હાલના કોરોના મહામારીના દૃશ્યને ધ્યાનમાં રાખીને મુસાફરોને પશ્ચિમ રેલ્વેના અમદાવાદ સ્ટેશન પર કોવિડ-19 પ્રોટોકોલનું પાલન કરવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે. માહિતી આપતા મંડળ રેલ પ્રબંધક દિપક કુમાર ઝાએ જણાવ્યું હતું કે કોરોના માર્ગદર્શિકાને અનુસરવા મંડળ દ્વારા કડક પગલા લેવામાં આવ્યા છે. અમદાવાદ સ્ટેશન પર મુસાફરની અવરજવર સુવ્યવસ્થિત કરવા માટે પ્લેટફોર્મ પર પ્રવેશ અને બહાર નીકળવાની વિસ્તૃત વ્યવસ્થા કરવામાં આવી છે. પ્લેટફોર્મ પર મુસાફરોના કોરોના પરીક્ષણ માટે થર્મલ ચેકિંગની સાથે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી કોવિડ પરિક્ષણ મથક બનાવવામાં આવ્યું છે.
જ્યાં નેગેટિવ રિપોર્ટ ન હોય તેવા મુસાફરોની તપાસ કરવામાં આવી રહી છે, આરપીએફ અને જીઆરપી ચેકિંગ સ્ટાફ દ્વારા પૂરો સહયોગ મળી રહ્યો છે અને મુસાફરોની ટિકિટ ચેકિંગ સાથે નેગેટિવ રિપોર્ટ પણ તપાસવામાં આવી રહ્યો છે. તેમણે માહિતી આપી કે ભીડ નિયંત્રણ માટે પણ અનેક પગલા લેવામાં આવ્યા છે અને પ્લેટફોર્મ પર કોઈ ભીડ ન થાય તે માટે 24*7 અમદાવાદ સ્ટેશન પર સતત નજર રાખવામાં આવી રહી છે. પેટ્રોલિંગ પણ આરપીએફ અને સેગવે દ્વારા કરવામાં આવી રહ્યું છે અને મુસાફરોને તેમના હિતમાં આખી મુસાફરી દરમિયાન માસ્ક પહેરવાની અને કોવિડ પ્રોટોકોલનું કડક પાલન કરવાની સલાહ આપવામાં આવી રહી છે.
આરપીએફ અને જીઆરપીની સંયુક્ત કામગીરીમાં તમામ મુસાફરો દ્વારા ફેસ માસ્ક/ફેસ કવરની ખાતરી કરવા માટે (રેલ્વે પરિસરમાં સ્વચ્છતાને અસર કરતી પ્રવૃત્તિઓ માટે દંડ) ભારતીય રેલવે નિયમો 2012 હેઠળ અત્યાર સુધીમાં 18 વ્યક્તિઓને 15,400/- દંડ ફટકારવામાં આવ્યો છે. શ્રી ઝાએ માહિતી આપી હતી કે સ્ટેશનો પર કોવિડ પ્રોટોકોલનું પાલન થાય તે માટે પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમની સાથે ડિજિટલ સ્ક્રીન દ્વારા પણ ઘોષણા કરવામાં આવી રહી છે.
તે જ રીતે કોવિડ પ્રોટોકોલથી સંબંધિત એક વ્યાપક જાગૃતિ અભિયાન પણ સોશિયલ મીડિયા માધ્યમો જેવા કે ટ્વીટર વગેરે પ્લેટફોર્મ પર આકર્ષક ઈન્ફોગ્રાફિક, વેબ કાર્ડ્સ, ઈ-પોસ્ટર્સ અને વીડિયો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. આર.પી.એફ. દ્વારા અમદાવાદ સ્ટેશનના (કાલુપુર સાઈડ) કોનકર્સ હોલ ખાતે “હેલ્પ ડેસ્ક” શરૂ કરવામાં આવ્યો છે, જે 24*7 કાર્યરત છે. પશ્ચિમ રેલ્વે તેના તમામ મુસાફરોને મુસાફરી કરતી વખતે સામાજિક અંતર અને માસ્ક પહેરવાના કોવિડ -19 માપદંડો, પ્રોટોકોલ અને SOPનું પાલન કરવા અનુરોધ કરે છે, તેમજ મુસાફરોને કોઈપણ પ્રકારની અફવાઓ-ખોટી પોસ્ટ પર વિશ્વાસ ન કરવા વિનંતી છે અને જો જરૂરી હોય તો હેલ્પ ડેસ્ક ની મદદ લે તેવી પણ અપીલ કરાઈ છે.
આ પણ વાંચો: રૂપાણી સરકારનો મહત્વનો નિર્ણય, રાજ્યમાં 1લી મેથી 18થી 45 વર્ષની વયના લોકોને વિનામુલ્યે કોરોનાની રસી અપાશે