સાબરકાંઠા બાદ હવે અરવલ્લી જિલ્લામાં પણ કોંગ્રેસમાં ગાબડું પડી રહ્યુ છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા રહી ચુકેલા સ્વર્ગસ્થ ડો. અનિલ જોશીયારા (Anil Joshiyara) ના પુત્ર પણ ભાજપનો ખેસ પહેરનાર છે. આવતીકાલે ભિલોડામાં પ્રદેશ ભાજપ અધ્યક્ષ સીઆર પાટીલ (CR Patil) ની હાજરીમાં વિધીવત રીતે જોડાશે. ભિલોડા શહેર નજીક આવેલ એક શૈક્ષણિક સંસ્થા ખાતે ભાજપમાં જોડવાનો કાર્યક્રમ યોજવા માટેની તૈયારીઓ પુરજોશમાં શરુ કરી દેવામાં આવી છે. કેવલ જોશીયારા (Keval Joshiyara) સાથે સ્થાનિક 500 થી વધુ લોકો ભાજપમાં જોડાઈ જશે. ભિલોડામાં થનારા આ વિશાળ કાર્યક્રમને લઈને કોંગ્રેસના માટે મોટા ગાબડા સમાન સ્થિતી સર્જાઈ છે.
સીઆર પાટીલ સ્વર્ગસ્થ કોંગ્રેસી નેતાને ભાજપ સાથે જોડવા માટે ભિલોડા હવાઈ માર્ગે આવી પહોંચશે. આ સાથે જ કાર્યક્રમ દરમિયાન ઉત્તર ગુજરાતના ભાજપના આગેવાનો તેમજ પ્રભારી મંત્રી અને અન્ય મંત્રીઓ પણ ભિલોડા ખાતે હાજર રહેશે. વીસેક દીવસ અગાઉ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલ આદીવાસી દિગ્ગજ નેતા અશ્વિન કોટવાલ પણ ઉપસ્થિત રહેશે. પાટીલના હસ્તે જ કેવલ જોશીયારાને ખેસ પહેરાવીને ભાજપમાં યુવા ચહેરા તરીકે સામેલ કરવામાં આવશે.
મંગળવાર સવારે ભિલોડા ખાતે પ્રદેશ ભાજપના અધ્યક્ષ સીઆર પાટીલના આગમન વખતે વિશાલ રેલી પણ હેલીપેડથી કાર્યક્રમના સ્થળ સુધી યોજવામાં આવશે. સાથે જ કાર્યક્રમમાં 500 થી વધુ લોકો ભાજપનો કેસરિયો સામુહીક રીતે ધારણ કરશે. આ ઉપરાંત મોટી સંખ્યામાં સ્થાનિક ભાજપના આગેવાનો હાજર રહેશે.
ડો અનિલ જોશીયારાએ તેમની રાજકીય સફર ભાજપ સાથે કરી હતી. ત્યાર બાદ તેઓ રાજપા અને બાદમાં કોંગ્રેસમાં જોડાયા હતા. તેઓ 5 વખત સ્થાનિક ધારાસભ્ય તરીકે ચુંટાયા હતા. તેઓ સળંગ ચાર વાર ભિલોડા બેઠક પરથી મોટા માર્જીનથી જીતવાને લઈને કોંગ્રેસમાં પોતાનો આગવો દબદબો ઉભો કર્યો હતો. સાથે જ તેઓ આદીવાસી સમાજમાં પણ અગ્રણી તરીકે રહ્યા હતા. હવે તેમના પુત્ર કેવલ જોશીયારાએ ભાજપમાં જોડાવવાનુ નક્કિ કર્યુ છે. પિતાના અવસાન બાદ ખાલી પડેલી વિઘાનસભાની બેઠક માટે કોંગ્રેસ કેવલને પોતાના ઉમેદવાર તરીકે જોઈ રહ્યુ હતુ. પરંતુ ભાજપના આગેવાનોએ ઓપરેશન પાર પાડી દઈને કેવલને ભાજપની સાથે જોડાઈ જવા માટે મનાવી લીધો હતો. આ બેઠક માટે હવે કોંગ્રેસને ઉમેદવાર શોધવાની મોટી સમસ્યા સર્જી દીધી છે.
Published On - 8:32 pm, Mon, 23 May 22