Ahmedabad: ધરપકડ બાદ તીસ્તા સેતલવાડ અને પૂર્વ IPS શ્રી કુમારને મેટ્રો કોર્ટમાં રજૂ કરાયા, ક્રાઇમ બ્રાન્ચ 14 દિવસના રિમાન્ડની માગ કરી
તીસ્તા સેતલવાડ (Teesta Setalvad) પર ખોટા દસ્તાવેજો રજુ કરી અલગ અલગ કમિશનમાં આપવાનો આરોપ છે. તીસ્તા સામે કાયદાકીય પ્રવૃત્તીને બદનામ કરવાનો પણ આરોપ છે.
તીસ્તા સેતલવાડ (Teesta Setalvad) અને પૂર્વ IPS શ્રી કુમારને મેટ્રો કોર્ટમાં (Metro Court) રજૂ કરવામાં આવ્યા છે. ક્રાઇમ બ્રાન્ચ દ્વારા 14 દિવસના રિમાન્ડની માગ કરવામાં આવી છે. તીસ્તા સેતલવાડ અને સાગરીતો દ્વારા અલગ અલગ જગ્યા પર ખોટા દસ્તાવજો રજૂ કરવામાં આવ્યા છે. તીસ્તા સેતલવાડ પર ખોટા દસ્તાવેજો રજુ કરી અલગ અલગ કમિશનમાં આપવાનો આરોપ છે. તીસ્તા સામે કાયદાકીય પ્રવુત્તીને બદનામ કરવાનો પણ આરોપ છે. તીસ્તા સેતલવાડ એનજીઓ મારફતે વિદેશી ભંડોળ પણ મેળવવાનો આરોપ છે. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ક્રાઇમ બ્રાન્ચે ( Crime Branch) તીસ્તા સામે ફરિયાદ દાખલ કરી હતી.
તીસ્તાનો કબજો ક્રાઈમ બ્રાન્ચને સોંપાયો
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે તીસ્તા સેતલવાડની ધરપકડ કરી છે અને ગઈકાલે મુંબઈથી અટકાયતમાં લેવાયેલી તીસ્તા સેતલવાડને ગુજરાત ATSની ટીમ અમદાવાદ લઈ આવી છે. ATSની ટીમે તીસ્તાનો કબજો ક્રાઈમ બ્રાન્ચને સોંપ્યો છે. ત્યારબાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે વીએસ હોસ્પિટલમાં તીસ્તાનું મેડિકલ ચેકઅપ કરાવ્યું છે. જ્યારે મેડિકલ ચેકઅપ કરાવીને તીસ્તા બહાર આવી ત્યારે તેણે મીડિયા સમક્ષ કહ્યું કે, તે જે કહેશે તે બધુ જ કોર્ટમાં કહેશે.
બન્ને લોકો ક્રાઇમ બ્રાંચને ઇન્વેસ્ટિગેશનમાં સહયોગ નથી આપતા: ક્રાઇમ બ્રાંચ
બીજી તરફ તીસ્તા સેતલવાડની ધરપકડને લઇને ક્રાઈમ બ્રાન્ચે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જેમાં ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી ચૈતન્ય માંડલીકે જણાવ્યુ હતુ કે, ખોટા દસ્તાવેજ ઉભા કરવા અને હોદ્દાનો દુરુપયોગ કરવા મામલે તીસ્તા સેતલવાડ, પૂર્વ IPS શ્રી કુમાર, પૂર્વ IPS ભટ્ટ આ ત્રણેય લોકો સામે ગુનો દાખલ કર્યો છે. ચૈતન્ય માંડલીકે એમ પણ જણાવ્યુ કે, ધરપકડ કરવામાં આવેલા બન્ને લોકો ક્રાઇમ બ્રાંચને ઇન્વેસ્ટિગેશનમાં સહયોગ નથી આપતા. ખાસ કરીને તીસ્તા સેતલવાડ ક્રાઇમ બ્રાંચને પૂછપરછમાં સહયોગ નથી આપતી.
સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તીસ્તા પર ગાળિયો કસાયો
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ તીસ્તા સેતલવાડ પર ગાળિયો કસાયો છે. તીસ્તાની પૂછપરછમાં ગોધરાકાંડ મુદ્દે અંદરના રહસ્યો ખુલી શકે છે. સુપ્રીમ કોર્ટના નિર્દેશાનુસાર અમદાવાદ ક્રાઈમબ્રાંચે તીસ્તા સહિત બે પૂર્વ IPS સંજીવ ભટ્ટ અને આર.બી. શ્રીકુમાર સામે ફરિયાદ નોંધી છે. IPCની કલમ 468, 471, 194, 211, 218 અને 120-B મુજબ આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે. આરોપી વિરૂદ્ધ તોફાનોમાં સંડોવણીનો મુદ્દો સળગતો રહે તેવા બદઈરાદા હોવાનો આક્ષેપ છે. તો ઝાકિયા જાફરીની અરજી ઉપરાંત અલગ અલગ કોર્ટની પિટિશન તેમજ SITના વડા સમક્ષ ખોટા દસ્તાવેજી પુરાવા બનાવી અલગ અલગ કમિશનમાં રજૂ કર્યાનો પણ આરોપ છે.
ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે ગુજરાત રમખાણો મુદ્દે SITએ આપેલી ક્લિનચીટ મુદ્દે કહ્યું કે, સામાજિક કાર્યકર્તા તીસ્તા સેતલવાડે અરજીકર્તા ઝાકિયા જાફરીની ભાવનાઓનું ખોટા હેતુ માટે શોષણ કર્યું. સુપ્રીમ કોર્ટે SIT તપાસના વખાણ કરતા કહ્યું કે જેટલા લોકો કાયદા સાથે રમત રમે છે તેના વિરૂદ્ધ પગલાં લેવા જોઈએ. સુપ્રીમ કોર્ટે તીસ્તા સેતલવાડનું નામ લઈને પણ કહ્યું હતું કે તીસ્તા સેતલવાડ વિરૂદ્ધ તપાસની જરૂર છે..
સુપ્રીમ કોર્ટના નિર્દેશ બાદ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં તિસ્તા સામે FIR દાખલ થઈ છે. 2002ના રમખાણોમાં સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી ગેરમાર્ગે દોરવા બાબતે તિસ્તા સહિત 3 વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. તિસ્તા ઉપરાંત આર.બી. શ્રીકુમાર અને પૂર્વ IPS સંજીવ ભટ્ટ વિરુદ્ધ પણ ગુનો નોંધાયો છે. 2002ના ગુજરાત રમખાણોમાં કથિત સંડોવણી બદલ તત્કાલિન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ અન્ય રાજકીય નેતાઓ તેમજ સરકારી અધિકારી સામે ફોજદારી ટ્રાયલની માગ કરતી અરજી કરી હતી.
તીસ્તા સેતલવાડનું NGO પણ વિવાદમાં રહેલુ
તીસ્તા સેતલવાડનું NGO પણ વિવાદમાં રહી ચુક્યું છે. 2002માં ગોધરાકાંડ બાદ તિસ્તા સેતલવાડે પીડિતોની મદદના નામે એક NGO શરૂ કર્યું હતું. આ NGOના નામે તેને વિદેશમાંથી ફંડ મળ્યું હતું. ફંડ તિસ્તા સેતલવાડે અંગત ઉપયોગ કર્યો. એટલું જ નહીં વિદેશમાં ગુજરાત સહિત દેશનો દુષ્પ્રચાર કરવા માટે પણ આ જ ફંડનો ઉપયોગ કર્યો. આરોપ છે કે, તિસ્તા સેતલવાડે વિદેશોમાં દુષ્પ્રચાર કર્યો હતો કે, ભારતમાં મુસ્લિમોની હાલત ખૂબ ખરાબ છે.