નોંધનીય છે કે આ વર્ષે અમદાવાદમાં ભગવાન જગ્ન્નાથની 145મી રથયાત્રા (Rathyatra 2022) નીકળશે. ત્યારે રથયાત્રાની સુરક્ષા વ્યવસ્થા અંગે તંત્ર સાબદું થઈ ચૂક્યું છે. રામનવમીની શોભાયાત્રામાં જે હુમલા થયા હતા તેને ધ્યાનમાં રાખતા રથયાત્રા માટે વિશેષ સુરક્ષા બંદોબસ્ત ઉભો કરવામાં આવશે. સુરક્ષા વ્યવસ્થા અંગે ઝોન 2 અને ઝોન 3ની તમામ પોલીસ સાથે સિનિયર અધિકારીઓની બેઠક મળશે. બેઠકમાં સુરક્ષા વ્યવસ્થાને લગતા તમામ પાસાં પર ચર્ચા કરવામાં આવશે. કોરોના કાળ બાદ અમદાવાદમાં બે વર્ષ બાદ રથયાત્રાનો લોકોત્સવ યોજાશે. આ રથયાત્રાની સુરક્ષા માટે ડ્રોન સર્વેલન્સ (Drone surveillance) તેમજ ટેકનિકલ સર્વેલન્સ દ્વાર સુરક્ષા વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
નોંધનીય છે કે થોડા દિવસ અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંધવીએ જમાલપુર ખાતે આવેલા પ્રસિદ્ધ જગ્ન્નાથ મંદિરની મુલાકાત લીધી હતી અને રથયાત્રાની તૈયારીઓ અને સુરક્ષા વ્યવસ્થા અંગેની ચર્ચા વિચારણા કરી હતી. આ વર્ષે રથયાત્રા 1જૂલાઈ શુક્રવારના રોજ નીકળશે.
આ વર્ષે રથયાત્રાની વિશેષતા એ રહેશે કે ભગવાન માટે નવા રથનું નિર્માણ કરવામાં આવ્યું છે. અખાત્રીજના દિવસથી ભગવાન માટે નવા રથ બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. રથયાત્રા અગાઉ 14 જૂનના રોજ જગ્નાનથ મંદિરેથી જળયાત્રા નીકળશે અને સાબરમતી નદી સુધી જઈને ત્યાંથી 108 જળકુંભ ભરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે કોરોના કાળ દરમિયાન વર્ષોથી નીકલતી રથાયાત્રા નીકળી શકી ન હતી અને રથને માત્ર મંદિરના પ્રાંગણમાં જ ફેરવવામાં આવ્યા હતા જ્યારે 144મી રથયાત્રામાં ભકતજનોને જોડાવાની છૂટ ન હતી. આ વર્ષે હવે નિયતક્રમ પ્રમાણે રથયાત્રા નીકળવાની હોવાથી ભક્તજનો આનંદમાં છે