અમદાવાદમાં(Ahmedabad)1 જુલાઇના રોજ ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Rathyatra 2022) છે. ત્યારે સવારથી જ ભક્તોનું ઘોડાપૂર ભગવાનના દર્શન માટે ઉમટી પડશે. રથયાત્રામાં નગરજનો ભાવિક ભક્તો, અખાડા તેમજ વિવિધ ભજન મંડળીઓ જોડાશે. જેમાં પીએમ મોદીના હસ્તે જગન્નાથ મંદિરે પ્રસાદ મોકલવામાં આવ્યો હતો. આ પ્રસાદને ભાજપ નેતાઓ મંદિરે લઇને પહોંચ્યા છે. દર વર્ષે જગન્નાથ યાત્રાની પૂર્વ સંધ્યાએ પીએમ મોદી દ્વારા મોકલાયેલો પ્રસાદ ધરાવાય છે. આ પ્રસાદમાં અલગ અલગ ચાર ટોકરીમાં ડ્રાયફ્રૂટ, સુકા મેવાનો પ્રસાદ મોકલવામાં આવ્યો છે.
આ ઉપરાંત અમદાવાદમાં આવતીકાલે અષાઢી બીજે રથયાત્રા નીકળે તે પહેલા ભગવાન જગન્નાથને સોનાવેશ ધારણ કર્યો છે. યજમાનોએ પ્રભુના સોનાવેશ ની પૂજા કરી હતી. પ્રભુના સોનાવેશના દર્શન માટે જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. ભગવાનને આજે સોનાના આભૂષણોથી શણકારવામાં આવ્યા છે. પીળા વાઘા અને સોનાના ઘરેણાથી સજ્જ ભગવાન જગન્નાથનું સ્વરૂપ દેદીપ્યમાન લાગે છે. જેના દર્શન માટે શ્રદ્ધાળુઓ આખું વર્ષ રાહ જોતા હોય છે. પ્રભુ ભક્તિમાં ઓળઘોળ થયેલા શ્રદ્ધાળુઓએ પ્રભુના સોનાવેશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા માટે શહેર પોલીસ સજ્જ છે. અમદાવાદ પોલીસે રથયાત્રા રૂટ પર બંદોબસ્તનું ગ્રાન્ડ રિહર્સલ કર્યું હતું. રથયાત્રાના રૂટ પર ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવી પણ પગપાળા નીકળ્યા હતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી. આ દરમિયાન મુસ્લીમ સમુદાયે હાર પહેરાવીને ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીનું સ્વાગત કર્યું હતુ.મહત્વનું છે કે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને માટે આ વર્ષે પહેલીવાર પેરામોનિટરિંગ તથા હેલિકોપ્ટરથી રથયાત્રાનું નિરીક્ષણ કરાશે.હાઇટેક્નોલોજી સાથે 25 હજારથી વધુના પોલીસ જવાનો ખડેપગે રહેશે.તો સાથે જ પેરા મિલિટરી ફોર્સ સહિત SRP અને ચેતક કમાન્ડો પણ સંવેદનશીલ વિસ્તારમાં તૈનાત રહેશે.
અમદાવાદમાં ભગવાન જગન્નાથજી રથયાત્રા સૌથી વધુ પહિંદ વિધિ કરવાનો રેકોર્ડ તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદીના નામે છે. તેમણે વર્ષ 2002 થી વર્ષ 2013 સુધી 12 વર્ષ સુધી રથયાત્રાની પહિંદ વિધિ કરી છે. આ ઉપરાંત ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ, છબીલદાસ મહેતા, સુરેશ મહેતા, શંકરસિંહ વાઘેલા,અને આનંદીબહેન પટેલને રથયાત્રાની પહિન્દ વિધિ કરી રથયાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. જેમાં પૂર્વ સીએમ કેશુભાઈ પટેલે પણ 5 વખત પહિંદ વિધિ કરી છે. આનંદીબહેન પટેલ મુખ્યપ્રધાન પદે ત્રણ વખત રથયાત્રામાં પહિંદવિધિ કરીને રથયાત્રાનો શુભારંભ કરાવ્યો હતો. જ્યારે સીએમ તરીકે વિજય રૂપાણીએ પણ 5 વખત રથયાત્રાની પહિંદ વિધિ કરી છે. તેમજ આ વર્ષે સીએમ ભૂપેન્દ્ર પટેલ કોરોના ગ્રસ્ત થતાં તેવો રથયાત્રાની પહિંદ વિધિ કરી શકશે નહિ. તેમના સ્થાને રથયાત્રાની પહિંદ વિધિ કોણ કરશે તેની સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
Published On - 10:54 pm, Thu, 30 June 22