Breaking News: પાવાગઢમાં મોટી દુર્ઘટના, ગુડ્સ રોપવે તૂટી પડતા 6 લોકોના થયા મોત
પંચમહાલના પાવાગઢમાં એક મોટી દુર્ઘટના બની છે, જ્યાં બાંધકામના સામાનની હેરફેર માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપ-વે તૂટી પડતા 6 લોકોનાં કરુણ મોત નિપજ્યા છે. આ ઘટના બાદ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી છે.
પંચમહાલ જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. અહીં મા કાળીના મંદિરના જીર્ણોદ્ધાર માટે ચાલી રહેલા બાંધકામના કામ માટે ઉપયોગમાં લેવાતો ગુડ્સ રોપ-વે તૂટી પડતા 6 લોકોનાં કરુણ મોત થયા છે. આ ઘટનાથી સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા લોકોમાં 2 લિફ્ટ ઓપરેટર, 2 શ્રમિકો અને અન્ય 2 વ્યક્તિઓનો સમાવેશ થાય છે. આ ગુડ્સ રોપ-વે નો ઉપયોગ પાવાગઢના માંચીથી નિજ મંદિર સુધી બાંધકામની સામગ્રી લઈ જવા માટે થઈ રહ્યો હતો.
આ ઘટનાની જાણ થતા જ પોલીસ અને ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છે અને આ દુર્ઘટના પાછળનું ચોક્કસ કારણ જાણવા માટે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
input credit: Nikunj Patel
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો