અઢી સૈકાથી ઉજવાતા છડી ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું,150 કીલો વજનની અને 30 થી 40 ફૂટ ઊંચી છડી 90 છડીદારોએ ઝુલાવી , જુઓ વિડીયો
ભરૂચમાં ઉજવાતા છડી મહોત્સવમાં છડીને વિવિધ પ્રકારે ઝૂલાવવાની પરંપરા છે. ભોઇ, ખારવા અને વાલ્મિકી સમાજના યુવાનોને છડીદાર તરીકે તૈયાર કરવામાં આવે છે.
ભરૂચ (Bharuch)શહેરમાં અઢી સૈકા ઉપરાંતથી ઉજવાતા મેઘરાજા અને છડી ઉત્સવમાં શુક્રવારે આઠમના પર્વએ ભોઇ સમાજના 90 જેટલા છડીદારોએ વારાફરતી 150 કીલો વજનની અને 30 થી 40 ફૂટ ઉંચાઇની માતા બાછલના પ્રતિક સમાન છડીને ઝુલાવી હતી. આ નજારો નિહાળવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા. ઝૂલતી છડીને જોવા માટે ભોઇવાડમાં આવેલા ઘોઘારાવના મંદિરના ચોકમાં હાજરોની સંખ્યામાં મેદની ઉમટી પડી હતી. આવતીકાલે શનિવારે નોમના દિવસે 2 છડી ભેટાવવામાં આવશે અને ત્યારબાદ મેઘરાજાની માટીમાંથી બનાવેલી પ્રતિમાનું રવિવારે નર્મદા મૈયાના પવિત્ર જળમાં વિસર્જન કરવામાં આવશે.
અઢી સૈકાથી માત્ર ભરૂચમાં ઉજવાતા છડી ઉત્સવમાં માનવ મહેરામણ ઉમટ્યું. નાયબ દંડક દુષ્યંત પટેલ , જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતીસિંહ અટોદરિયા અને ડો. લીના પાટીલ – SP ભરૂચે હાજરી આપી. | #Bharuch #Janmashtami #Tv9News pic.twitter.com/Ta03gELras
— Tv9 Gujarati (@tv9gujarati) August 19, 2022
ભરૂચ શહેરમાં 250 વર્ષ ઉપરાંતથી મેઘરાજાનો ભાતીગળ મેળો ભરાય છે. ભોઈવાડ, ખારવાવાડ તથા લાલબજાર હરીજન વાસમાં આવેલા ઘોઘારાવ મહારાજના મંદિરમાં દર વર્ષે શ્રાવણવદ સાતમથી શ્રાવણ વદ દસમ સુધી છડી તહેવાર ઉજવવામાં આવે છે.
આવતીકાલે છડી નોમનો દિવસ ઘોઘારાવ મહારાજનો પ્રાગટય દિવસ છે. શ્રાવણ વદ સાતમને દિવસે જ્યોતના સ્વરૂપે સ્થાપના કરવામાં આવે છે. સાતમથી દસમ સુધી અખંડ જ્યોત પ્રગટતી રહે છે. જ્યોતના સ્વરૂપે ઘોઘારાવને યાદ કરવામાં આવે છે.
આજે શહેરના ભોઇવાડમાં આવેલા ઘોઘારાવ મંદિરના ચોકમાં માતા બાછલના પ્રતિક સમાન છડીને ઝુલાવવામાં આવી હતી. 30 ફૂટ ઉંચી વાંસમાંથી બનેલી છડીનું વજન 150 કીલો જેટલું હોય છે.
દાંત અને હાથ ઉપર વજનદાર છડીને ઝૂલાવવાની પરંપરા
ભરૂચમાં ઉજવાતા છડી મહોત્સવમાં છડીને વિવિધ પ્રકારે ઝૂલાવવાની પરંપરા છે. ભોઇ, ખારવા અને વાલ્મિકી સમાજના યુવાનોને છડીદાર તરીકે તૈયાર કરવામાં આવે છે. વિશેષ પોષાકમાં સજજ છડીદાર યુવાનો હાથની હથેળી, કમર, કપાળ, ખભા અને દાત ઉપર મુકીને 150 કીલો વજનની છડીને ઝુલાવવામાં આવે છે.
છડી ઝૂલાવતા યુવાનોને દૂધ પીવડાવાનો મહિમા
છડીને ભાોઇ, ખારવા અને વાલ્મિકી સમાજનાં યુવાનો કમર પર ખેસ અને માથા પર ફેટો બાંધી ઝૂલાવે છે. જેઓને દૂધ પીવડાવવાનો મહિમા હોવાથી શ્રદ્ધાળુ મહિલાઓ આસ્થા મુજબ દૂધ લઇ છડી ઝૂલાવતા યુવાનોને પીવડાવવા ઉમટી પડી હતી.
દેશના ઘણાં શહેરોમાં છડી ઉત્સવ એક પ્રકારની રોમાંચક અને આશ્ચર્યજનક ઐતિહાસિક દંતકથા ધરાવે છે. છડી ઉત્સવના દેવને ઘોઘારાવ કહેવામાં આવે છે. ઘણાં શહેરોમાં આ ઉત્સવને ગુંગા ચૌહાણ નામથી પૂજવામાં આવે છે. ઘોઘારાવનો ઉત્સવ ભરૂચમાં સાતમથી નોમ સુધી ધામધૂમથી ઉજવવામાં આવે છે.