સામાન્યરીતે પોલીસ ટીકા , નારાજગી કે વર્તનને લઈ વિવાદોનો સામનો કરતી હોય છે. પોલીસ અંગેના આ તમામ નકારાત્મક પૂર્વાનુમાનો વચ્ચે ભરૂચ પોલીસે(Bharuch Police) એક એવી કામગીરી કરી છે કે તે જાણી તમે બોલી ઉઠશો સલામ બોસ… ભરૂચ જિલ્લા એસપી તરીકે ચાર્જ સંભાળ્યા બાદ IPS અધિકારી ડો. લીના પાટીલે(Dr. Leena Patil) એક તરફ કડક અધિકારી તરીકેની છાપ ઉભી કરી છે તો બીજી તરફ આજે તેમના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસે બીમાર અને અશક્ત મહિલા અને તેના બાળકો માટે એવી કામગીરી કરી છે કે કડક અધિકારીના માનવતાવાદી ઉદાર હ્ર્દયના પણ દર્શન થયા છે. જાણો શું છે આખો મામલો…
અંકલેશ્વર જીઆઇડીસી માનવ મંદિર વિસ્તારમાં છેલ્લા ઘણાં વર્ષોથી એક મહિલા રખડતી નજરે પડી રહી છે. મહિલા સાથે સમય જતા બે બાળકો પણ નજરે પડ્યા હતા. સ્થાનિકો તરફથી જે મળે તે આરોગી મહિલા પોતાનું અને બે બાળકોનું પેટ ભરતી હતી. મહિલા માનસિક દ્રષ્ટિએ થોડી અસ્વસ્થ છે જે બાળકોનો પણ યોગ્ય ઉછેર કરવામાં સક્ષમ નથી. ચાલુ વર્ષે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા છે. સરેરાશ ૪૦ ડિગ્રીથી ઉપર રહેતા તાપમાં ગરમી સામે ટકી રહેલા શું કરવું તેનો મહિલાને કોઈ ખ્યાલ નથી અને તે નાના બાળકોને લઈ રખડતી રહી હતી.
માનસિક અસ્વસ્થતાના કારણે બગડતી તબિયતની મહિલા પોતાની અને બાળકોની દરકાર રાખી શક્તિ ન હતી. વાત એ હદે વણસી કે બાળકોના ચહેરા ઉપર ગરમીના કારણે સનબર્નની અસરો દેખાવા લાગી તો ડિહાઈડ્રેશનના કારણે ત્રણેયની તબિયત બગડી હતી. આ સ્થિતિ યથાવત રહી તો માતા – અને બાળકોનું સ્વસ્થ્ય ચિંતાજનક સ્તરે પહોંચે તેવી સ્થાનિકો દ્વારા એસપી ડો. લીના પાટીલને રજુઆત કરી હતી. માહિતી મળતા એસપીએ તુરંત અંકલેશ્વરના વિભાગીય પોલીસ અધિક્ષક ચિરાગ દેસાઈ(Chirag Desai)અને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેકટર આર. એન . કરમટીયા(R N Karmatiya)ને સ્થળ તપાસ કરવા અને જરૂરી કાર્યવાહી કરવા જણાવ્યું હતું.
ઉપરી અધિકારીના આદેશ બાદ સ્થાનિક અધિકારીઓએ પણ તુરંત દોડધામ કરી મૂકી હતી. ભોજન અને ઈલાજ આ પરિવારની સમસ્યાનો કાયમી હલ હોવાનું ધ્યાને આવ્યું હતું. પોલીસ તપાસમાં વધુ એક ચિંતાજનક બાબત એ સામે આવી કે મહિલા ની દ્રષ્ટિ પણ ઓછી હતી. પ્રાથમિક મદદ તરીકે ભોજન અને ઈલાજ બાદ પોલીસે પરિવારની મદદ માટે તેમની દેખરેખ રાખે તેવી સંસ્થાઓનો સંપર્ક શરૂ કર્યો હતો. સુરત સ્થિત માનવ મંદિર ટ્રસ્ટ દ્વારા માતા અને બે બાળકોની જવાબદારી સ્વીકારવામાં આવી છે.
પોલીસની વિનંતીના પગલે સંસ્થાએ એમ્બ્યુલન્સ રવાના કરી હતી. ત્રણેયની પ્રાથમિક સારવાર બાદ અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ પાસેથી સંસ્થાએ કબ્જો મેળવ્યો છે. સંસ્થાના સંચાલક અરવિંદભાઈએ જણાવ્યું હતું કે સંસ્થા હાલ ૩૦૦ થી વધુ લોકોની દરકાર કરે છે . પરિવારમાં ત્રણ સભ્યોનો ઉમેરો થતા તેઓ આવકારી રહ્યા છે. સંસ્થા માતા અને તેના બંને બાળકોની દરકાર રાખશે અને સારું જીવન આપવા પ્રયાસ કરશે.
Published On - 9:08 am, Mon, 16 May 22