BHAVNAGAR : ખખડધજ રસ્તાઓ અને રખડતા ઢોરની સમસ્યાથી જનતા ત્રાહિમામ, કયારે આવશે નિવેડો ?
ભાવનગર શહેરમાં દર ચોમાસામાં ખખડધજ રસ્તાઓ અને પાણી ભરાવાની સમસ્યા સામાન્ય વાત બની ગઇ છે. આ વરસે પણ આ-જ સમસ્યા છે. વધારામાં પુરું રખડતા ઢોરની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ગયા છે.
BHAVNAGAR : દર ચોમાસામાં ખખડધજ ખાડા પડેલા રોડ અને રખડતા ઢોરને લઈને ભાવનગરની પ્રજા ત્રાહિમામ પોકારી જાય છે. કારણકે ચોમાસુ શરૂ થતાં જ શહેરના રોડ રસ્તા પર ખાડાઓનું જાણે સામ્રાજ્ય ઉભું થાય છે. અને લોકો પરેશાન થઈ જાય છે. આવીજ સમસ્યા રખડતા ઢોરની પણ છે જેને લઈને લોકો અકસ્માતોમાં ઇજાગ્રસ્ત થઈ જાય છે. આમ છતાં તંત્રના પેટનું પાણી પણ જરાયે હલતું નથી.
દર વર્ષની માફક આજ સ્થિતિ આ ચોમાસામાં પણ થઇ છે. અનેક જગ્યાએ ખાડાઓ, ભર ચોમાસામાં ખોદકામ શરૂ છે. વરસાદ થતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સામે આવી રહી છે.
ભાવનગર શહેરમાં આ વર્ષે ચોમાસાની સામાન્ય શરૂઆત થઈ ચૂકી છે. ગયા વર્ષેની જેમ આ વર્ષે ધોધમાર વરસાદ વરસ્યો નથી, સામાન્ય વરસાદ હોવા છતાં દર વર્ષની માફક આ વર્ષે પણ શહેરમાં સમસ્યાનો દોર શરૂ થયો છે. જેમાં રસ્તાઓમાં ખાડા પડતા લોકો હાલાકી ભોગવી રહ્યાં છે.
ચોમાસાના પ્રથમ પડેલા વરસાદને લઈને નવા અને જૂના બન્ને રોડ પર ખાડા પડી ગયા છે. આ સિવાય શહેરમાં અનેક જગ્યાઓ પર ડ્રેનેજ લાઈન, સ્ટ્રરોમલાઈનના કામ શરૂ હોવાને લઈને જ્યાં અને ત્યાં મસમોટા ખોદેલા ખાડાઓ જોવા મળી રહ્યા છે. જેને લઈને આજ ખાડાઓમાં પાણી ભરાતા અકસ્માતો પણ સર્જાઈ રહ્યાં છે.
આ બધા જ કામો ચોમાસા પહેલા થવા જોઇએ જે ચોમાસામાં પણ પૂર્ણના થતા અને કામો શરૂ છે. તે મનપાની અણઆવડત છતી કરી રહ્યા છે. શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થયાની શાસકો વાત કરી રહ્યા છે. પરંતુ વાસ્તવિકતા સાવ જુદી જ છે. કારણકે આ ચોમાસામાં ભાવનગરમાં પહેલા વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. ત્યારે હજુ ચોમાસુ અડધું બાકી હોય અને શહેરમાં સમસ્યાઓ વરસાદને લઈને વધી રહી છે.
આવી જ એક સમસ્યા છે શહેરમાં રખડતા ઢોરની જેમાં રસ્તાઓ પર જ્યાં જુવો ત્યાં આખલાઓ જોવા મળે છે. જેને લઈને ટ્રાફિક સમસ્યા પણ ઉભી થાય છે. અને આખલાઓ રોડ પર લોકોને અડફેટે લેવાની પણ ઘટનાઓ સામે આવી છે. ત્યારે લોકોની મુશ્કેલી વધે તે પહેલાં મનપાનું તંત્ર જાગૃત થઈને કામે લાગે તે બહુ જરૂરી છે.
ભાવનગર શહેરમાં પ્રવેશતા જ પ્રવેશદ્વાર સમા રોડ ચિત્રા રોડ પર ખાડાઓનું સામ્રાજ્ય ઉભુ થયું છે. મોટા શહેરમાંથી આવતા લોકો ભાવનગરમાં પ્રવેશતાની સાથે જ શહેરની કદર કરે તેવી સ્થિતિ હોવા છતાં નક્કર કામ થતું નથી, આવીજ સ્થિતિ સીદસર રોડ પર છે. કાળિયાબીડમાં પણ વિરાણી ચોક સહિતના વિસ્તારના મેઈન રોડમાં મસમોટા ખાડા જોવા મળી રહ્યા છે.
આ સિવાય માર્કેટિંગ યાર્ડના મેઈન રોડ પર રખડતા ઢોરના ઝુંડ મોટી સંખ્યામાં રોડની વચ્ચોવચ્ચ ડેરો જમાવીને બેસતા રાહદારીઓ અને ખાસ કરીને મહિલાઓ ભારે મુશ્કેલી ભોગવે છે. શાસક પક્ષ બધું થઈ જવાનું આશ્વાસન આપે છે વિપક્ષ ભ્રષ્ટાચારનો આક્ષેપ કરે છે. જ્યારે હકિકત પ્રજા આ બધીજ સમસ્યાઓ વચ્ચે રિબાઈ છે.