
ટીવી9 આયોજિત વોટ ગુજરાત થિન્ક્સ ટુડે થિન્ક ફેસ્ટ 2026 માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના સર્વાંગી વિકાસ અને ભવિષ્યના રોડમેપ વિશે વિસ્તૃત રજૂઆત કરી હતી. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વની પ્રશંસા કરતા જણાવ્યું કે, તેમના વિઝન હેઠળ દેશે વિકાસની ગતિ અને સ્કેલ જોયા છે. તેમણે ગુજરાતના ભૂતકાળને યાદ કરતા કહ્યું કે જ્યારે મહારાષ્ટ્રથી અલગ પડ્યું ત્યારે એક તરફ દરિયો, એક તરફ રણ અને એક તરફ ડુંગર હોવા છતાં ગુજરાત કેવી રીતે વિકાસ કરશે તેવી ચિંતા હતી.
લાંબા સમય સુધી વડોદરાથી વાપી સિવાય ખાસ કોઈ મોટો બદલાવ જોવા મળ્યો ન હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે મુખ્યમંત્રી બન્યા ત્યારે ખેડૂતો વીજળી માટે વિનંતી કરતા હતા. આ સ્થિતિમાંથી બહાર આવીને આજે ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. તેમણે વડાપ્રધાનના દ્રષ્ટિકોણને કારણે 24 કલાક, 365 દિવસ વીજળી અને ઘરે ઘરે પાણી પહોંચાડવાના કાર્યોને ગુજરાતના વિકાસનો પાયો ગણાવ્યો.
નાણાકીય વ્યવસ્થાપન અંગે મુખ્યમંત્રીએ જણાવ્યું કે રાજ્યનું આ વખતનું બજેટ 4,08,000 કરોડ રૂપિયાનું છે અને તેમાં ફિઝિકલ ડેફિસિટને 3% થી ઓછી રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે જેમ વેપારીઓ પોતાના ધંધાને આગળ વધારવા માટે સંપત્તિના આધારે દેવું લે છે, તેમ રાજ્ય પણ સંતુલિત નાણાકીય વ્યવસ્થાપન સાથે વિકાસના પથ પર છે.
ગુજરાતના ભવિષ્યના વિકાસ માટે “વિકસિત ભારત” ના સંકલ્પને સાકાર કરવા “વિકસિત ગુજરાત” નો રોડમેપ તૈયાર કરાયો છે. આ રોડમેપના બે મુખ્ય આધાર છે: “અર્નિંગ વેલ” અને “લિવિંગ વેલ”. આ બંને પાયા પર ગુજરાતને 2047 સુધીમાં દેશમાં અગ્રેસર બનાવવાનું લક્ષ્ય છે. આ માટે ગુજરાતે છ આર્થિક રિજિયનમાં વિભાજીત કરવામાં આવ્યું છે: કચ્છ ઇકોનોમી રિજિયન, સૌરાષ્ટ્ર ઇકોનોમિક રિજિયન, કોસ્ટલ સૌરાષ્ટ્ર ઇકોનોમી રિજિયન, નોર્થ ગુજરાત ઇકોનોમી રિજિયન, સેન્ટ્રલ ગુજરાત ઇકોનોમી રિજિયન અને સુરત ઇકોનોમી રિજિયન. દરેક રિજિયન માટે ચોક્કસ ફોકસ સેક્ટર નક્કી કરવામાં આવ્યા છે, જેમ કે દરિયાકિનારાના વિસ્તારો માટે શિપિંગ અને મત્સ્યઉદ્યોગ.
મુખ્યમંત્રીએ 2035 માં ગુજરાતના 75 વર્ષના પડાવ અને 2030 માં કોમનવેલ્થ ગેમ્સ તેમજ 2036 માં ઓલિમ્પિક્સ જેવી ભવિષ્યની ઘટનાઓ માટે અમદાવાદ અને ગુજરાતને “ફ્યુચર રેડી” બનાવવાની યોજનાઓ પણ રજૂ કરી. તેમણે જણાવ્યું કે 2047 સુધીનો રોડમેપ તૈયાર છે અને તેમાં લોકોના સુધારાત્મક સૂચનોને આવકારવામાં આવે છે. ભૂપેન્દ્ર પટેલે મીડિયાના સકારાત્મક દ્રષ્ટિકોણનું મહત્વ પણ સમજાવ્યું, જેમાં નકારાત્મક સમાચારને પણ સુધારાની તક તરીકે જોવાય છે, જેથી સિસ્ટમ જાગૃત રહે અને વિકાસની પ્રક્રિયા સતત સુધરતી રહે. તેમણે ડિજિટલ ઇન્ડિયા અને UPI માં ભારતની વૈશ્વિક લીડરશીપનો ઉલ્લેખ કરીને વડાપ્રધાનના દ્રઢ વિશ્વાસને બિરદાવ્યો હતો.