કેન્દ્રીય ગૃહમંત્રી તેમજ સોમનાથ (Somnath) ટ્રસ્ટના ટ્રસ્ટી અમિત શાહ (Amit Shah) ગીર સોમનાથ જિલ્લાના પ્રવાસે છે. કેન્દ્રીય ગૃહમંત્રીનું સોમનાથ હેલીપેડ ખાતે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, પ્રદેશ ભાજપ સંગઠન મંત્રી ઝવેરીભાઇ ઠકરાર,જિલ્લા ભાજપ(BJP) પ્રમુખ માનસિંહભાઈ પરમાર,જિલ્લા પંચાયત પ્રમુખ રામીબહેન વાજા,વેરાવળ-પાટણ નગરપાલિકા પ્રમુખ પિયૂષભાઇ ફોફંડી, સંગઠનના પદાધિકારીઓ તેમજ જુનાગઢ રેન્જ આઇ.જી નિલેશકુમાર ઝાંઝડિયા, ગીર સોમનાથ કલેકટર રાજદેવસિંહ ગોહિલ,જિલ્લા વિકાસ અધિકારી રવિન્દ્ર ખતાલે સહિતના અધિકારીઓએ પણ સ્વાગત કર્યું હતું.
કેન્દ્રીય ગૃહમંત્રી હેલીપેડ ખાતેથી સીધા સોમનાથ મંદિર પહોંચ્યા હતા.જ્યાં સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી પી.કે. લહેરી, જે .ડી પરમાર સહિતના મહાનુભાવોએ પણ કેન્દ્રીય ગૃહમંત્રીનું સ્વાગત કર્યું હતું. અહીં શાહે સોમનાથ દાદાના દર્શન કર્યા હતા અને દેવાધિદેવની વિધિવત પૂજા અર્ચના કરી હતી. સોમનાથ મહાદેવને જળાભિષેક બાદ ધ્વજા પૂજા સાથે સોમેશ્વર પૂજા કરી હતી. મંદિરમાં પૂજા-અર્ચના બાદ અમિત શાહે સોમનાથ મહાદેવના દર્શન તેમજ પૂજન માટેના વેબ પોર્ટલ somnath.orgનું લોન્ચિંગ કર્યુ હતુ. આમિત શાહ સોમનાથ મંદિર ટ્રસ્ટમાં ટ્રસ્ટી તરીકે પણ સેવા આપી રહ્યા છે.
કેન્દ્રીય મંત્રી અમિત શાહે સોમનાથમાં સમુદ્ર કિનારે હાટ બજારનું ઉદ્દઘાટન કર્યુ હતુ. સોમનાથમાં સમુદ્ર તટે હનુમાનજીની 16 ફુટ ઉંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ હતુ. આ અગાઉ સમુદ્ર પથ પર મારૂતિ હાટની 262 દુકાનોનું પણ ઉદ્દઘાટન કર્યુ હતુ. ત્યારબાદ તેમણે સમુદ્ર કિનારે લટાર લગાવી આસપાસની સ્થિતિનું પણ નિરીક્ષણ કર્યુ હતુ.
અમિત શાહ સોમનાથથી જ વિધાનસભા ચૂંટણી પ્રચારનું રણશિંગુ ફુંકશે. આ અગાઉ અમિત શાહ અમરેલી પહોંચ્યા હતા. અમિત શાહે અમરેલી જિલ્લાની 7 સહકારી સંસ્થાઓના કાર્યક્રમમાં હાજરી આપી હતી.
અમિત શાહે કાર્યક્રમમાં જણાવ્યુ કે, આપણી સરકાર ખેડૂતોની ચિંતા કરનારી સરકાર છે. આજે ખેડૂતોને શૂન્ય ટકા વ્યાજે નાણાં મળે છે. તો બીજી તરફે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યુ કે, જ્યારે કોંગ્રેસની સરકાર હતી ત્યારે તેઓ સૌરાષ્ટ્રની ડેરીઓમાં મોટુ ખંભાતી તાળુ મારીને જતા રહ્યા હતા. કૌભાંડ કરીને બધી ડેરીઓને નિષ્ફળ કરી નાખી હતી. જો કે વડાપ્રધાન મોદીએ સૌરાષ્ટ્રની બધી ડેરીઓને મૂળી ભંડોળ આપી ચાલુ કરાવી. અત્યારે સૌરાષ્ટ્રના બધા જિલ્લાઓમાં ડેરીઓ ધમધોખર ચાલે છે.
અમિત શાહે જણાવ્યુ કે, 2002માં નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે 2500 લીટર દુધ પ્રોસેસ્ડ થતુ હતુ અને આજે એક લાખ 25 હજાર લીટર દુધ પ્રોસેસ થાય છે. અમિત શાહે કહ્યુ કે, હવે સહકારી ક્ષેત્રે દેશ આગળ વધી રહ્યો છે.