BHAVNAGAR : ભાલ પંથકમાં કુદરતનો કહેર, વરસાદી પાણી ભરાતા ખેડૂતોને ઉભો પાક બળી જવાનો ડર
ભાવનગર જીલ્લામાં જામનગર કે જુનાગઢ જેવો અતિભારે વરસાદ થયો નથી, આમ છતાં પણ ભાવનગરના ભાલ પંથકના ગામડાઓમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે.
BHAVNAGAR : સમગ્ર ગુજરાતમાં ચોમાસાના અંત સમયે અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ થવા પામેલ છે. જોકે ભાવનગર જીલ્લામાં જામનગર કે જુનાગઢ જેવો અતિભારે વરસાદ થયો નથી, આમ છતાં પણ ભાવનગરના ભાલ પંથકના ગામડાઓમાં તારાજીના દ્રશ્યો સામે આવ્યા છે. આમ તો આ તારાજી વરસાદના કારણે ચોક્કસ થઇ છે, પરંતુ તે માનવસર્જિત કહી શકાય. હાલ ભાવનગરના ભાલ પંથકના હાલ બેહાલ થયા છે ત્યારે ભાવનગર ના ભાલ પંથકમાં કેવી તારાજી છે તે દ્રશ્યો જોઈને જ સાબિત થઈ જાય છે.
ગુજરાતના કેટલાક જીલ્લામાં કુદરતે કહેર વર્તાવ્યો છે અને વરસાદે તારાજી સર્જી છે. પરંતુ વાત કરીએ તો ભાવનગર જીલ્લામાં વિકાસની દોટ પાછળ ભાવનગરના ભાલ પંથકમાં વિનાશ થઇ રહ્યો છે. સપાટ જમીનને ભાલ પંથક ગણવામાં આવે છે, ભાવનગરથી શરુ થઈને અમદાવાદ જીલ્લા સુધી ભાલ પંથક પથરાયેલો છે. વાત ભાવનગર જીલ્લાના ભાલ પંથકની કરીએ તો આ વિસ્તારમાં કાળુભા, ઘેલો, વેગડ, ઉતાવળી સહિતની નદીઓના પાણી આ વિસ્તારમાં આવી અને સમુદ્રમાં ભળે છે, અને તે કુદરતી ક્રમ છે. અહિયાં આવેલા વિશાળ સપાટ મેદાનોમાં નદીઓના પાણી ભરાઈ રહે છે અને ચોમાસા દરમિયાન આવતા વધારાના પાણી કુદરતી વહેણ મારફતે દરિયામાં ભળી જતા હોય છે.
પરંતુ હવે સરકાર દ્વારા આ સપાટ મેદાનમાં આવેલી જમીનો મીઠાના અગરો માટે ફાળવી દેવામાં આવી છે. જેના કારણે પાણીના નિકાલ માટેના કુદરતી વહેણ બંધ થઇ જતા પાણી આજુબાજુના ગામડાઓના ખેતરોમાં ફરી વળે છે. ગામલોકોના કહેવા મુજબ જ્યારથી મીઠાના આગરો દ્વારા પાળા બનાવી દેવામાં આવ્યા છે ત્યારથી આ ગામડાની દશા ફરી ગઈ છે. હાલ ભાવનગર જીલ્લામાં કહેર વર્તાવે તેવો વરસાદ હજુ પડ્યો નથી, આમ છતાં ભાવનગરના ભાલ પંથકમાં આવેલા માઢીયા,દેવળિયા,સવાઈનગર, સનેસ, ખેતાખાટલી, કાળાતળાવ, સહિતના ગામડાઓ માં નદીઓના પુરના પાણી જે દરિયામાં વહી જવા જોઈએ તેના બદલે ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યા છે.
અહીઆવેલ જમીનોમાં માત્ર ચોમાસામાં જ પાક લેવાતો હોય છે, તેમાય છેલ્લા ત્રણ વરસથી સતત ખેતરોમાં નદીઓના પાણી ફરતા હોવાના કારણે ખેડૂતોની માઠી બેઠી છે અને એ પણ માનવ સર્જિત છે. નાના બાળકની માફક ઉછેરેલ મોલાતમાં ગોઠણસમા પાણી ભરાઈ જવાના કારણે નજર સામે મોલાત મુરજાઈ રહી છે, બિચારા ખેડૂતો કરી પણ શું શકે? આખા ખેતરોના ખેતરો પાણીમાં ડૂબેલ હોય તો પાણી કાઢવું પણ કેમ.
આટલું જ નહી પરંતુ ભાલમાં આવેલા પાળીયાદ, દેવળિયા, રાજપરા, ભાણગઢ સહિતના ગામડાઓમાં જવા માટેનો રસ્તો નજીવા વરસાદ અવતાજ બંધ થઈ જાય છે, કારણ કે આ ગામડાઓમાં જવા માટેના રસ્તામાં ઘેલો નદી આવે છે, જેમાં ઉપરવાસમાં ભારે વરસાદ પડે ત્યારે આ રસ્તો ત્રણ ચાર દિવસ માટે બંધ થઇ જાય છે. હાલ પણ છેલ્લા ત્રણ દિવસથી ઘેલો નદીમાં પાણી આવી જવાના કારણે આ રસ્તો બંધ છે, ત્યારે ટીવી નાઈન ની ટીમ આ વિસ્તારમાં લોકોની વેદના સાંભળવા માટે પહોચી હતી.
જો કે તંત્રના અધિકારીઓએ સ્થળ મુલાકાત લીધી અને સંતોષ માની લીધો હોય તેમ લાગે છે. આ વિસ્તારમાં કલેકટર સહિતના અધિકારીઓ પહોચ્યા હતા મુલાકાત પણ લીધી, પરંતુ ટીવી નાઈન સાથેની વાતમાં કલેકટરે જણાવ્યું હતું કે હાલ પરિસ્થિતિ કોઈ ખરાબ નથી, જો કે મીઠાના અગરો દ્વારા બનાવવામાં આવેલા પાળાઓ અંગે GPC તપાસ કરશે તેમ જણાવ્યું હતું.