અમરેલી (Amreli) જિલ્લાના રાજુલા પંથકમાં આવેલો ધાતરવડી-1 ડેમ (Dhatarvadi dam-1) છલકાઈ ગયો છે. ડેમમાં વરસાદના કારણે પાણીની આવક થતા ડેમ 90 ટકા ભરાઈ ગયો હતો અને આજે ડેમ 100 ટકા જેટલો ભરાઈ જતા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું. ડેમના કેચમેન્ટ વિસ્તારમાં આવતા ધારેશ્વર,(Dhareshwar) ઝાપોદર,માંડરડી, ભાક્ષી જેવા ગામડાને સાવચેત કરવામાં આવ્યા છે આ ઉપરાંત રાજુલા શહેર નજીક પણ નદીની નજીક હોવાને કારણે રાજુલા શહેરમાં પણ એલર્ટ આપવામાં આવ્યું છે અને વહીવટીતંત્ર દ્વારા તમામ ગામના લોકોને એલર્ટ રહેવા માટે સૂચના આપવામાં આવી છે. ભારે વરસાદ અને ઉપરવાસની પાણીની આવકને પગલે રાજુલાનો ધાતરવાડી 2 ડેમ પણ છલકાય તેવી શકયતા તંત્ર દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.
અમરેલીમાં (Amreli) છેલ્લા થોડા દિવસથી વરસાદે વિરામ લીધો હતો, પરંતુ છેલ્લા અઠવાડિયાથી થઈ રહેલા વરસાદને (Rain) કારણે ફરીથી વડિયા ગામનો સુરવો ડેમ ફરીથી ભરાઈ ગયો છે. ત્યારે રેડિયો ઓપરેટર દ્વારા નદીના પટમાં ન જવા માટે સ્થાનિકોને ચેતવણી આપવામાં આવી છે. તેમજ નીચાણવાસમાં રહેતા લોકોને સાવચેત કરવામાં આવ્યા છે. નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ જ વરસાદ થઈ રહ્યો છે. અમરેલી તેમજ તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે શ્રીકાર વર્ષા થઈ છે. અમરેલી (Amreli) જિલ્લાના વડીયા ગામમાં આ વખતે સારા વરસાદને કારણે જિલ્લાની વિવિધ નદી અને ડેમમાં નવા નીર આવ્યા છે અને સુરવો ડેમમાં સતત નવા નીરની આવક થતા ડેમ 80 ટકા ભરાઈ ગયો છે. સતત પાણી ભરાવાને કારણે ખેડૂતો માટે સિંચાઇના પાણીની રાહત થઈ ગઈ છે.
જનાગઢ સહિત સમગ્ર પંથકમાં સતત 2 દિવસથી વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે ઓઝત નદી અને ભાદર નદીમાં ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ છે. આ નદીઓમાં ધોડાપૂરની સ્થિતિ સર્જાતા પૂરના પાણી ઘેડ પંથકના ગામોમાં ઘુસ્યા છે, જેમાં અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. લોકોના ઘરોમાં પણ પાણી ભરાઈ ગયા છે. જેના કારણે જનજીવન ભારે પ્રભાવિત થયુ છે અને લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ઘેડ પંથક નીચાણવાળો વિસ્તાર છે, અહીં ઓઝત, ભાદર અને ઉબેર સહિતની ત્રણેય નદીઓના પાણી ઘેડ પંથકમાં જાય છે જેના કારણે દર વર્ષે ઘેડમાં ભયંકર પૂરની સ્થિતિ સર્જાય છે. આ અંગે તંત્રને ખેડૂતોએ અનેકવાર રજૂઆતો કરી છે. જેમાં નદીઓ ઉંડી કરવાની અને નદીઓમાં પાળા વધુ ઉંચાઈએ બાંધવાની અનેકવાર માગ કરાઈ છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરાતી નથી અને દર વર્ષે ચોમાસાએ પૂરના પાણી ગામમાં અને ખેતરોમાં ફરી વળે છે.