અત્યારે સમગ્ર દુનિયામાં કોરોના મહામારીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. ત્યારે ઈલાજની આશાએ આવેલા દર્દીને બચાવવા અને કોરોનાનાને રોકવા માટે ગુજરાત સરકાર કટિબદ્ધ છે. ડી.આર.ડી.ઓ અને ગુજરાત સરકારના સંયુક્ત પ્રયાસોથી અમદાવાદ જી.એમ.ડી.સી.ગ્રાઉન્ડ ખાતે યુદ્ધના ધોરણે 950 બેડ ધરાવતી કોવિડ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગના અગ્ર સચિવ અંજુ શર્માએ જણાવ્યું હતું કે, અહીં આવતા દર્દીઓને સત્વરે સારવાર શરૂ થઈ જાય તે પ્રકારની તમામ વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત કોવિડ દર્દીઓને જરુરી એવા તમામ ટેસ્ટ પણ અહીં જ કરવામાં આવે છે. આ કોવિડ હોસ્પિટલમાં સારવાર અર્થે આવતા કોરોનાગ્રસ્ત દર્દીઓને આગમન સમયે દૈનિક જીવન-જરૂરી કીટ પણ આપવામાં આવે છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આ કન્વિનીયન્સ કીટમાં પાણીની ત્રણ બોટલ, ગ્લુકોઝ બિસ્કીટના ચાર પેકેટ, ટીશ્યુ પેપર, ટૂથ બ્રશ, સેનિટાઈઝર, શેમ્પુ અને ન્હાવાના સાબુ, ઓડોમોસ ક્રિમ, નારિયેળનું તેલ, કાંસકો, મુખવાસ, ઈલાયચી અને લવિંગ જેવી દૈનિક જરૂરિયાત ધરાવતી વસ્તુઓનો સમાવેશ થાય છે. ધન્વન્તરી કોવિડ હોસ્પિટલમાં દાખલ થયેલ દર્દીઓએ સારવારની સાથે સાથે અપાતી દૈનિક જીવન જરૂરિયાતની કીટમાં સમાવિષ્ટ વસ્તુઓને અતિ ઉપયોગી ગણાવી હતી.
24 કલાકમાં અમદાવાદમાં સૌથી વધુ 5,619 નવા કેસ
રાજ્યમાં આજે 26 એપ્રિલે મહાનગરોમાં નોંધાયેલા કોરોનાના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 5619, સુરતમાં 1472, રાજકોટમાં 546, વડોદરામાં 528, જામનગરમાં 373, ભાવનગરમાં 361, ગાંધીનગરમાં 188, અને જુનાગઢમાં 137 નવા કેસો સામે આવ્યાં છે.
આ પણ વાંચો: Gujarat Corona Update : રાજ્યમાં આજે કોરોના 14,340 નવા કેસ, 158 મૃત્યુ, 7727 સાજા થયા
Published On - 9:21 pm, Mon, 26 April 21