સરકારી શાળાઓ(Government School) સમયાંતરે શિક્ષણની ગુણવત્તા , અપૂરતી સુવિધા અને શિક્ષકોના કારણે ચર્ચા કે વિવાદનો વિષય બને છે. ભરૂચમાં આવો વધુ એક મામલો સામે આવ્યો છે જે સરકારી શાળામાં શિક્ષણની ગુણવત્તા સામે પ્રશ્નાર્થ ઉભા કરે છે. સૌના આશ્ચર્ય વચ્ચે ભરૂચ શહેરની એક મુખ્ય શાળામાં મધ્યાહન ભોજનના રસોઈયા બહેન વર્ગખંડમાં બાળકોને નજરે પડ્યા હતા. શાળાના એકમાત્ર શિક્ષક શાળામાંથી કામના બહાને રવાના થઇ જતા રસોઈની કડછી છોડી મધ્યાન ભોજનના રસોઈયા બહેન શિક્ષિકા બની ગયા હતા.
ગરીબ પરિવાર મફત શિક્ષણ અને મધ્યાહન ભોજનની સુવિધાઓ મળતી હોવા છતાં તફલીફ વેઠીને પણ બાળકને ખાનગી શાળાઓમાં મુકવાનું પસંદ કરી રહ્યા છે. દર વર્ષે શાળાઓમાં બાળકોની સંખ્યા ઘટવા પાછળનું એક કારણ સરકારી શાળાઓમાં ગુણવત્તાના મામલે ઉભા થતા વિવાદ અને શંકાઓ પણ હોય છે જેમાં બાળકોના સારા ભાવિ નિર્માણ માટે માતાપિતા આર્થિક તકલીફ વેઠીને પણ ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરાવવાનું પસંદ કરે છે.
ભરૂચની લાલબજાર મિશ્ર શાળામાં શિક્ષકની ઘટ છે. એકજ શિક્ષક ધોરણ 1 થી 5 ના 50 જેટલા વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવે તેવી વ્યવસ્થા છે. શાળામાં રમેશભાઈ વસાવા એકમાત્ર શિક્ષક છે પરંતુ શાળામાં મધ્યાનભોજન યોજના હેઠળ રસોઈનું કામ કરતા બહેનને શિક્ષિકા બનાવી દેવાયા છે. શાળાના એકમાત્ર શિક્ષક શાળામાંથી કામના બહાને રવાના થઇ જતા રસોઈની કડછી છોડી મધ્યાન ભોજનના કર્મચારી બહેન શિક્ષિકા બની ગયા હતા.
અમારા શિક્ષક બીજી સ્કૂલમાં ગયા છે અમને મધ્યાનભોજન વાળા માસી ભણાવે છે.
ટીવી નાઈન દ્વારા શાળામા શિક્ષણની ગુણવત્તા અંગે રિયાલિટી ચેક કરવામાં આવતા હવે પોળ ખુલ્લી પડતા તમામ એકબીજાનો બચાવ કરી રહ્યા છે. બાળકો અનુસાર રસોઈયા બહેન ભણાવે છે તો MDM યોજનાના સંચાલક બહેન રીસેસ હોવાની બાળકો સાચવવા બેઠા હોવાનો બચાવ કરે છે.
શાળાના શિક્ષક કામથી બહાર ગયા છે .હું રસોઈ કરવા આવું છું. રીસેસ હતી એટલે સાચવવા બેઠી હતી
તો પોતાની ગેરહાજરી વચ્ચે શાળામાં મીડિયાની હાજરીની જાણ થતા શિક્ષક પણ તાબડતોબ શાળામાં આવી પહોંચ્યા હતા.
શાળામાં અગાઉ પ્રવાસી શિક્ષક મુક્યા હતા ફરી લેવાના છે. એકબીજાને સોંપી જવું પડે છે અરજન્ટ કામ હોય તો રસોઈયા બહેનને બેસાડીએ છે
આખો મામલો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ધ્યાન ઉપર મુકવામાં આવતા સંચાલકો તપાસના આદેશ નહિ પણ મજબૂરી વ્યક્ત કરી શિક્ષણની આ ઉણી ઉતરતી ગુણવતા સામે આંખ આડા કાન કરી રહ્યા છે.
શાળાઓમાં શિક્ષકોની ઘટ છે સરકાર ભરતી કરતી નથી પણ હવે પ્રવાસી શિક્ષક મુકવાના છે કુલ ૨૬ શાળા છે. આ સમસ્યાઓ દૂર થશે
વિદ્યાર્થીઓની સતત ઘટતી સંખ્યાના કારણે સરકારી શાળાઓમાં પરિસ્થિતિ એ થઇ રહી છે કે શાળાઓ મર્જ કરવાની ફરજ પડી રહી છે. એક તરફ સરકાર બાળકોને શાળાએ આવવા પ્રેરવા માટે શાળા પ્રવેશોત્સવ જેવા કાર્યક્રમો યોજે છે પણ શાળામાં બાળકોને અભ્યાસનું સિંચન કરવા શિક્ષકના સ્થાને રસોઈયા કામે લગાડવામાં આવે તે કરોડોનું આંધણ કરી શિક્ષની ગુણવત્તા સુધારવાના વાયદાઓ ઉપર ઠંડુ પાણી રેડી રહી છે.
Published On - 12:35 pm, Wed, 29 June 22