આણંદ (Anand) જિલ્લાના બોરસદમાં ગુરૂવારે 6 કલાકમાં 12 ઈંચથી વધારે વરસાદ (Rain) ખાબક્યો હતો. આ વરસાદે બોરસદમાં પૂરની સ્થિતિનું નિર્માણ કરી દીધુ હતુ. અનેક વિસ્તારમાં હજુ પણ પાણી ઓસર્યા નથી. વરસાદના કારણે અહીં સિસ્વા સહિતના ગામ લોકો રાતોરાત બેઘર થઈ ગયા. પશુઓ તણાવાની અને માણસો ડૂબવાની ઘટનાઓ પણ સામે આવી છે. આણંદ જિલ્લાના બોરસદ પંથકના ગામડાઓમાં અનરાધાર વરસાદ બાદ ભારે તારાજી થઈ છે. ત્યારે રાજ્યના મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ (Revenue Minister Rajendra Trivedi) પૂર પ્રભાવિત વિસ્તારોમાં થયેલી તારાજીની સ્થિતિનું નીરિક્ષણ કર્યું હતુ.
મહેસૂલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ બોરસદના સિસ્વા ગામની મુલાકાત લીધી. સાથે જ પૂર પીડિતો સાથે સંવાદ કરીને મળેલી સરકારી મદદ અંગે પૂછપરછ કરી. તો પૂર પીડિત મહિલાઓને સાડી અને જીવન જરૂરી ચીજવસ્તુઓની મદદ કરી હતી. રાજેન્દ્ર ત્રિવેદીએ મૃતક સંજયના પરિવારને મળીને સાંત્વના પાઠવી. જુવાન દીકરો ગુમાવનારા માતા-પિતાની આંખોના આંસુ લૂછ્યા અને સરકારી સહાયનો 4 લાખ રૂપિયાનો ચેક અર્પણ કર્યો હતો મહેસૂલ પ્રધાને સિસ્વા ગામના મૃતક કિશન સોલંકીના પરિવારને પણ ચેક આપ્યો. આણંદ સાંસદ મિતેશ પટેલ, સ્થાનિક આગેવાનો અને અધિકારીઓ પણ હાજર રહ્યાં અને વરસાદથી તારાજ પરિવારોને શક્ય તમામ મદદ કરવાની ખાતરી આપી.
સીસ્વા ગામે આવેલા પૂરના કારણે 3 લોકો અને 94 પશુઓના મોત થઈ ચૂક્યા છે. નીચાણવાળા વિસ્તારમાં રહેતા 380 લોકો હજુ પણ જુદા-જુદા સ્થળે રખાયા છે.. કેટલાક લોકોને પટેલ વાડીમાં રાખવામાં આવ્યા છે. સીસ્વામાં 15 મકાનો હજુ પાણીમાં ગરકાવ છે. ત્યારે હવે રોગચાળો ન વકરે તે માટે તંત્રએ ગામમાં દવાનો છંટકાવ શરૂ કર્યો છે..તો આરોગ્ય તંત્રની ટીમે લોકોના આરોગ્યની ચકાસણી હાથ ધરી છે..આ સાથે જ નુકસાનીનો સર્વે કરવા જિલ્લા પંચાયત અને અન્ય ટીમ પહોંચી છે. તો બીજી તરફ અસરગ્રસ્ત લોકોને જરૂરી સહાયનું પણ વિતરણ કરવામાં આવ્યું છે પરંતુ આ બધું ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા જેવું છે.
મહત્વનું છે ગઇકાલે પણ ગુરુવારે વરસાદી આફત આવ્યા બાદ રવિવારે ફરી બોરસદ પંથકમાં વરસાદ ખાબક્યો હતો. સવા, ભાદરણ, વડેલી ભાદરણીયા, વાછીયેલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. હજુ ગુરુવારે વરસેલા વરસાદની આફતમાંથી લોકો ઉગરી શક્યા નથી. ત્યારે હવે જો સતત વરસાદ પડશે, તો આ વિસ્તારની સ્થિતિ ગંભીર બની શકે તેમ છે અને લોકોની મુશ્કેલીમાં વધારો થઇ શકે છે.