ગુજરાતમાં આજે પેટાચૂંટણીના પરિણામો જાહેર થયા છે. જેમાં કોંગ્રેસનું નિરાશાજનક પરિણામ સામે આવતા જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખે રાજીનામુ આપ્યુ છે. રાજીનામાના કારણો અંગે સૌપ્રથમ શક્તિસિંહે Tv9 ગુજરાતી સાથે ખાસ વાતચીત કરી હતી.
શક્તિસિંહે જણાવ્યુ “ચોક્કસથી બંને બેઠકો અમારી પાસે ન હતી. પરંતુ આ ચૂંટણીમાં અમારા કાર્યકર્તા ખૂબ મક્કમતાથી લડ્યા અને પદ પર રહીને મહેનત કર્યા પછી પરિણામ ના આવી શકે તો એ પદ પર બેસી રહેવાનો અધિકાર નથી અને એટલા માટે મેં એક નૈતિક જવાબદારીનો સ્વીકાર કર્યો છે. હવે જેટલું કામ પ્રદેશ પ્રમુખ તરીકે કરતો હતો એટલું જ કામ એક કાર્યકર તરીકે કરીને પાર્ટી માટે કામ કરીશ.”
શક્તિસિંહે કહ્યુ “મેં તમને કહ્યું હતું હું પરિણામો પણ સારા લાવી શકવામાં સક્ષમ રહીશ, મહેનત ઘણી કરી પરંતુ પરિણામ સુધી ના પહોંચી શક્યા હોય એની જવાબદારી પણ સ્વીકારવી પડે. મને પાર્ટી હાઈ કમાન્ડે તો કહ્યું હતું ખુબ આભાર માનીશ મારા આલા કમાનનો કે કોઈ મારા વિરુદ્ધ ફરિયાદ પણ ક્યારેક કરવા ગયું છે ને તો એને ધમકાવીને કાઢી મુક્યો હોય અને કહ્યુ હોય અમે એમને ઓળખીએ છીએ. હાઈ કમાન્ડને મારામાં વિશ્વાસ છે પણ મારી પણ કેટલીક નૈતિક જવાબદારી છે અને પક્ષના એક સૈનિક તરીકે મને લાગ્યું કે હું પ્રમુખ હોવ, મારો કાર્યકરતા મહેનત કરે અને પરિણામ નથી આવ્યું તો એમાં ક્યાંકને ક્યાંક મારી પણ જવાબદારી છે જ.”
શક્તિસિંહે કહ્યુ “ચોક્કસ સંઘર્ષ ચાલુ રાખીશું. કાર્યકર્તા અને પક્ષે નેતા બનાવ્યો હું નેતામાંથી પાછો કાર્યકરતા થઈને પણ કામ કરાય ને ? હું કામ કરતો રહીશ અને કાર્યકરોની સાથે મળીને કામ કરીશ.”
શક્તસિંહે કહ્યુ, “હું જે ના કરી શક્યો હોઉં એ કરશે એવી શ્રદ્ધા સાથે તો મેં છોડ્યું છે પછી મારે બીજાને સલાહ દેવાનો ક્યાં અધિકાર છે તો તો મેં જ ના કરી દીધું હોત!”