બનાસકાંઠામાં (Banaskantha) લમ્પી વાયરસનો પગપેસારો થતા પશુપાલકો (Cattle) ચિંતિત બન્યા છે. બીજી તરફ તંત્ર દોડતું થયું છે અને અસરગ્રસ્ત વિસ્તારમાં પશુઓનો સર્વે કરી બીમાર પશુઓની સારવાર શરૂ કરી છે. હવે બનાસકાંઠામાં લમ્પી વાયરસનું (Lumpy virus) સંકટ વધતા બનાસ ડેરીએ પશુપાલકો માટે સૂચના જાહેર કરી છે. બનાસ ડેરીએ પશુપાલકોને લમ્પી વાયરથી સંક્રમિત પશુનું દૂધ મંડળીમાં ન ભરાવવા સૂચના આપી છે. બીજી તરફ તંત્ર દ્વારા પશુઓનું રસીકરણ શરુ કરવામાં આવ્યુ છે. જેથી લમ્પી વાયરસનું સંક્રમણ વધતા અટકે.
બનાસકાંઠામાં અત્યાર સુધીમાં બનાસકાંઠામાં તાલુકામાં 223 પશુઓ લમ્પી વાયરસનો (lumpy virus) શિકાર બન્યા હોવાનો તંત્રએ દાવો કર્યો છે. જિલ્લાના થરાદ, વાવ, દિયોદર, સુઈગામ અને ધાનેરા તાલુકામાં (Dhanera Taluka) લમ્પીની એન્ટ્રી થતાં પશુપાલકોની મુશ્કેલી વધી છે. ત્યારે બનાસકાંઠામાં લમ્પી વાયરસનું સંકટ વધતા બનાસ ડેરીએ પશુપાલકો માટે મહત્વની સૂચના જાહેર કરી છે.
બનાસ ડેરીએ પશુપાલકોને લમ્પી વાયરથી સંક્રમિત પશુનું દૂધ મંડળીમાં ન ભરાવવા સૂચના આપી છે. આ ઉપરાંત લમ્પીગ્રસ્ત પશુઓના દૂધનો ખાવામાં ઉપયોગ ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે. બનાસ ડેરીના 16 સેન્ટર પર 155 વેટરનરી ડોક્ટરની ટીમ 24 કલાક પશુઓની સારવાર માટે ખડેપગે છે.
બનાસકાંઠાના દિયોદર, થરાદ, વાવ, સુઇગામ, ભાભર અને ધાનેરા તાલુકામાં લમ્પીએ કહેર મચાવતા અનેક પશુઓ વાયરસથી સંક્રમિત થયા છે. ત્યારે ધાનેરાના મગરાવા ગામે DDO સહિત વેટરનરી ડોક્ટરોની ટીમે મુલાકાત લીધી હતી. બીજી તરફ સ્થાનિકો દાવો કરી રહ્યા છે કે, માત્ર ધાનેરાના મગરવા ગામે જ લમ્પી વાયરસના 300 કેસ નોંધાયા છે. એટલે કે તંત્ર ખોટો આંકડો દર્શાવી રહ્યું છે. આ તરફ દિયોદર તાલુકાના રૈયા ગામના એક પશુપાલકે દાવો કર્યો છે કે, તેમના એક સાથે પાંચ પશુઓમાં લમ્પી વાયરસ નોંધાયો હતો. જેમાંથી બે ગાયોના મોત થયા છે. પશુઓના મોતથી ડેરીમાં જતું દૂધ ઘટી ગયુ છે.
રાજ્યભરમાં જે પશુપાલકો ગાયનું દૂધ વેચીને ગુજરાન ચલાવતા હતા એ ગાય પર હવે લમ્પી વાયરસનો કહેર વર્તાઈ રહ્યો છે. પશુપાલકોની સ્થિતિ એવી છે કે આંખો સામે જ ગાય મરી રહી છે જેની સામે પશુપાલકો પણ લાચાર બન્યા છે, ત્યારે સૌથી વધુ ગાયોના મોત થતા દૂધના ઉત્પાદનમાં પણ ઘટાડો નોંધાયો છે. બનાસકાંઠાના પશુપાલકોએ જણાવ્યું કે સરકાર વહેલી તકે રાહત આપે.