ભાવનગરમાં નળમાં પીવાના પાણીની સાથે માછલીઓ પણ નીકળી આવી, જુઓ વિડીયો

|

Oct 17, 2021 | 4:43 PM

બોરતળાવ અને આજુબાજુ ની અનેક સોસાયટીઓમાં નળમાંથી માછલીઓ પ્રગટ થતાં લોકોમાં કુતૂહલતા ઉભી થઇ છે અને પીવાનું પાણી કઈ રીતે ઉપયોગ કરવો તેની લોકોમાં ચિંતા ઉભી થવા પામી છે.

BHAVNAGAR : ભાવનગરમાં મહાનગરપાલિકાની ઘોર બેદરકારી સામે આવી છે. ભાવનગરમાં કોર્પોરેશન જાણે માછલીઓની હોમ ડિલીવરી કરતું હોય તેમ નળ ખોલતા જ પાણી સાથે માછલીઓ પણ લોકોના ઘરમાં પહોંચે છે. શહેરના ગૌરીશંકર સોસાયટી, શિવમનગર જેવા વિસ્તારોમાં કોર્પોરેશનના પાણીમાં માછલીઓ વણનોતરી મહેમાનની જેમ આવે છે. માછલીવાળું પાણી પીવા લોકોની મજબુરી બની છે, તો ગંદા પાણીના સેવનથી સ્વાસ્થ્યના પ્રશ્નો તો સર્જાય જ છે, સાથે સાથે લોકોની ધાર્મિક લાગણી પણ દૂભાઈ છે.

આમ તો ભાવનગર શહેરભરમાં લોકોને વિતરણ કરવામાં આવતું પાણી ફિલ્ટર પ્લાન્ટમાંથી આવે છે.ત્યારે એવો પ્રશ્ન સ્વાભાવિક જ ઉઠે કે કરોડો રૂપિયાના ખર્ચે લગાવાયેલા ફિલ્ટર પ્લાન્ટ શું શોભાના ગાઠિયા બની રહ્યા છે.? અગાઉ શહેરમાં ગટરના પાણીથી મિશ્રીત પીવાનું પાણી આવતું હોવાની સમસ્યા હતી.

બોરતળાવ અને આજુબાજુ ની અનેક સોસાયટીઓમાં નળમાંથી માછલીઓ પ્રગટ થતાં લોકોમાં કુતૂહલતા ઉભી થઇ છે અને પીવાનું પાણી કઈ રીતે ઉપયોગ કરવો તેની લોકોમાં ચિંતા ઉભી થવા પામી છે. આ અંગે મનપા દ્વારા તાત્કાલિક જો પગલાં ભરવામાં નહીં આવે તો આ પાણીના લીધે રોગચાળો વકરવાની શક્યતાઓ રહેલી છે.

ભાવનગર મહાનગરપાલિકાના ઘણા વિસ્તારોમાં પીવાનાં પાણીની સમસ્યા છે. શહેરના જવેલ્સ સર્કલ પાસે આવેલ બેથી ત્રણ સોસાયટીમાં પીવાના પાણીમાં જીવતી નાની-નાની માછલીઓ આવી રહી છે, લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા છે. ગૌરીશંકર સોસાયટી અને શિવમનગર વિસ્તારના સ્થાનિક લોકો દ્વારા મહાનગરપાલિકાના અધિકારીને રજૂઆત પણ કરવામાં આવી છે, પરંતુ હર વખતની માફક જાડી ચામડીના અધિકારીઓને ક્યાં કોઈ લોકોની ચિંતા હોય છે તેમ માત્ર મુક પ્રેક્ષક બનીને કોઈ ચિંતા વગર પાણીનું વિતરણ કરાઈ રહ્યું છે.

આ પણ વાંચો : ભાવનગરમાં હવે રોડની ગુણવત્તાની ચકાસણી માટે આધુનિક લેબ બનાવવામાં આવશે

આ પણ વાંચો : કચ્છના બન્ની વિસ્તારમાં ફરી દેખાશે ઘાસના મેદાન, વનવિભાગે NGTના આદેશ બાદ દબાણો દુર કર્યા

 

 

Next Video