ગુજરાતમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધન મુદ્દે હવે સ્થિતિ સ્પષ્ટ થઈ છે. જેમા કોંગ્રેસ 4 બેઠકો પૈકી જે બેઠકો દિલ્હી હાઈકમાન્ડ નક્કી કરશે તે બેઠકો આમ આદમી પાર્ટીને આપશે. વિધાનસભાના પરિણામ મુજબ ત્રણ લોકસભા બેઠકો પર આપને કોંગ્રેસથી વધુ વોટ મળ્યા હતા. જેમા સુરત, જામનગર અને દાહોદમાં આમ આદમી પાર્ટીને વધુ મત મળ્યા હતા.
આ ત્રણ લોકસભા બેઠકો સહિત ભાવનગર બેઠક આપવા પણ કોંગ્રેસે તૈયારી બતાવી છે. ભાવનગર બેઠક પર કોંગ્રેસને આમ આદમી પાર્ટી કરતા વધુ મત મળ્યા હતા છતા આ બેઠક કોંગ્રેસ આપને આપવા માટે તૈયાર થઈ છે.
જો કે ભરૂચ બેઠકને લઈને હજુ પેસ ફસાયો છે. આ બેઠક પર પહેલેથી જ સોનિયા ગાંધીના રાજકીય સલાહકાર અને ભરૂચથી સાંસદ રહેલા સ્વ અહેમદ પટેલના પુત્રી મુમતાઝ પટેલ દાવેદારી કરી રહ્યા છે અને તેમણે લોબિંગ પણ શરૂ કરૂ દીધુ છે. આ તરફ આમ આદમી પાર્ટીએ આ બેઠક પર પરથી ચૈતર વસાવાને મેદાને ઉતારવાની જાહેરાત પણ કરી દીધી છે.
આ તરફ મુમતાઝ પટેલ પહેલેથી જ આમ આદમી પાર્ટીને આ બેઠક આપવાને લઈને તેમની નારાજગી વ્યક્ત કરી ચુક્યા છે. તેમણે tv9 સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે કોંગ્રેસના સૈનિક તરીકે જે કોઈ નિર્ણય હશે તેની સાથે છુ પરંતુ કોંગ્રેસના કાર્યકર તરીકે આમ આદમી પાર્ટીનો પ્રચાર નહીં કરુ તેવુ પણ તેમણે સ્પષ્ટ કર્યુ હતુ.
મુમતાઝે તેના સોશિયલ મીડિયા એક્સ પર પણ સાંકેતિક વાત કરી હતી કે મારાપિતાએ મને શિખવ્યું છે કે જીતો કે હારો પરંતુ છેક સુધી લડો અને ધ્યેય ના છોડો. મુમતાઝ પટેલ ઘણા સમયથી જનસંપર્કમાં પણ લાગેલા હતા અને સાથે ‘ભરૂચ કી બેટી કેમ્પેઈન’ પણ સોશિયલ મીડિયામાં ચલાવી રહ્યા હતા.
ભરૂચ બેઠકને લઈને કોકડુ વધુ ગૂંચવાયુ છે. કાર્યકર્તાઓની બેઠકમાં પણ ઉમેદવારના નિર્ણય પર ફેરવિચારની માગ ઉઠી છે. બીજી તરફ અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે Xના માધ્યમથી સીધી પ્રતિક્રિયા આપી અને કહ્યુ કે ગઠબંધનમાં ભરૂચ લોકસભા સીટ આપ પાર્ટીને આપવામાં આવશે તો તેઓ અને કોંગ્રેસના કાર્યકરો આપના ઉમેદવાર માટે કામ નહી કરે.
ફૈઝલ પટેલે મીડિયા સમક્ષ જણાવ્યુ હતુ કે આ બેઠક પર કોંગ્રેસની જીતવાની પ્રબળ શક્યતા છે આથી આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવારને જ તક મળવી જોઈએ. અહીંથી અહેમદ પટેલના બંને સંતાને પોતપોતાનું લોબિંગ કરી રહ્યા છે. પરંતુ જ્યારે ગઠબંધનની વાત આવી તો અહેમદ પટેલના પુત્રએ નિર્ણય હાઈકમાન્ડ નક્કી કરશે તેમ જણાવ્યુ હતુ.
હાલ સ્થિતિ એ પ્રકારની બની રહી છે કે ભરૂચ લોકસભા બેઠક પર ગુજરાત કોંગ્રેસ AAP સાથે ગઠબંધન કરવા માટે તૈયાર નથી અને AAPને આ બેઠક આપવા અંગે પણ નનૈયો ભણવામાં આવ્યો છે. આ અંગેની રજૂઆત પણ દિલ્હી હાઈકમાન્ડ સમક્ષ કરવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીના પરિણામોને ધ્યાનમાં લેવામાં આવે તો પણ એક લાખથી વધુ મત આ બેઠક પરથી કોંગ્રેસને મળ્યા હતા. આથી કોંગ્રેસ સ્પષ્ટપણે માને છે કે ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડવા માટે કોંગ્રેસ આપ કરતા વધુ સક્ષમ છે.
આ તરફ આમ આદમી પાર્ટીએ ભરૂચ લોકસભા બેઠક પરથી ચૈતર વસાવાના નામની જાહેરાત કરી દીધી છે અને આગામી સમયમાં ચૈતર વસાવાની એક રેલીનું પણ આયોજન કરાયુ છે. જો કે આ તમામ વિવાદ વચ્ચે ચૈતર વસાવાએ જણાવ્યુ છે કે ભરૂચ બેઠક પરથી કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડીશુ. ભરૂચમાં કોંગ્રેસ-આપ વચ્ચે સહમતી સધાશે તેવો વિશ્વાસ છે. કોંગ્રેસની નારાજગી અંગે વસાવાએ જણાવ્યુ કે મનદુ:ખ હોઈ શકે પરંતુ ચૂંટણીની રણનીતિ બંને મળીને નક્કી કરશુ.
ચૈતર વસાવા આમ આદમી પાર્ટીનો ગુજરાતમાં સૌથી મહત્વનો અને સૌથી મજબૂત ચહેરો છે. પાંચ બેઠકોમાં સૌથી વધુ લીડથી ચૈતર વસાવા જ વિધાનસભામાં જીત્યા હતા. જેલમાંથી બહાર આવ્યા બાદ ચૈતરની લોકપ્રિયતા પણ વધી ગઇ છે. ત્યારે આમ આદમી પાર્ટી માની રહી છે કે જો ગુજરાતમાં ભાજપને પડકાર આપવો હશે તો ભરૂચ કરતા કોઇ અન્ય સ્થળ ના હોઇ શકે. તેના પાછળના કારણો પણ જાણી લો
હવે જોવાનું એ રહેશે કે ભરૂચ બેઠક પર આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે બંને પાર્ટી પોતપોતાના ઉમેદવાર ઉતારશે !
Published On - 8:34 pm, Thu, 22 February 24