તમે ક્યાંય નહીં જોયા હોય આવા ચાહકો, જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષીને તેમના 91માં જન્મદિવસ નિમિતે વાચકોની અનોખી ભેટ, જુઓ Video
ચંદ્રકાંત બક્ષીનો આજે 91મો જન્મદિવસ છે. જોકે હવે વાચકો કરશે બક્ષીના ઘરનો જીર્ણોદ્ધાર હા બક્ષી જ્યાં રહેતા તે ઘર ચાહકોએ ખરીદ્યું છે અને બક્ષીના મકાનને મ્યુઝિયમ બનાવાશે.કયા કારણોને લઈ ચાહકોએ આ પગલું લીધું તેના માટે વાંચો સમગ્ર અહેવાલ
![તમે ક્યાંય નહીં જોયા હોય આવા ચાહકો, જાણીતા લેખક ચંદ્રકાંત બક્ષીને તેમના 91માં જન્મદિવસ નિમિતે વાચકોની અનોખી ભેટ, જુઓ Video](https://images.tv9gujarati.com/wp-content/uploads/2023/08/palanpur-unique-gift-from-readers-to-Chandrakant-Bakshi-on-his-91st-birthday-watch-Video-1.jpg?w=1280)
એક સાંજની મુલાકાત, બસ એક જ જિંદગી, પડઘા ડૂબી ગયા, એકલતાના કિનારા. આ કોઈ ગુજરાતી ફિલ્મોના નામ નથી. આ એ નવલકથાઓ છે, જેને એક એવા લેખકે લખી છે. જેનો આજે જન્મદિવસ છે. ખરબચડો ચહેરો અને ધારદાર કલમ. કદાચ આટલું પૂરતું છે ચંદ્રકાંત બક્ષીને ઓળખવા માટે. જી હાં 20 ઓગસ્ટ 1932માં પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં જન્મેલા ચંદ્રકાંત બક્ષીનો આજે જન્મદિવસ છે.
સ્વ. ચંદ્રકાંત બક્ષી આ નામને દેશ અને દુનિયામાં કદાચ કોઈ ન ઓળખતું હોય એવું નહીં હોય. પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં જૈન પરિવારમાં જન્મેલા ચંદ્રકાંત બક્ષીએ બાળપણ પાલનપુરની ગલીઓમાં અને ખોડા લીમડા વિસ્તારમાં વિતાવ્યું હતું. ત્યારબાદ ચંદ્રકાંત બક્ષીએ પાલનપુર કલકત્તા અને મુંબઈમાં સંઘર્ષપૂર્ણ જીવન જીવ્યા અને છેલ્લે અમદાવાદમાં સ્થાયી થયા હતા. તેમના ચાહકો તેમને બક્ષી બાબુ તરીકે જ ઓળખે છે. કારણ કે તેમની વાણીમાં છટા અને સ્વતંત્રતા હતી. જેને કારણે જ બક્ષી બાબુએ દેશ અને દુનિયામાં નામના મેળવી.
પાલનપુરના ખોડા લીમડા વિસ્તારમાં તેમની ધરોહર સ્વરૂપે એક મકાન છે. જે મકાન વર્ષ 1960માં તેમના ભાઈએ કોઈ અન્ય વ્યક્તિને વેચી દીધું હતું. જોકે ચંદ્રકાંત બક્ષીના ચાહકોને આ વાતની ખબર પડી ત્યારે તેમના વાચકો અને તેમના ચાહકોએ એક થઈને મકાન માલિકની શોધખોળ કરી. મકાન માલિક મુંબઈ હતા ત્યારે તેમને આ વાત કરી અને તેમની પાસેથી આ મકાન ખરીદ્યું. જેમ-જેમ વાચકો ભેગા થતા ગયા તેમ-તેમ આ મકાનને શોધવાની અને ખરીદવાની પ્રક્રિયા થતી ગઈ અને વાચકોએ તેમની પાલનપુરની આ સ્મૃતિને આ ધરોહરને હવે નવીન બનાવી અને તેમાં એક મ્યુઝિયમ બનાવવાનું નક્કી કર્યું છે.
ચંદ્રકાંત બક્ષીની યાદો જળવાઈ રહે, તેમના પુસ્તકો જળવાઈ રહે, તેમના સ્મૃતિ ચિન્હો જળવાઈ રહે તે માટે વાચકોએ આ એક પહેલ કરી છે. કદાચ ગુજરાત અથવા દેશમાં આ પ્રથમ એવી ઘટના હશે કે કોઈ લેખકના વાચકોએ તેમના મકાનને ખરીદી અને તેમની ધરોહરને જાળવવાનું પ્રયાસ કર્યો છે. ચંદ્રકાંત બક્ષી એક સ્પષ્ટ અને છટાદાર લેખક હતા અને જેના લીધે જ તેમનો ચાહક વર્ગ બહોળો છે. આ તમામ વાચકો આજે એક થયા છે અને તેમની ધરોહરને આગામી સમયમાં તેમની કીર્તિને દેશ અને દુનિયામાં પહોંચાડવાનો પ્રયાસ કરશે.
બનાસકાંઠા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો