
આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપ્યા બાદ રાજુ કરપડાએ પક્ષના નેતા ગોપાલ ઇટાલિયા પર ગંભીર આરોપો લગાવ્યા છે. કરપડાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા પક્ષમાં રહેશે ત્યાં સુધી આમ આદમી પાર્ટી આગળ નહીં આવે.
તેમણે ઇટાલિયા પર નિશાન તાકતા કહ્યું કે, જેલમાં બંધ હતા ત્યારે પક્ષ તરફથી તેમને કાનૂની સહાય પૂરી પાડવામાં આવી નહોતી, અને તેમને લાંબા સમય સુધી જેલમાં જ રાખવાના પ્રયાસો થયા હતા. આ રાજકીય આરોપો અંગે આમ આદમી પાર્ટીએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જરૂરી હોવાનું કરપડાએ જણાવ્યું. તેમણે ઉમેર્યું કે તેઓ 100 દિવસથી વધુ સમય ખેડૂત આંદોલન માટે જેલમાં રહ્યા હતા.
રાજુ કરપડાએ પક્ષ છોડી ચૂકેલા અન્ય નેતાઓ મહેશ સવાણી, ભૂપત ભાયાણી અને ઉમેશ મકવાણાના ઉદાહરણો ટાંક્યા. તેમણે દાવો કર્યો કે જ્યારે કોઈ નેતા અરવિંદ કેજરીવાલના સંપર્કમાં આવે છે અને પાર્ટીની વાસ્તવિકતા તેમને જણાવવાનો પ્રયાસ કરે છે, ત્યારે તેમને પક્ષમાંથી દૂર કરવા અથવા લાંબા સમય સુધી કોઈ કેસમાં ફસાવવાનું ષડયંત્ર થાય છે. તેમણે સૂચવ્યું કે અમુક નેતાઓ પક્ષને એક સ્તરથી વધુ મજબૂત થવા દેતા નથી.
ભવિષ્યની રાજકીય યોજનાઓ અંગે રાજુ કરપડાએ જણાવ્યું કે તેઓ હાલ કોઈ સત્તાપક્ષ સાથે જોડાવાનો નિર્ણય લીધો નથી. તેમણે આગામી સમયમાં ખેડૂત પંચાયત બોલાવીને ભવિષ્યનો નિર્ણય લેવાનું આયોજન કર્યું છે. તેમનું કહેવું છે કે ખેડૂતો માટે મેં જે સપના જોયા છે, ખાસ કરીને તેમના વિસ્તારમાં સિંચાઈના પાણીની વ્યવસ્થા માટે તે પૂરા કરવાની સત્તાપક્ષની તૈયારી હોય તો રાજુ કરપડા સત્તાપક્ષમાં જોડાવા તૈયાર છે. તેઓ 2018 થી 2021 સુધી બિનરાજકીય રીતે ખેડૂતો માટે લડ્યા હતા અને ભવિષ્યમાં પણ એ જ રીતે લડતા રહેવાનો પ્રયાસ કરશે. વિપક્ષમાં રહીને ખેડૂતોના કામ કરવા અઘરા હોવાથી તેમણે બિનરાજકીય માર્ગ અપનાવવાનું નક્કી કર્યું છે.
રાજુ કરપડાએ પોતાના જાહેર જીવનની શરૂઆત 2017-18માં ખેડૂત એકતા મંચના બેનર હેઠળ કરી હતી. તેમણે ખેડૂતોના વિવિધ મુદ્દાઓ, જેમ કે પાક નુકસાનનું વળતર જમીન સંપાદનનું યોગ્ય વળતર, હાઈ ટેન્શન લાઇનના પ્રશ્નો, કચ્છ, મોરબી, હળવદ અને સુરેન્દ્રનગરના ખેડૂતો માટે લડત આપી હતી. મૂળી તાલુકામાં સિંચાઈના પાણી માટે સંઘર્ષ કરીને સ્કાવાર વાલ ખોલાવવામાં પણ તેમણે સફળતા મેળવી હતી. 2021-22માં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, ત્યારે પણ તેમની શરત ખેડૂતોના મુદ્દે લડવાની હતી.
આ ઉપરાંત તેમણે ભાવનગર સંબંધિત એક અન્ય કેસનો ઉલ્લેખ કર્યો. તેમણે જણાવ્યું કે એક વીડિયો જે તેમણે પાર્ટીના મહામંત્રીને 31 તારીખે એડિટ કરીને ચલાવવા માટે આપ્યો હતો, તે 29 તારીખે રિલીઝ થઈ ગયો અને વાયરલ થવાને કારણે તેમના પર ભાવનગરમાં ગુનો દાખલ થયો. 11/11/2025ના રોજ તેમને ભાવનગર લઈ જવામાં આવ્યા અને બીજા દિવસે તેમના પરિવારને ખોટી રીતે જાણ કરવામાં આવી કે તેમને જામીન મળી ગયા છે. 30/11ના રોજ તેમને જાણ થઈ કે જામીન મળ્યા નથી અને પાર્ટી ખોટું બોલી રહી છે. ત્યાર પછી 4/12/2025ના રોજ ફરીથી જામીન અરજી દાખલ કરવામાં આવી, પરંતુ 18 તારીખ સુધીની ચાર સુનાવણીમાં પણ તેમના તરફથી કોઈ વકીલ હાજર ન રહ્યો.
ઇસુદાન ગઢવીએ કરપડા પર દબાણ હેઠળ પક્ષ છોડવાનો આરોપ મૂક્યો હતો, જેને રાજુ કરપડાએ તદ્દન ખોટો અને પાયાવિહોણો ગણાવ્યો. તેમણે કહ્યું કે તેમને પક્ષમાંથી મનાવવા માટે કોઈ ફોન આવ્યા નથી, બલ્કે શાંત રહેવા માટેના ફોન આવ્યા હતા. તેમણે સ્પષ્ટ કર્યું કે સત્તાપક્ષમાંથી કોઈ સીધી ઓફર મળી નથી,
પરંતુ વાયા વાયા કોંગ્રેસ અને ભાજપ બંને તરફથી સંપર્ક થતા રહે છે. જેલમાં વકીલોની સુવિધા ન મળવાના મુદ્દે તેમણે જણાવ્યું કે ચાર્જશીટ બન્યા બાદ અરવિંદ કેજરીવાલ સુધી મેસેજ પહોંચાડવામાં આવ્યો ત્યારે જ કેન્દ્રીય ટીમ દ્વારા વકીલની વ્યવસ્થા થઈ હતી, અને સ્થાનિક લીગલ ટીમમાંથી કોઈ વકીલ હાજર રહ્યો નહોતો. 2027ની વિધાનસભા ચૂંટણી લડવા અંગે તેમણે હાલ કોઈ નિર્ણય ન લીધો હોવાનું જણાવ્યું.
હાર્દિક પટેલને મોટી રાહત! સરકાર દ્વારા આ ફરિયાદ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો