છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના ખોડિયા ગામના લોકો વર્ષોથી પીવાના પાણીને લઈ વલખાં મારી રહ્યા છે. તંત્રમાં વારંવારની રજૂઆત બાદ પણ નિરાકરણના આવતા હવે ગામની મહિલાઓ ભગવાનને વીણવણી કરી રહી છે કે, તેમની વ્યથા દૂર કરવા અધિકારીઓને સદબુદ્ધિ આપે!
નસવાડી તાલુકાના ખોડિયા ગામમાં બોર, પીવાના પાણીની ટાંકીની વ્યવસ્થા તો કરવામાં આવી છે. નળ વગરના પાઈપો, પાણી વગરના હેન્ડપંપ, ખાલી હાવેડા સાબિતી આપી રહ્યા છે કે પાણીની કેટલી વિકટ સ્થિતી હશે. ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની માટે ગામની મહિલાઓ બુમરાણ મચાવે છે. જળ વગર જીવન અશક્ય છે, જેને લઈ ગામના લોકોએ તંત્રમાં વારંવાર અધિકારીઓને રજૂઆતો કરી પણ તંત્ર છે કે તેમની વાત સાંભળવા તૈયાર નથી. સમસ્યા એક બે વર્ષની નથી વર્ષોની સમસ્યા ગામના લોકો ભોગવી રહ્યા છે.
ગામની નજીકમાંથી નર્મદાની મુખ્ય નહેર વહે છે છતાં તેનું પાણી આ ગામના લોકોને મળતું નથી. હાલની સ્થિતીમાં એક બે હેન્ડપંપમાં થોડું ગણું પાણી આવે છે, જે ગામના લોકો માટે પૂરતુ તો નથી પણ ટુંક જ સમયમાં દર વર્ષની માફક આ વર્ષે પાણી ખતમ થશે તો શું? જેમ તેમ કરીને પીવાનું પાણી મેળવતી ગામની મહિલાઓને તેમના મૂંગા પશુઓ માટે ખુબ જ ચિંતા છે.
ગામમાં હેન્ડપંપમાં પાણી ખતમ થતાં પાણી મેળવવા ગામની મહિલાઓને દૂર દૂર આવેલા ખેતરોના પ્રાઈવેટ બોર પરથી પાણી મેળવવા ભટકવું પડે છે. પરંતુ અધિકારીઓને તેમના દુ:ખની પરવા નથી. જેથી હવે આ ગામની મહિલાઓ ભગવાનને વિનવણી કરી રહી છે. ગામની મહિલાઓ ખાલી બેડા લઈ જે પાણીના સ્ત્રોત જેવા કે હવાડા, પીવાના પાણીના નળના સ્ટેન્ડપોજ, ટાંકી, હેન્ડ પંપો પર જઈને હાથમાં આરતીની થાળી લઈને પૂજા કરી રહી છે.
મહિલાઓનું કહેવું છે કે અમે આ અખતરો એટલા માટે કરીએ છીએ કે તેમની વાત તો તંત્ર સાંભળવા તૈયાર નથી પણ જો કુદરત તેમની વાત સાંભળે અને અધિકારીઓને સદબુદ્ધિ આપે તો અમારા ગામના લોકોને પાણી મળે. ત્યારે જોવાનું એ છે કે ગામની મહિલાઓનો અખતરો કેટલો કારગત નીવડે છે. ખરેખર આ મહિલાઓની વેદનાને અધિકારીઓ ધ્યાન પર લે તે જરૂરી છે.
આ પણ વાંચો: ‘ફરો ભારત’ TV9 સાથે: જાણો ગુજરાતના સુંદર પ્રવાસન સ્થળો વિશેની જાણકારી, જ્યાં જવુ તમારા માટે હશે એકદમ સરળ