જગ્ન્નાથજીના (Jagannath rathyatra) મોસાળ સરસપુરમાં હવે ભગવાનના આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે અહીં છેલ્લી ઘડીની તૈયારીઓ સાથે રસોડા ધમધમી ઉઠ્યા છે ભગવાનના આગમન પહેલા સરસપુરમાં (Saraspur)બટુક ભોજન કરાવવામાં આવ્યું હતું ત્યાર બાદ જેમ જેમ લોકો આવતા ગયા તેમ તેમ ભક્તજનોનો જમણવાર શરૂ કરી દેવામાં આવ્યો હતો. આજે આશરે દોઢથી બે લાખ લોકો સરસપુરમાં ભોજન પ્રસાદનો લાભ લેશે. રથયાત્રિકોને જમાડવા માટે સરસપુરની લુહાર શેરી તેમજ અન્ય પોળમાં જંગી માત્રામાં ભોજન પ્રસાદ બનાવવામાં આવ્યો છે.
સરસપુર ભગવાનનું મોસાળ છે અને ત્યાં બુધવારથી જ રસોડાનું કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું હતું. પોળના અને અન્ય શેરીના લોકો અને મંડળના લોકો ભેગા મળી આખો દિવસ રસોઈ બનાવવાના કામમાં જોડાયા હતા. . સરસપુરમાં મોટા રસોડામાં કુલ 32 થી 35 હજાર લોકો અને નાના રસોડામાં 9થી 10 હજાર લોકો જમે તે રીતે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે. દરેક શેરી અને વાડમાં અલગ-અલગ વાનગીઓનો જમણવાર યોજવામાં આવે છે. મોટા ભાગે આ જણવારમાં બુંદી, મોહનથાળ, મગસ, પુરી અને ફૂલવડી, બટાકાનું શાક, ખીચડી અને કઢી જેવી વાનગીઓ પીરસવામાં આવે છે. અમદાવાદમાં વર્ષોથી સરસપુરમાં ભગવાન વિશ્રામ કરે છે અને સરસપુર વાસીઓ મોસાળિયા બનીને ભગવાનને પ્રેમથી આવકારે છે અને હોશે હોશે જમાડે છે.
કહેવત છે ને કે ‘મોસાળમાં જમણને મા પીસરનારી’ પરંતુ ભગવાન આવતા હોય ત્યારે મોસાળિયા પણ એટલા જ હરખઘેલા છે ને ભગવાનને મા જશોદા કે દેવકીની જેમ જ હોશે હોશે જમાડશે અને તેમના લાડકોડ પૂરાં કરશે. કહેવાય છે કે એક ભાણેજ જમે તે તેનું પુણ્ય 100 બ્રાહ્ણોને જમાડવા બરાબર છે ત્યારે અહીં તો ભગવાન પોતે જ મોટા ભાઈ અને બહેન સાથે પધારવાના હોવાથી સરસપુરમાં હરખની હેલી જોવા મળી રહી છે અને આબાલ વૃદ્ધ હોંશેહોંશે રસોડાની સેવામાં જોડાયા છે. રથયાત્રા સરસપુરમાં ભોજન અને વિશ્રામ કરીને નીજ મંદિર પરત આવવાના માર્ગે આગળ વધતી હોય છે.
સરસપુરમાં ભોજન વ્યવસ્થા વર્ષોથી થાય છે ત્યારે એક વિશેષતા એ પણ જોડાયેલી છે કે આટલા વર્ષોમાં કયારેય અહીં ભોજન ખૂટ્યું નથી. સરસપુરમાં રસોડાના સંચાલકના જણાવ્યા પ્રમાણે રથયાત્રાની આગલી રાત્રે બટાકાનું શાક બનાવવામાં આવે છે જેથી શાક બગડે નહીં. સમગ્ર ભોજન તૈયાર થઈ જાય એટલે બટુક ભોજન કરાવીને જેમ જેમ ભક્તો આવે તેમ તેમ તેમને જમાડવામાં આવે છે. આ સમગ્ર તૈયારીઓનો કેસ સ્ટડી કરવા માટે IIM અમદાવાદના વિદ્યાર્થીઓ પણ આવતા હોય છે.
Published On - 12:38 pm, Fri, 1 July 22