
ગણેશોત્સવ દરમિયાન જાહેરમાર્ગ પર મંજૂરી કરતાં વધુ ઊંચાઈની ગણેશ મૂર્તિ સ્થાપવાના મામલે અમદાવાદના નવા નરોડામાં, સાર્વજનિક ગણેશોત્સવના આયોજક સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કૃષ્ણનગર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન નિયમ વિરુદ્ધ ગણેશ મૂર્તિ સ્થાપવામાં આવી હોવાનું ધ્યાનમાં આવતા આયોજક સામે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, નવા નરોડામાં બાપાસીતારામ ચોક પાસે આવેલા હરિવિલા ફ્લેટના ગેટ નજીક જાહેર રોડ પર ગણેશ મૂર્તિ સ્થાપવા માટે મંડપ બનાવવામાં આવ્યો હતો. કૃષ્ણનગર પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મંડપમાં સ્થાપવામાં આવેલી ગણેશ મૂર્તિ મંજૂરી કરતાં વધુ ઊંચાઈની હોવાનું સામે આવ્યું હતું.
આ મામલે પોલીસે આયોજક સચિન કુમાવત સામે ફરિયાદ નોંધી છે. પોલીસ તપાસ દરમિયાન આયોજકે મૂર્તિ સ્થાપના માટે મેળવેલા પોલીસ પરમિટમાં 8.5 ફૂટની ગણેશ મૂર્તિની મંજૂરી હોવાનું જણાવ્યું હતું. જોકે, સ્થળ પર મૂર્તિની ઊંચાઈ માપવામાં આવતા તે મંજૂરી કરતાં ઘણી વધારે હોવાનું સામે આવ્યું હતું.
પોલીસ તપાસ મુજબ, ગણેશજીની મૂર્તિની ઊંચાઈ આશરે 11 ફૂટ હતી, જ્યારે મૂર્તિ જે ટ્રોલી પર સ્થાપવામાં આવી હતી તેની ઊંચાઈ આશરે 4.5 ફૂટ હોવાનું જાણવા મળ્યું હતું. આ ઉપરાંત મૂર્તિની પાછળ આશરે 7 ફૂટ ઊંચાઈનું ભગવાન શંકરનું ફાઇબરનું સ્કલ્પચર પણ મૂકવામાં આવ્યું હતું.
આ તમામ બાબતોને ધ્યાનમાં લેતાં ટ્રોલી સહિત સમગ્ર સ્થાપનાની કુલ ઊંચાઈ આશરે 22.5 ફૂટ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. આમ, જાહેરમાર્ગ પર મંજૂરી કરતાં વધુ ઊંચાઈની મૂર્તિ અને સ્થાપના કરવામાં આવી હોવાના કારણે જાહેરનામાનો ભંગ થયો હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
કૃષ્ણનગર પોલીસે આયોજક સચિન કુમાવત સામે જાહેરનામાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. ગણેશોત્સવ દરમિયાન જાહેરમાર્ગો પર મૂર્તિ સ્થાપના અને મંડપ અંગે આપવામાં આવતી મંજૂરીના નિયમોનું પાલન થાય તે માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ અને તપાસ કરવામાં આવી રહી છે.
Published On - 2:37 pm, Fri, 11 September 26