાણવા સરપ્રાઈઝ વિઝીટ કરી પુસ્તકોની તપાસ પણ કરવામાં આવે છે.
ત્યારે શિક્ષકોની મહેનત પણ રંગ લાવી છે. કોરોનાકાળ દરમ્યાન લેવાયેલી કસોટીના પરિણામોમાં રાજ્યના ટોપ ટેન વિદ્યાર્થીની યાદીમાં અંકલેશ્વરના ધોરણ 9 અને 10ના ત્રણ વિદ્યાર્થીઓએ સ્થાન પણ હાંસિલ કર્યું છે. શિક્ષક જાલમસિંહજીએ જણાવ્યું હતું કે મહત્તમ બાળકોના ઘરે સ્માર્ટફોન નહીં તો મોબાઈલ ફોન તો ચોક્કસ છે. જે બાળકોનો સપ્તાહમાં ઓછામાં ઓછો બે વાર સંપર્ક કરી અભ્યાસની માહિતી મેળવવામાં આવે છે. કહેવત છે કે ‘જ્યાં ચાહ હોય ત્યાં રાહ’ આપોઆપ મળે છે. આ ઉક્તિ અંકલેશ્વરના શિક્ષકોએ સાચી સાબિત કરી બતાવી છે. જેમણે સમસ્યાઓ સામે ઘૂંટણિયે ન પડી બાળકોને અવિરત શિક્ષણ આપી અવ્વલ પરિણામ હાસિલ કર્યું છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Published On - 6:11 pm, Fri, 11 September 20