એક તરફ રાજ્યમાં વરસાદી માહોલ છવાયો છે. છોટા ઉદેપુરમાં (Chhota Udepur) ગત અઠવાડિયામાં વાતાવરણમાં પલટો આવતા જોરદાર પવન ફુંકાયો હતો. ભારે વાવાઝોડાને કારણે છોટા ઉદેપુરમાં અનેક સ્થળોએ નુકસાન પહોંચ્યુ હતુ. વાવાઝોડાને (Cyclone) કારણે અનેક વીજપોલ (Electric Pole) ધરાશાયી થયા હતા. જો કે MGVCL દ્વારા આજ સુધી આ વીજપોલ ફરીથી ઊભા કરવા આવ્યા નથી. વીજપોલ ધરાશાયી થવાના કારણે વિવિધ વિસ્તારમાં અંધારપટ છવાયેલો છે. વીજ કંપનીની બેદરકારીના કારણે ખેતરોમાં પાક સુકાવાના આરે હોવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
છોટાઉદેપુર જિલ્લામાં વીજ કંપનીની બેદરકારીના કારણે હજુ પણ વીજપોલ ફરીથી પૂર્વવત થયા નથી. જેના કારણે ખેડૂતોને મુશ્કેલીમાં મુકાયા છે. ફેરકૂવા અને જોડાવાંટ ગામમાં વીજ થાંભલાઓ જમીનદોસ્ત થતાં વીજળીની સમસ્યા સર્જાઈ છે. આ અંગે વીજ કંપનીને પણ ખેડૂતોએ રજૂઆત કરી. છતાં કંપની દ્વારા સમારકામ ન કરાતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખેડૂતોનું કહેવુ છે કે, વીજળીના અભાવે ખેતીમાં પિયત કરવું મુશ્કેલ બન્યું છે. વાવણીના સમય જ વીજળી નથી મળી રહી છે. જો સમયસર વીજળી નહીં મળે તો પાક નિષ્ફળ જવાની શક્યતા છે. બીજી તરફ અધિકારીઓ સમગ્ર મામલે અજાણ હોવાની વાત કરી રહ્યા છે. જો કે હજુ પણ MGVCL દ્વારા વીજ પુરવઠો યથાવત ન કરતા લોકોમાં રોષ ફેલાયો છે.
ગત સપ્તાહમાં ફુંકાયેલા ભારે વાવાઝોડાના કારણે છોટા ઉદેપુરમાં ભારે તારાજી સર્જાઇ હતી. અનેક સ્થળોએ વીજ પોલ ધરાશાયી થઇ ગયા હતા. જેના કારણે ઘણા ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો હતો. જો કે જનિયારા ગામમાં ધરાશાયી વીજપોલને ઊભા કરવા માટે MGVCLની ટીમ ન પહોંચતા ગામના લોકો હજુ પણ અંધારપટમાં જીવી રહ્યા છે.
મોટી વાત તો એ છે કે વીજળી વગર ખેડૂતો પોતાના બોરવેલની મોટર શરુ કરી શકતા નથી. એક તરફ છોટા ઉદેપુરમાં વરસાદ ખેંચાયો છે. બીજી તરફ વીજળી વગર ખેડૂતોનો વાવેલો પાક સુકાવાને આરે છે. જો ખેડૂતોને સમયસર વીજળી મળી રહે તો તેમનો પાક સુકાતો અટકી શકે છે. જો કે MGVCLની ઘોર બેદરકારીને કારણે ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવી શકે છે. ત્યારે ખેડૂતો MGVCL વીજ સપ્લાય ચાલુ કરે તેવી માગ કરી રહ્યા છે. જનીયારા ગામમાં વરસાદ ખેંચાતા ખેડૂતોને પાક સુકાઈ જવાની ચિંતા છે.