Rathyatra 2022: ભક્તોને દર્શનદાન આપીને આવેલા આવેલા ભગવાન જગ્ન્નાથની (Jagannath Bhagwan) નજર ઉતારવામાં આવી હતી જોકે ભગવાને આખી મંદિરના પરિસરમાં જ રહ્યા હતા. અષાઢી બીજ બાદ ત્રીજના દિવસે સવારે આરતી બાદ તેમને ગર્ભગૃહમાં (Jagdish mandir)પ્રવેશ કરાવવામાં આવે છે. અમદાવાદની 145મી રથયાત્રા શાંતિપૂર્ણ માહોલમાં વાજતે ગાજતે સંપન્ન થઈ હતી અને રથ પણ સમયસર મંદિરમાં આવી ગયા હતા જોકે તેમ છતાં પણ ભગવાનને મંદિરમાં આવવા દેવામાં આવ્યા નહોતા. મંદિર પહોંચેલા ત્રણેય રથમાં બિરાજમાન ભગવાન , ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રાની નજર મંદિરના મહંત દિલીપદાસજીએ ઉતારી હતી. જોકે ભગવાનને મંદિરના ગર્ભગૃહમાં પ્રવેશ કરાવવામાં આવ્યો નહોતો અને આખી રાત જગ્ન્નાથજી મંદિરના પ્રાંગણમાં જ બેસી રહ્યા હતા.
સાંજના સમયે રથયાત્રા નીજ મંદિર પરત આવી હતી તે સમયે 8-10 વાગ્યે પ્રથમ રથ મંદિરમાં પહોંચ્યો હતો. ત્યાર બાદ ભગવાનની મીઠી નજર ઉતારવામાં આવી હતી. ત્રણેય રથમાં નીજ મંદિર પહોંચી ગયા બાદ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે આરતી કરી હતી. મોટી સંખ્યામાં લોકોએ આરતીનો લાભ લીધો હતો.
એક દંતકથા પ્રમાણે ભગવાન મથુરામાં કંસનો વધ કરે છે અને પિતા વાસુદેવ તથા માતા દેવકીને કેદમાંથી મુક્ત કરાવે છે ત્યાર બાદ ભગવાન શ્રીકૃષ્ણ બાદ ભાઈ બળભદ્ર સાથે રથમાં આખી મથુરા નગરીમાં ફરે છે ત્યારે શ્રીકૃષ્ણને નજર લાગી જતા માતા દેવકી દ્વારા તેમની નજર ઉતારવામાં આવે છે.
એક એવી કથા છે કે ભગવાન પત્ની રૂકમિણીને લીધાં વિના જ રથયાત્રાએ જતા રહ્યા હોવાથી રૂકમિણી રિસાઈ ગયા હોવાથી ભગવાનને બહાર રહેવાનું કહે છે અને ભગવાન આખી રાત મહેલમાં પ્રવેશી શકતા નથી.
અમદાવાદમાં શહેરીજનોએ બે વર્ષ બાદ ઉલ્લાસભેર રથયાત્રાનો આનંદ માણ્યો હતો અને ભક્તિભાવપૂર્ણ રીતે રથયાત્રના દર્શનમાં સામેલ થયા હતા. વહેલી સવારે રથયાત્રાનો વિધિવત શુભારંભ કરાવાયો હતો અને બપોરે નિયત સમયે સરસપુર પહોંચી ગઈ હતી. ત્યાં વિરામ બાદ નીકળેલી રથયાત્રા પ્રેમ દરવાજા, દિલ્હી દરવાજા, શાહપુર દરવાજા, ઘીકાંટા, માણેક ચોક થઈને શાંતિપૂર્ણ વાતાવરણમાં નીજમંદિર પરત ફરી હતી.
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં જગન્નાથ રથયાત્રા શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં સંપન્ન થવા અંગે મુખ્યમંત્રીએ નાગરિકોનો આભાર વ્યકત કર્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદની ૧૪પમી જગન્નાથ રથયાત્રા સહિત રાજ્યભરમાં જુદા-જુદા સ્થાનોએ અષાઢી બીજના પાવન પર્વે યોજાયેલી રથયાત્રા સૌહાર્દભર્યા માહોલમાં સંપન્ન કરવામાં પ્રજાજનોના મળેલા સક્રિય સહયોગ માટે રાજ્યના નાગરિકો-પ્રજાજનોનો આભાર વ્યકત કર્યો છે. મુખ્યમંત્રીએ આ રથયાત્રા સમગ્ર રાજયમાં ઉમંગ અને ઉલ્લાસના વાતાવરણમાં તથા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થવાની સફળતામાં પોલીસ દળ અને વહીવટી તંત્રના પરિશ્રમ તેમજ કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા હતા.