છોટાઉદેપુર (Chhota Udepur) જિલ્લાના બોડેલીમાં લોકો જોખમ વચ્ચે જીવી રહ્યા છે. તેમને ઢોર, આખલા કે ગુંડા બદમાશનો ડર નહીં પણ લોકોને ખુલ્લા વીજળીના વાયરનો (Electrical wires) ડર લાગે છે. કેમકે અહીં એમ.જી.વી.સી.એલે (MGVCL) જાણે મોતને સામે ચાલીને આવકારવાનું હોય તેમ ચારેતરફ જીવલેણ કહી શકાય તેવા વીજપોલ, હાઈ ટેન્શન વાયરો યમરાજાની જેમ ખુલ્લા જ મુકી રાખ્યા છે. આ વાયરો કોર્ડન વગર જોખમી રીતે ખુલ્લા મુકાયેલા છે. લોકોના ઘરને અડીને જ આ વીજલાઈન પસાર થતી હોવાથી લોકો ભયના માહોલમાં જીવે છે.
છોટાઉદેપુરના બોડેલીમાં એમ.જી.વી.સી.એલે પોતાના હદ વિસ્તારના લોકોને જોખમમાં મુકીને જ પોતે જ હદ કરી નાખી છે. અહીંના અલીખેરવા, ઢોકલીયા, ચાચક સહિતના વિસ્તારોમાં જીવલેણ કહી શકાય તેવા વીજપોલ, ટીસી, અને ખુલ્લા વાયરો તમને ઠેરઠેર જોવા મળશે. એમ.જી.વી.સી.એલની કચેરીની બિલકુલ પાછળ આવેલા અલીખેરવા ફતેનગરનો વિસ્તારમાં ચારે તરફ વીજવાયરોના થાંભલા અને વીજ વાયરોનું ઝૂંડ જોવા મળે છે. અહીં એક બે નહી ત્રણ ત્રણ હાઈ ટેન્શન લાઈનો આ વિસ્તારમાંથી પસાર કરવામાં આવી છે.
હવે હાઈટેન્શન વાયર જે મકાન પરથી પસાર થાય છે, તેની નીચેના મકાન માલિકે તો સતત ડરમાં જ જીવવું પડે છે અને આ એક તકલીફ નથી. પહેલા તો મકાનની ઉપર જઈ શકાતું નથી કે મકાનની ઉપર બીજો માળ લેવો હોય તો પણ લઈ શકાતો નથી. કેમકે મકાનની બાજુમાંથી વીજ વાયર પસાર થતો હોવાથી જાનનું જોખમ રહેવાનો ડર સતત લોકોને રહે છે.
કહેવાય છે કે રામરાજમાં પ્રજા સુખી હતી પણ બોડેલી તાલુકાના અલીખેરવામાં આવેલા રામનગરમાં પ્રજા દુઃખી છે. કારણ કે વર્ષો પહેલાના આ વીજપોલ જર્જરિત થઈ ગયા છે. વીજપોલમાં બનાવવામાં કદાચ ભ્રષ્ટાચારની પોલંપોલ હોય તેવુ લાગી રહ્યુ છે. કારણ અહીં વીજપોલમાં તિરાડો છે, નમી પડેલા આ વીજપોલ ક્યારે પડી જાય એ કહેવાય નહીં.
જોવાની વાત એ છે કે વીજપોલમાં જે તિરાડો છે, ત્યાં જ વીજકંપનીના કર્મચારીઓએ વાયરથી તેને મકાન સાથે બાંધી સંતોષ માની લીધો છે. કેટલાક વીજપોલની આસપાસ સિમેન્ટ મારી દેવામાં આવ્યો છે. આ વિસ્તારના લોકોનું કહેવું છે કે ચોમાસા પહેલા નમેલા વીજપોલને જો સરખા નહીં કરાય તો ગમે ત્યારે મોટો અકસ્માત પણ થઈ શકે છે અને બોડેલી ગામની સ્થિતી જોવા જઈએ તો સોસાયટીમાં વીજવાયરો આડેધડ નાખી દેવામાં આવ્યા છે. સોસાયટી વિસ્તારોના જાહેર માર્ગો પર ખુલ્લા ટીસી લગાવી દેવાયા છે. મકાનોને અડીને નાખવામાં આવેલા વીજપોલ પરના ખુલ્લા વાયરોને ટેપિંગ પણ કરવામાં આવ્યું નથી. અહીં બાલ્કનીમાં પરિવારનું કોઈ સભ્ય આવે તો પણ બીક લાગે છે..
એમ.જી.વી.સી.એલના અધિકારીએ તો અહીંના સાધના સોસાયટીના એક મકાનના દરવાજાની આગળ જ વીજપોલ ઉભો કરી દીધો છે. એ મકાન માલિકની રોજેરોજ શું દશા થતી હશે, તેની કલ્પના કરી શકાય. એક તો દરવાજા નજીક વીજપોલ અને તેમાં પાછી તિરાડ. એમાય પાછુ નમી ગયેલા વીજપોલ પર ખુલ્લા વીજ વાયરો. આ કયા પ્રકારનું કામ એમ.જી.વી.સી.એલ કરે છે એ જ લોકોને સમજાતું નથી. આ જ વિસ્તારના મુખ્ય માર્ગ પર જે ટીસી લગાડવામાં આવ્યા છે તેમાં વારંવાર ફોલ્ટ થતાં લોકો ફફડતા રસ્તા પરથી પસાર થાય છે. બેદરકારી એટલી કે ટી.સીને કોર્ડન કરવામાં આવ્યું નથી. આવા અનેક વિસ્તારો અને એમ.જી.વી.સી.એલનું જોખમી કામ કેટલી હદે કથળેલું છે, તેના નમૂના ઘણા છે. ત્યારે અહીંમા ગ્રામજનોને આ પરિસ્થિતિમાં રાહત મળે છે કે કેમ તે જોવુ રહ્યુ.