સાબરડેરી દ્વારા તાજેતરમાં ભાવફેર વચગાળાનો જાહેર કરવામાં આવ્યો છે. આ ભાવફેરની રકમ ઓછી હોવાનો અસંતોષ પશુપાલકોમાં વર્તાઈ રહ્યો છે. આ દરમિયાન ફરી એકવાર માટે પશુપાલકો સાબરડેરીમાં વિરોધ સાથે રજૂઆત કરવા પહોંચ્યા હતા. શુક્રવારે પશુપાલકોને સાબરડેરી ખાતે એકઠા થવા માટે એલાન કરવામાં આવ્યું હતુ.
દરવાજા ડેરીના બંધ કરવામાં આવ્યા હતા. જોકે આમ છતાં પશુપાલકોએ ધક્કા મારીને દરવાજા ખોલીને અંદર પ્રવેશ કર્યો હતો. સાબરડેરીમાં મેનેજીંગ ડિરેક્ટરની ચેમ્બરમાં પહોંચીને પશુપાલકોએ રજૂઆત કરી હતી. જોકે એમડીએ કહ્યું હતુ કે,આગામી 31 જુલાઈએ ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી છે. હાલમાં 9 માસનો ભાવફેર વચગાળાના રુપે ચુકવવામાં આવ્યો છે અને ચેરમેન અને વાઈસ ચેરમેનની ચૂંટણી માટેની રાહ જોવામાં આવી રહી છે.