સાબરકાંઠા અરવલ્લી ( Sabarkantha-Aravalli )જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામય બન્યા છે. સાબરકાંઠા જીલ્લાનામાં માંડ 17 ટકા વરસાદ અત્યાર સુધી વરસ્યો છે. પ્રાંતિજ, તલોદ અને ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદ (Rain Report) ખૂબ જ નિરાશાજનક વરસ્યો છે. જિલ્લામાં મહંદઅંશે જળાશયો ખાલી છે. તો બીજી તરફ વાવણી બાદ હવે ખેડૂતોને વાવણી નિષ્ફળ જવાની ભીતી લાગી રહી છે.
મગફળી, કપાસ અને કઠોળ પાકો સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના ખેડુતોએ વાવણી કરી છે. વાવણી બાદ છેલ્લા કેટલાક દિવસથી ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે. પરંતુ વરસાદ નહીં વરસવાને લઇ ખેડૂતો માટે સિંચાઈની સમસ્યા પેદા થઈ છે. સાબરકાંઠા જિલ્લાના જળાશયો મહદંશે ખાલી છે તો બીજી તરફ વરસાદ પણ વરસી રહ્યો નથી. જેના કારણે ખેડૂતો હવે આકાશ તરફ મીટ માંડી રહ્યા છે, કે હવે ઉપર થી રાહત વરસે.
જોકે અરવલ્લી સાબરકાંઠા જીલ્લામાં ખાસ વરસાદ વરસી રહ્યો નથી. ખાસ કરીને પ્રાંતિજ તાલુકમાં હજુ સુધીમાં માંડ 8 ટકા વરસાદ વરસ્યો છે. આવી કપરી સ્થિતીમાં હવે ખેડૂતો મુશ્કેલી અનુભવી રહ્યા છે.
ઘોરવાડા-ડેમાઇ વિસ્તારના ખેડૂતે કહ્ય હતુ, અમે દેવુ કરીને વાવણી કરી છે. દાગીના વેચીને બિયારણ અને ખાતર કરીને ખેતી કરી છે, વરસાદ વરસતો નથી જેને લઇને ચિંતા સતાવી રહી છે. આસપાસના વિસ્તારામાં મગફળી કપાસ અને કઠોળ જેવા પાકોનુ વાવેતર મોટા પ્રમાણમાં થયુ છે.
ખેંચાઇ રહેલા વરસાદે ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી દીધા છે. કેટલાક ખેડૂતોએ રવી સીઝનની વાવણી કરવા માટે દેવું કરી ખાતર અને બિયારણની ખરીદી કરી છે. પરંતુ હવે મેઘરાજાના રિસામણાં હવે ખેડૂતોને ચિંતા સતાવી રહ્યા છે. પહેલા જૂન માસ અને ત્યાર બાદ હવે જુલાઈ માસના દિવસો પણ એક બાદ એક કોરાધાકોર પસાર થઈ રહ્યા છે. વરસાદ વિના પશુપાલકો પણ ચિંતામાં ડૂબ્યા છે. સાબરકાંઠા જીલ્લામાં 1 લાખ 73 હજાર હેકટર વિસ્તારમાં ચોમાસુ ખેતીનુ વાવેતર થયુ છે. જ્યારે અરવલ્લી જીલ્લામાં 1 લાખ 57 હજાર હેકટર વિસ્તારમાં વાવણી થઇ છે.
સાબરકાંઠાના નાયબ ખેતિવાડી અધિકારી ડો બીએસ પ્રજાપતિ ચાલુ વર્ષે 1.73 લાખ હેકટર વિસ્તારમાં ખેતી કરવામાં આવી છે. ખાસ કરીને મગફળીના પાકોનુ વાવેતર વધુ થયુ છે. જોકે સાબરકાંઠામાં પ્રાંતિજ તલોદ અને ખેડબ્રહ્મા વિસ્તારમાં વરસાદનુ પ્રમાણ હાલ સુધી ઓછુ નોંધાયુ છે. આ અંગે પરિસ્થીતી પર સતત નજર રાખી રહ્યા છીએ.
જ્યારે વરસાદી આંકડાઓની વાત કરવામાં આવે તો, સાબરકાંઠા જીલ્લામાં માંડ 17.54 ટકા કુલ વરસાદ નોંધાયો છે. જેમાં પ્રાંતિજમાં 8.03 ટકા, ખેડબ્રહ્મામાં 12.08 ટકા હિંમતનગરમાં 13.63, ઇડરમાં 15.40 ટકા, અને તલોદમાં 13.96 ટકા વરસાદ નોંધાયો છે. વડાલીમાં સૌથી વધુ 32.80 ટકા વરસાદ નોંધાયો છે. અરવલ્લી જીલ્લામાં ભીલોડા તાલુકામાં 6.80 ટકા, ધનસુરા તાલુકામાં 8.64 ટકા, માલપુર તાલુકામાં 10.08 ટકા મેઘરજમાં 10.28 ટકા અને બાયડમાં 11.41 ટકા વરસાદ વરસ્યો છે.