
અમદાવાદમાં સાબરમતી નદી અત્યારે એક અલગ જ સ્વરૂપમાં જોવા મળી રહી છે. સામાન્ય દિવસોમાં પાણીથી છલકાતી નદીને હાલ ખાલી કરવામાં આવી છે. તેવામાં નદી ખાલી થતાની સાથે તેના તળિયાની હકીકત પણ સામે આવી છે. નદીમાંથી પાણી ઓસરતા જ જ્યાં એક તરફ કાદવ-ગંદકી, ખંડિત મૂર્તિઓ, ચુંદડીઓ અને રિવરફ્રન્ટની દીવાલોના ખુલ્લા સળિયા બહાર આવ્યા છે. રાજ્યના સિંચાઈ વિભાગ દ્વારા વાસણા બેરેજના ગેટ્સના રિપેરિંગ અને સુભાષબ્રિજના સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી માટે 15 એપ્રિલથી નદીમાંનું પાણી હટાવવામાં આવ્યું છે, જે પ્રક્રિયા લગભગ બે મહિના સુધી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન નદીનું વહેણ રોકાતા, વર્ષોથી પાણી નીચે છુપાયેલ કાદવ, કિચડ ગંદકી અને વિવિધ વસ્તુઓ હવે બહાર દેખાવા લાગી છે.
હાલ નદી ખાલી થતા જ લોકોમાં પણ એક અલગ પ્રકારની ઉત્સુક્તા પણ જોવા મળી છે. ખાસ કરીને નદીના પટમાં જાણે કોઈ ખજાનો છુપાયેલો હોય તેમ આ ખજાનાની શોધ માટે 400 જેટલા શ્રમિકો અહીં આવીને નદીના પટમાં ખોદકામ કરી રહ્યા છે. નદીમાંથી રાજાશાહી વખતના જુના સિક્કાઓ, ચલણી સિક્કાઓ, સોનાચાંદીની વસ્તુઓ અને કિંમતી વસ્તુઓ શોધવા માટે ખોદકામ કરી રહ્યા છે. ન માત્ર સ્થાનિક શ્રમિકો પરંતુ સૌરાષ્ટ્રના વિવિધ પ્રાંતના શ્રમિકો પણ અહીં ખજાનાની શોધમાં ખોદકામ માટે આવ્યા છે અને ખોદકામ કરી રહ્યા છે. કલાકોની જહેમત બાદ કેટલાક લોકોના હાલના ચલણી સિક્કાઓ તથા રાજાશાહી સમયના કેટલાક સિક્કા અને નાની મોટી એન્ટીક વસ્તુઓ મળી પણ રહી છે. જેનાથી આ શ્રમિકોને સોનાચાંદીના સિક્કા મળે તેવી પણ આશા જાગી છે.
યુવાનો, મહિલાઓ અને આધેડ વયના લોકો માટી ખોદવાના કામમાં જોતરાયા છે. ચારથી પાંચ કલાકની ભારે જહેમત અને ખોદકામ બાદ લોકોને હાલના ચલણી સિક્કાઓની સાથે રાજાશાહી વખતના જૂના સિક્કાઓ સહિતની વસ્તુઓ મળી આવી છે.
આ દરમિયાન, સુભાષબ્રિજના જૂના સુપર સ્ટ્રક્ચરને તોડવાની કામગીરી પણ તેજ ગતિએ ચાલી રહી છે. પાણી ન હોવાથી આ કામ સરળ બન્યું છે અને નદીમાં ફરી પાણી આવતાં પહેલાં આ તબક્કો પૂર્ણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ત્યારબાદ નવા સ્ટ્રક્ચરના નિર્માણનું કામ હાથ ધરાશે. આ અઢીથી ત્રણ મહિનાના સમયગાળાનો ફાયદો ઉઠાવીને મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ દ્વારા સુભાષબ્રિજના છ સુપર સ્ટ્રક્ચર તોડવાની કામગીરી પણ પૂર્ણ કરી દેવામાં આવશે.
નદી ખાલી થયા બાદ તેના તળિયાનો ચિત્તાર પણ સામે આવ્યો છે. જે ચિંતાજનક છે. રિવરફ્રન્ટની દીવાલોના અંદરના ભાગમાં રહેલા લોખંડના સળિયા પણ બહાર દેખાવા લાગ્યા છે. બીજી તરફ સાબરમતી નદી પર અટલ બ્રિજ, મેટ્રો, બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન લાખો ટન માટીના થર નદીમાં ઠલવાયા છે. પરિણામે રિવરફ્રન્ટ અને બાદમાં આટલા માટીના થરના કારણે નદીએ પોતાની જળસંગ્રહની પૂરતી શક્તિ ગુમાવી છે. ત્યારે હાલ વાસણા બેરેજના દરવાજાના સમારકામ માટે નદી ખાલી કરાઈ હોઈ તાકીદે ડ્રેઝિંગ કરી નદીને ઊંડી કરવાની માગ ઉઠી છે.
Published On - 7:53 pm, Thu, 16 April 26