ભરૂચ(Bharuch) જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ઘંતુરિયા ગામે નર્મદા નદીમાં આવેલા ઘંતુરિયા બેટ પર જીવતા વન્ય પશુઓની વસ્તી ગણતરી કરવા અને તેમના માટે પીવાના મીઠા પાણીની વ્યવસ્થા કરવા સરકાર, CPCB, GPCB, અધિક મુખ્ય સચિવ, ભરૂચ કલેકટર, વન વિભાગને ભરૂચ જિલ્લા માછી સમાજ દ્વારા રજુઆત કરવામાં આવી છે. અંકલેશ્વર તાલુકાના ઘંતુરિયા અને ભરૂચના વડવાની વચ્ચેથી વહેતી નર્મદા નદીના વહેણની વચ્ચે CRZ વિસ્તારમાં વિશાળ ઘંતુરિયા બેટ બનેલો છે. આ ઘંતુરિયા બેટ પર મોટી સંખ્યામાં ખેડૂતો પણ 50 વર્ષો ઉપરાંતથી ખેતી કરીને પોતાના પરીવારનું જીવન નિર્વાહ કરે છે.
ઘંતુરિયા બેટ ઉપર જંગલી રાણી ગાય અને સાંઢ , જંગલી શ્વાન, શિયાળ, રોઝ, નીલગાય, ઝરખ, દીપડા, સાપ, અજગર અને બીજી ઘણા વન્ય પશુઓ વસવાટ કરે છે. આ પશુઓના અસ્તિત્વ સામે ખતરો આવી શકે છે. નર્મદા નદીના પાણી આ વિસ્તારમાં લાંબા સમય સુધી ખારા થઈ રહ્યા છે ત્યાંરે ત્યારે પીવાલાયક પાણીની અછતને કારણે કાળઝાળ ગરમીમાં આ પશુઓના મૃત્યુ નીપજી શકે છે.
માછી સમાજના પ્રમુખ કમલેશ મઢીવાળાએ જણાવ્યું હતું કે પશુઓ પીવાના પાણીના અભાવે મરી રહ્યા છે. સમસ્યસર પગલાં નહિ ભરાય તો અહીંના વન્ય પશુઓ ભૂતકાળ બની શકે છે. સમસયર સરકારે જાગીને પાણી માટે વ્યવસ્થા કરવી જોઈએ.
વર્તમાન સમયમાં જ્યારે વનવિસ્તાર ઘટી રહ્યા છે તથા વન્ય પશુઓના વસવાટનો વિસ્તાર ઘટી રહ્યો છે ત્યારે આ ઘંતુરિયા બેટ અને તેમાં વસતા વન્ય પશુઓની જાળવણી રાખવી ખૂબ જરૂરી છે અને વર્તમાન સમયની લોકોની આ માંગ પણ છે જેથી ઘંતુરિયા બેટ પર વસતા પ્રાણીઓની વસ્તી ગણતરી કરી તેમના માટે તથા ખેડૂતો માટે મીઠા પાણીની વ્યવસ્થા કરવી તાત્કાલિક ધોરણે ખૂબ જરૂરી છે. ભરૂચ જિલ્લા સમસ્ત માછી સમાજના પ્રમુખ કમલેશ મઢીવાલાએ સરકારમાં મેઈલ કરી આવેદનપત્ર આપીને ઘંતુરિયા બેટ સંબંધિત જરૂરી કાર્યવાહી કરવા માંગણી કરી છે.
Published On - 7:14 pm, Thu, 5 May 22