
અમદાવાદના વેજલપુર વિસ્તારના ભાજપના ધારાસભ્ય અમિત ઠાકરે, આજે ગુજરાત વિધાનસભામાં અશાંતધારા સુધારા વિધેયક પરની ચર્ચામાં ભાગ લેતા એવો ઘટસ્ફોટ કર્યો હતો કે, અમદાવાદના જુહાપુરાના ફતેહવાડી વિસ્તારમાં ગેરકાયદે દબાણ થયેલ છે. આ દબાણ એટલુ બધુ છે કે, રાજકોટના એક જંગલેશ્વરમાં હતું તેવુ જુહાપુરાના પાંચ જંગલેશ્વર થાય. આ દબાણ અંગેની વાત કોઈ ઉપજાવી કાઢેલી નથી, અમદાવાદના સત્તાવાર સનદી અધિકારીએ, લેખિતમાં સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદે દબાણ અંગેની માહિતી આપી હોવાનુ પણ ઠાકરે વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું.
ગુજરાતમાં છેલ્લા 30 જેટલા વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. તેમના શાસનકાળમાં ગુજરાતમાં શાંતિ જાળવી ના હોવાથી અશાંતધારો લાગુ પાડવો પડે છે, એક જ પક્ષની સરકાર હોય તો અશાંતિ કેવી. શા માટે આવા કાયદાઓ લાવવા પડે છે તેવા વિપક્ષે વિધાનસભામાં આક્ષેપ કર્યા હતા. જેનો જવાબ આપતા અમિત ઠાકરે જણાવ્યું કે, આ કાયદાને હટાવીને અમદાવાદને અશાંત કરવાની ચેષ્ઠા વિપક્ષ કરી રહ્યું છે.
અમિત ઠાકરે વિધાનસભા સંકુલની બહાર મીડિયા સાથે વાત કરતા એવુ જણાવ્યું હતું કે, અમદાવાદની ભૌગોલિક સ્થિતિ બદલી નાખવા માટે કેટલાક તત્વો કામે લાગ્યા છે. જેના કારણે આજે ગોમતીપુર, બાપુનગર, દરિયાપુર, જમાલપુર,પાલડી, જુહાપુરા, ફતેહવાડી ખેડાને સ્પર્શે તે રીતે ભારતમાંથી આવીને વસ્તી વસી રહી છે. સાબરમતી નદીના કિનારે 2 લાખ 51 હજાર મીટર જમીન પર દબાણ થયુ હોવાનું કમિશનરે લેખિતમાં આપ્યું છે. આવા તત્વોને નાથવા માટેનો એકમાત્ર ઉપાય અશાંત ધારો છે. સંવેદનશીલ નેતૃત્વ છે તેથી જ લોકોની જાન-માલનુ રક્ષણ થાય છે. અશાંત ધારો એટલે જ અમદાવાદ શાંત.
ગેરકાયદે થતા દબાણોને રોકવું પડે. વિસ્તારના વિકાસ થયા બાદ તોડવાની જરૂરીયાત ઊભી થઈ. જો કોંગ્રેસે તેના શાસનકાળ દરમિયાન આ ધ્યાને રાખ્યું હોત તો આજે જંગલેશ્વર ના થયુ હોત. સુપ્રીમ કોર્ટમાં પણ ડેમોગ્રાફી બદલવાની ચેષ્ટાને મંજૂર નથી કરાઈ.