
ભરૂચ : આકર્ષક કમાણી અને બિઝનેસ ફ્રેન્ચાઈઝી આપવાના નામે લાખો રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. ભરૂચ શહેરના ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગે વિધિવત રીતે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મળતી માહિતી મુજબ ભરૂચના ભારતી નગર-1 માં રહેતા આશિષભાઈ નેલસનકુમાર કિશ્વયન નામના 25 વર્ષીય યુવાને આ મામલે ફરિયાદ નોંધાવી છે.
પોલીસ સૂત્રીય માહિતી અનુસાર આ ઘટનાની શરૂઆત 21 ફેબ્રુઆરી 2026 ના રોજ થઈ હતી જ્યારે ફરિયાદીએ તેમના મિત્રના સ્ટેટસમાં ફ્રેન્ચાઈઝી અંગેની જાહેરાત જોઈ સંપર્ક કર્યો હતો. 25 ફેબ્રુઆરી 2026 થી લઈને 24 મે 2026 ના સમયગાળા દરમિયાન આરોપીઓએ ફરિયાદી સાથે એક સુઆયોજિત ગુનાહિત કાવતરૂં રચી આ છેતરપિંડીને અંજામ આપ્યો હતો. આરોપીઓ સૌરભકુમાર હેમંતરાવ શેરે તેમની પત્ની અને ‘સ્પાઈસ સ્પીયર્સ’ કંપનીના મલિક વૈભવીબેન શેરે તથા જૈમીનભાઈ ડોંગરે નાઓએ લોકોને વેપારના નામે વિશ્વાસમાં લીધા હતા.
આ મંડળીએ રોકાણકારોને જણાવ્યું હતું કે ‘કુલ્ચા ક્રાફ્ટ’ અને ‘વર્ધયન કેફે’ નામના આઉટલેટ્સમાં ખુબ સારી કમાણી થશે અને મટીરીયલ, લેબર તેમજ દુકાન ભાડાનું તમામ મેનેજમેન્ટ કંપની પોતે સંભાળશે. આ લોભામણી વાતોમાં આવીને ફરિયાદીએ પોતાના પિતાના બેંક ખાતામાંથી આરોપીની કંપનીના ખાતામાં અલગ-અલગ તારીખે કુલ ₹21,27,000/- ટ્રાન્સફર કર્યા હતા. એટલું જ નહીં, દુકાનનું એડવાન્સ ભાડું ₹66,000/- પણ ફરિયાદી પાસેથી ચૂકવડાવવામાં આવ્યું હતું.
ઠગાઈની હદ તો ત્યારે થઈ જ્યારે આરોપી સૌરભકુમારે પોતાનું બેંક એકાઉન્ટ ફ્રીઝ થઈ ગયું હોવાનું અને લેબરનો પગાર ચૂકવવાનો હોવાનું ખોટું બહાનું બતાવ્યું હતું. ફરિયાદીએ તેમની વાતોમાં આવીને પોતાની સોનાની લકી વેચીને ₹4,23,000/- રોકડા સમસ્યાનો હંગામી હાલ કાઢવા આરોપીને આપ્યા હતા. આ ઉપરાંત, ફરિયાદીએ બે મહિના સુધી આ કંપનીમાં નોકરી પણ કરી હતી જેનો ₹30,000/- પગાર પણ આરોપીઓએ ચૂકવ્યો ન હતો. આમ કોઈપણ આઉટલેટ ખોલી ન આપીને કુલ ₹26,46,000/- ની મોટી છેતરપિંડી આચરી આરોપીઓ પોતાના ઘર બંધ કરીને નાસી છૂટ્યા છે.
આ મામલે પોલીસ તપાસમાં અન્ય એક ચોંકાવનારો ખુલાસો થવાની પણ પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયા મુજબ, ઠગબાજ આરોપીઓએ માત્ર આશિષભાઈને જ નહીં, પરંતુ અન્ય ઘણા વ્યક્તિઓને પણ આ જ રીતે આકર્ષક બિઝનેસ ફ્રેન્ચાઈઝી આપવાના બહાને પોતાની જાળમાં ફસાવ્યા હોવાની વિગતો સામે આવી રહી છે. આરોપીઓ જે રીતે કરોડોની કમાણીની લોભામણી વાતો કરીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા અને ત્યારબાદ પોતાના ઘર બંધ કરીને નાસી છૂટ્યા છે, તે જોતાં આગામી દિવસોમાં આ છેતરપિંડીનો ભોગ બનનાર અન્ય ઘણા લોકો પણ પોલીસનો સંપર્ક કરી શકે છે. જો વધુ ભોગ બનનાર લોકો સામે આવીને પોતાની ફરિયાદ નોંધાવશે, તો આ કૌભાંડનો કુલ આંકડો આગામી સમયમાં લાખોમાંથી કરોડો રૂપિયા સુધી પહોંચી શકે છે તેવી આશંકા પણ નકારી શકાતી નથી.
આરોપીઓ કરોડો રૂપિયાનું કૌભાંડ આચરીને ફરાર થઈ જતાં ભોગ બનનારા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ જ આક્રોશ વચ્ચે ઠગાઈનો ભોગ બનનારા લોકોના એક મોટા ટોળાએ ભારતીનગર સ્થિત આરોપીના નિવાસસ્થાને પહોંચીને ભારે હંગામો મચાવ્યો હતો અને પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો. આરોપીના ઘરે મામલો ગરમાતાં અને વાત વધુ વણસતી નજરે પડતાં જ સ્થાનિક પોલીસની એક ખાસ ટુકડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે સ્થિતિની ગંભીરતાને સમજીને સમયસર દરમિયાનગીરી કરી આખા મામલાને શાંત પાડ્યો હતો અને કાયદો તેમજ વ્યવસ્થાની સ્થિતિ વણસે નહીં તે રીતે સમગ્ર પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
મહિલા સંચાલક સહિત બે આરોપીઓ મળી આવ્યા, મુખ્ય સૂત્રધાર હજુ ફરાર
ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે આ સમગ્ર કૌભાંડમાં સંડોવાયેલા ઠગ સામે સકંજો કસવાનું શરૂ કરી દીધું છે. રોકાણકારો દ્વારા નોંધાવવામાં આવેલી સત્તાવાર ફરિયાદના આધારે ત્વરિત એક્શન લેતા પોલીસે આ ગુનાહિત રેકેટમાં સામેલ વૈભવી શેરે નામની મહિલા આરોપી તેમજ અન્ય એક સહ-આરોપીને શોધી કાઢ્યા છે. જો કે, આ આખી છેતરપિંડીનો મુખ્ય સૂત્રધાર સૌરભ શેરે હજુ પણ પોલીસ પકડથી દૂર છે. હાલમાં પોલીસ દ્વારા પકડાયેલા બંને આરોપીઓની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે, જ્યારે ફરાર મુખ્ય આરોપી સહિતના અન્ય સાગરીતોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.
આ સમગ્ર મામલે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 173 હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓ વિરુદ્ધ BNS ની કલમ 318(4) – છેતરપિંડી, 316(2) – વિશ્વાસઘાત અને 61(2) – ગુનાહિત કાવતરૂં હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસની સત્તાવાર તપાસ પોલીસ સબ ઇન્સ્પેક્ટર ઓમપ્રકાશ પાટીલને સોંપવામાં આવી છે. પોલીસ હાલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ દિશામાં ચક્રો ગતિમાન કર્યા છે.
Published On - 12:16 pm, Mon, 25 May 26