હવે વંદે ભારત ટ્રેનના ટ્રેક વચ્ચે નહીં આવે ઢોર, અમદાવાદથી મુંબઇ જતી વંદે ભારત ટ્રેનના રૂટ પર લગાવાઇ રહી છે પ્રોટેક્શન વોલ
Ahmedabad News : વંદે ભારત ટ્રેનની શરૂઆત 30 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં વંદે ભારત એક્સપ્રેસ અનેક વખત દુર્ઘટનાગ્રસ્ત થઈ છે અને મોટા ભાગે આ ટ્રેનની સામે પશુના અથડાવાને કારણે જ અકસ્માત થયા છે.
વંદે ભારત ટ્રેન શરૂ થઇ છે ત્યારથી રખડતા ઢોરનો ત્રાસ માથાના દુખાવા સમાન બની ગયો છે. તેથી જ હવે તંત્રએ તેનો તોડ શોધી લીધો છે. અમદાવાદથી મુંબઇ જતી વંદે ભારત ટ્રેનના રૂટ પર પ્રોટેક્શન વોલ લગાવવામાં આવી રહી છે. આ વોલના કારણે રખડતા ઢોર રેલવે ટ્રેકની વચ્ચે આવતા અટકી જશે. અત્યાર સુધી અમદાવાદથી વડોદરા સુધી પ્રોટેક્શન વોલ લાગી ગઇ છે. હવે તેની આગળની કામગીરી ચાલી રહી છે. આ પ્રોટેક્શન વોલ લોખંડની અને ઊંચાઇ વાળી બનેલી છે. તેથી ટ્રેકની વચ્ચે ઢોર આવી શકશે નહીં અને સવારી વધુ સુરક્ષિત રહેશે.
વંદે ભારત ટ્રેન શરૂ થયા બાદ થયા અનેક અકસ્માત
વંદે ભારત ટ્રેનની શરૂઆત 30 સપ્ટેમ્બરના રોજ કરવામાં આવી હતી ત્યારથી માંડીને અત્યાર સુધીમાં વંદે ભારત એક્સપ્રેસ અનેક વખત દુર્ઘટનાગ્રસ્ત થઈ છે અને મોટા ભાગે આ ટ્રેનની સામે પશુના અથડાવાને કારણે જ અકસ્માત થયા છે. વંદે ભારત ટ્રેનની અવારનવાર દુર્ઘટનાનો ભોગ બનતા આ સ્વદેશી ટ્રેનની છબી ખરડાઈ છે. વંદે ભારત ટ્રેનની શરૂઆત 30 સપ્ટેમ્બરે થયા બાદ પ્રારંભના માત્ર 9 દિવસમાં ત્રણ અકસ્માત સર્જાયા હતા.
વંદે ભારત સાથે થયેલી અકસ્માતની ઘટનાઓ
6 ઓક્ટોબરના રોજ ગાંધીનગરથી રવાના થયેલી વંદે ભારત એક્સપ્રેસને અમદાવાદ નજીકના મણિનગરથી વટવા જતા રેલ્વે સ્ટેશન પાસે અકસ્માત નડ્યો હતો. 7 ઓક્ટોબરના રોજ આણંદ સ્ટેશન ખાતે ગાય સાથે અથડાઇ હતી. સાવચેતીના ભાગ રૂપે એન્જિન ડ્રાઇવરે સ્પીડ કંટ્રોલમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. પણ ગાય ખૂબ નજીક હોવાથી ટ્રેન સાથે ટક્કર થઈ ગઈ હતી.
8 ઓક્ટોબર-આણંદ અને બોરીયાવી કણજરી વચ્ચે ટ્રેક પર ગાય આવી જતા અકસ્માત સર્જાયો. 29 ઓક્ટોબર- વલસાડ પાસે ટ્રેનને અકસ્માત નડ્યો હતો. 8 નવેમ્બર- આણંદમાં વંદે ભારત ટ્રેને એક મહિલાને અડફેટે લેતા મહિલાનું મોત નિપજ્યું હતું. આણંદના ભાલેજ ઓવરબ્રિજ પાસે આ ઘટના બની હતી. 1 ડિસેમ્બર- વલસાડના સંજાણ અને ઉદવાડા પાસે અકસ્માત થયો. ત્યારબાદ અકસ્માતનો સિલસિલો યથાવત જ જોવા મળે છે.
આ ટ્રેનનો અકસ્માત સૌથી વધુ પશુઓ સાથે થયો હતો. જેના પગલે પશુ માલિકો સામે ફરિયાદ નોંધાઈ હતી. તેમજ રેલવે પ્રશાસને પણ ટ્રેનનો અકસ્માત રોકવા કાર્યવાહીની વાત પણ કરી હતી, પરંતુ જમીની હકીકત પર કોઈ કાર્યવાહી ન થતા સ્વદેશી વંદે ભારત ટ્રેનની આબરૂનું વધુ એકવાર ધોવાણ થયું હતું.