અમદાવાદ થી માલપુર જઈ રહેલી એસટી બસ આગમાં લપેટાઈ, ચાલકની સમયસૂચકતાથી મુસાફરોનો બચાવ- Video
ચાલક અને કંડકટરે બસમાં રહેલા મુસાફરોને બહાર ઉતરવા સૂચના આપતા ધૂમાડાની સ્થિતી જોઈને પરિસ્થિતી પામી ગયેલા મુસાફરો પણ ઝડપભેર બસમાંથી ઉતરીને દૂર થઈ ગયા હતા. ત્યાર બાદ બસ અચાનક જ ભડકે બળવા લાગી.
અરવલ્લી જિલ્લામાં મોડાસા થી લુણાવાડા હાઈવે પર માલપુર નજીક જેસવાડી પાસે એસટી બસ (ST Bus) માં અચાનક જ આગ ફાટી નિકળી હતી. અમદાવાદ (Ahmedabad) થી માલપુર તરફ જઈ રહેલી બસમાં શરુઆતમાં ધૂમાડાના ગોટેગોટા ઉડવા લાગતા ચાલકે સમયસૂચકતા વાપરીને બસને રોડની સાઈડમાં ઉભી કરી દીધી હતી. ચાલક અને કંડકટરે બસમાં રહેલા મુસાફરોને બહાર ઉતરવા સૂચના આપતા ધૂમાડાની સ્થિતી જોઈને પરિસ્થિતી પામી ગયેલા મુસાફરો પણ ઝડપભેર બસમાંથી ઉતરીને દૂર થઈ ગયા હતા. ત્યાર બાદ બસ અચાનક જ ભડકે બળવા લાગી હતી. આ દૃશ્યો જોઈને આસપાસના લોકો અને વાહનચાલકો ઉભા રહીને બચાવ માટે દોડી આવ્યા હતા.
અમદાવાદ થી માલપુર જઈ રહેલી આ બસ મોડાસા ડેપોથી નિકળીને તેના અંતિમ સ્થાન પર પહોંચવાની તૈયારી હતી. આ દરમિયાન જ અચાનક જ બસમાં ઘૂમાડાની સ્થિતી સર્જાઈ હતી. ધૂમાડો અને ગંધ પારખીને ચાલકને બસમાં કંઈક ગરબડ હોવાનુ જણાયુ હોઈ તેણે બસને રોકી દીધી હતી અને સ્ટેટ હાઈવેની સાઈડમાં ઉભી કરી દીધી હતી. આ સાથે જ ચાલક અને કંડકટરે સમય સ્થિતીને જોઈ મુસાફરોને સલામતીના કારણોસર બસની બહાર ઝડપથી ઉતરી જવા અને બસથી દૂર જવા માટે સૂચના આપી હતી.
બસથી મુસાફરો દૂર થઈ રહ્યા હતા એ દરમિયાન જ બસમાં આગની જ્વાળાઓ દેખાવા લાગી હતી. જેને જોઈને મોડાસા ફાયર ફાયટરને પણ કોલ કર્યો હતો. મોડાસા નગર પાલિકાના ફાયર વિભાગનુ ફાયર ફાયટર પણ એસટી બસમાં આગ લાગી હોવાને લઈ ઝડપભેર જેસવાડી પહોંચવા માટે નિકળી ચૂક્યુ હતુ. જોકે ફાયર ફાયટર પહોંચે એ પહેલા જ આગ વધુ પ્રસરી જતા એસટી બસ આગમાં ખાખ થઈ ચુકી હતી.
ચાલકની સમયસૂચકતાને લઈને બસમાં સવાર મુસાફરો સમયસર નિચે ઉતરીને બસથી દુર થઈ જવાને લઈ મોટી જાનહાની ને ટાળી શકાઈ હતી. મુસાફરો પણ બસથી દૂર નજીકના ખેતરોમાં દોડી ગયા હતા અને બસને ભડકે બળતી જોઈને ચિંતામાં મુકાઈ ગયા હતા અને પોતાનો જીવ બચ્યાની રાહત અનુભવતા હતા. કેટલાક મુસફરો અને આસપાસના લોકોએ બસ આગમાં લપેટાઈ જવાને લઈ ફોટો અને વિડીયો પોતાના મોબાઈલ ફોનમાં કંડાર્યા હતા.
#GSRTC bus catches fire in #Aravalli, no one injured #Gujarat #TV9News pic.twitter.com/IsaxJ3XOSp
— Tv9 Gujarati (@tv9gujarati) June 19, 2022
આગનુ કારણ જાણવા તપાસ હાથ ધરાશે
એસટી બસમાં આગ લાગવાની ઘટનાને લઈ માલપુર પોલીસ પણ સ્થળ પર દોડી આવી હતી. પોલીસે પણ ઘટનાની પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. એસટી ડિવિઝન હિંમતનગરના અધિકારીઓ અને નજીકના ડેપો મેનેજર સહિતનો કાફલો પણ સ્થળ પર દોડી આવીને આગ લાગવાના કારણની તપાસ પ્રાથમિક રીતે શરુ કરી હતી. પોલીસને આ અંગે જાણકારીને ફોરેન્સીક અને વાહનવ્યવહાર નિરીક્ષક મારફતે ઘટનાની તપાસ હાથ ધરવામાં આવશે અને આગ લાગવાનુ કારણ જાણવા માટે પ્રયાસ કરવામાં આવશે.