
ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાને લઇને મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ઓપરેશન સિંદૂર બાદ અમદાવાદમાં પણ હાઈ એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ એરપોર્ટ અને કાલુપુર રેલવે સ્ટેશન હાઈ એલર્ટ પર છે.એરપોર્ટ અને રેલવે સ્ટેશન પર સુરક્ષા વધારી દેવામાં આવી છે. પ્રવાસીઓની અવરજવર પર નજર રાખવામાં આવી રહી છે. જાહેર સ્થળો પર સુરક્ષા વધારી દેવામાં આવી છે.
બીજી તરફ રાજ્યના તમામ એરપોર્ટ એલર્ટ પર મુકાયા છે. રાજકોટ, ભૂજ અને જામનગર એરપોર્ટ એલર્ટ પર મુકાયા છે. ભૂજનું એરપોર્ટ અચોક્કસ મુદત માટે સામાન્ય નાગરિકો માટે બંધ કરાયું છે. ભૂજમાં સરહદી વિસ્તારમાં બોર્ડર નજીક સુરક્ષા સઘન કરાઇ છે. પાકિસ્તાનના આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઇક બાદ કચ્છમાં તમામ સુરક્ષા એજન્સી એલર્ટ પર છે.
રાજકોટનું હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ ત્રણ દિવસ માટે સિવિલ ફ્લાઈટ માટે બંધ કરાઈ છે. હિરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ મિલિટ્રી વિમાન માટે અનામત આપવામાં આવી છે. ત્રણ દિવસ 24 કલાક મિલિટ્રી વિમાન માટે એરપોર્ટ ખુલ્લુ રાખવામાં આવશે. જામનગરમાં બપોર સુધીની સિવિલ ફ્લાઈટ રદ કરાઈ છે. દીવનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે.
ઓપરેશન સિંદુર બાદ સુરક્ષાના ભાગ રુપે રાજકોટ બાદ ભૂજનું એરપોર્ટ બંધ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવેલી નોટિસ બાદ તંત્રની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ભૂજ એરપોર્ટ પર સિવીલિયન ફ્લાઈટ ઓપરેટ કરવામાં નહીં આવે. તેમજ જામનગરનું એરપોર્ટ પણ બંધ કરવામાં આવ્યું છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, આજે શ્રીનગર એરપોર્ટથી કોઈ પણ પેસેન્જર ફ્લાઇટ ઉડાન ભરશે નહીં. આજની બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી છે. દરમિયાન, ઇન્ડિગો એરલાઇન્સે પણ ટ્રાવેલ એડવાઇઝરી જારી કરી છે. ઇન્ડિગોએ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે બદલાતી એરસ્પેસ સ્થિતિના કારણે શ્રીનગર, જમ્મુ, અમૃતસર, લેહ, ચંદીગઢ અને ધર્મશાલા જતી અને બધી ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. મુસાફરોએ એરપોર્ટ પહોંચતા પહેલા ઇન્ડિગોની વેબસાઇટ પર અપડેટ્સ તપાસવા આવશ્યક છે.
Published On - 11:19 am, Wed, 7 May 25