Banaskantha : પાંથાવાડા એપીએમસી કબજે કરવા, ભાજપના જ ત્રણ જૂથ સામસામે
Banaskantha : પાંથાવાડા એપીએમસીની (Apmc Panthawada) ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો વધી ગયો છે. સહકારી ક્ષેત્રના એપીએમસીમાં સત્તા હાંસલ કરીને રાજકીય કદ વધારવા માટે ભાજપના જ ત્રણ જૂથ સામસામે લડી રહ્યાં છે. જો કે સમગ્ર ચિત્ર 10 જુલાઈએ સ્પષ્ટ થશે.
Banaskantha : બનાસકાંઠા જિલ્લામાં સહકાર રાજકારણમાં સૌથી અગત્યનું સ્થાન છે. જીલ્લાના સરહદી વિસ્તારમાં આવેલી પાંથાવાડા એપીએમસીની (Apmc Panthawada) ચૂંટણી લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના જ ત્રણ જૂથો સામસામે આવી જતા સહકારના રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
ખેડૂતો અને વેપારીઓના સહકારથી ચાલતી એપીએમસી પર સત્તાનું સુકાન મેળવવા માટે રાજકીય હોદ્દેદારો એડીચોટીનું જૉર લગાવે છે. બનાસકાંઠા જિલ્લામાં સહકારી રાજકારણમાં સૌથી અગત્યનું સ્થાન છે. તેમાં પણ એપીએમસીમાં સત્તાના સ્થાન મેળવ્યા બાદ રાજકીય વ્યક્તિઓનું પ્રભુત્વ વધતું હોય છે.
બનાસકાંઠા જિલ્લાના રાજસ્થાનને અડીને આવેલા સરહદી વિસ્તારમાં પાંથાવાડા એપીએમસી અગત્યનું સ્થાન ધરાવે છે. જે અત્યારે ભાજપના જ સવસી ચૌધરી સત્તા સ્થાને છે. પરંતુ ચૂંટણી આવતાં જ ભાજપના ત્રણ જૂથો સક્રિય બન્યા છે. વર્તમાન ચેરમેન સહિત, ભાજપના આગેલાની હેઠળ વધુ બે પેનલે ચૂંટણીમાં ઝંપલાવ્યુ છે. જેના કારણે રાજકારણમાં ગરમાવો આવ્યો છે.
વર્તમાન ચેરમેનનું કહેવું છે કે છેલ્લા પાંચ વર્ષથી જે પ્રકારે તેમના સમગ્ર નિયામક મંડળ દ્વારા ખેડૂતો અને વેપારીઓના હિતલક્ષી નિર્ણય કર્યા છે. તેના કારણે ખેડૂતો અને વેપારીઓ તેમની સાથે રહેશે અને તેમનો ભવ્ય વિજય થશે.આ ચૂંટણીમાં કુલ 89 ઉમેદવારી ફોર્મ ભરાયા છે. જે પૈકી ખેડૂત વિભાગમાં 66 ફોર્મ, વેપારી વિભાગમાં 18 ફોર્મ, ખરીદ વેચાણ સંઘમાં 5 ફોર્મ ભરાયા છે.
વર્તમાન નિયામક મંડળ સામે ભાજપના જ બે જૂથો સક્રિય બનતા હવે સત્તાના સુકાન મેળવવા માટે પડાપડી થઇ રહી છે. જિલ્લા ભાજપના મંત્રી ફાલ્ગુની ત્રિવેદી દ્વારા પોતાની સમગ્ર પેનલ ઉતારવામાં આવી છે. જેના કારણે ભાજપના જ લોકો સામસામે ચૂંટણી લડી રહ્યા છે. ભાજપના મંત્રી ફાલ્ગુની ત્રિવેદીનું કહેવું છે કે આ વિસ્તારના ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા માટે તેઓએ એપીએમસીમાં પોતાની પેનલ સાથે દાવેદારી નોંધાવી છે.
પાંથાવાડા એપીએમસીમાં ભાજપના આગેવાનો અને પદાધિકારીઓ આમને-સામને છે. જોવાનું રહેશે કે 10 તારીખે ચૂંટણીનું પરિણામ અને સત્તાનું સુકાન કોને મળે છે.