ભારતના પ્રધાનમંત્રી Narendra Modi વધુ એક વખત ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસે આવી રહ્યા છે, જ્યાં તેઓ વિવિધ વિકાસપ્રધાન કાર્યક્રમોમાં ભાગ લેશે અને રાજ્યને નવી ભેટો આપશે. આગામી 31 માર્ચે ગુજરાતના આ પ્રવાસ દરમિયાન PM મોદીની હાજરીમાં ગાંધીનગર, સાણંદ અને બનાસકાંઠાના ડીસા ખાતે ત્રણ મહત્વપૂર્ણ કાર્યક્રમો યોજાનાર છે, જે ધાર્મિક, ઔદ્યોગિક અને માળખાગત વિકાસને સ્પર્શે છે.
સવારે 10:00 વાગ્યે ગાંધીનગરના કોબા વિસ્તારમાં પ્રધાનમંત્રી ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું ઉદ્ઘાટન કરશે. આ સંગ્રહાલય જૈન મુનિ પદ્મસાગર સૂરીશ્વરજીના આશીર્વાદ અને પ્રેરણાથી તૈયાર કરવામાં આવ્યું છે. મુનિએ પોતાના જીવનકાળમાં આશરે 2.5 લાખ કિલોમીટર પદયાત્રા કરીને એક અનોખો ઇતિહાસ રચ્યો છે. સંગ્રહાલયમાં તેમની હસ્તપ્રતો, વિજ્ઞપ્તિ પત્રો તેમજ જૈન ધર્મ અને કળાના દુર્લભ સંગ્રહનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી હજારો જૈન ભક્તોને સંબોધિત કરશે.
ત્યારબાદ બપોરે 12:30 વાગ્યે પ્રધાનમંત્રી સાણંદ ખાતે કેયન્સ (Kaynes) સેમિકોન ઉત્પાદન પ્લાન્ટનું લોકાર્પણ કરશે. સપ્ટેમ્બર 2024માં ₹3,300 કરોડના રોકાણ સાથે મંજૂર કરાયેલ આ પ્લાન્ટ ઓટોમોટિવ અને ઔદ્યોગિક ક્ષેત્રો માટે અત્યંત મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ પ્લાન્ટમાં દરરોજ આશરે 60 લાખ ચિપ્સનું ઉત્પાદન કરવાની ક્ષમતા છે, જે ભારતને સેમિકોન ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાના પ્રયાસોને મજબૂત બનાવશે. અહીં પણ પ્રધાનમંત્રી જનસભાને સંબોધિત કરશે.
સાંજે 4:00 વાગ્યે પ્રધાનમંત્રી બનાસકાંઠાના ડીસા તાલુકાના નાણી ગામ ખાતે એક વિશાળ જનસભાને સંબોધશે. આ કાર્યક્રમ દરમિયાન ઉત્તર ગુજરાતના સર્વાંગી વિકાસ માટે ₹25000 કરોડથી વધુના વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે. આ યોજનાઓમાં રોડ, પાણી, વીજળી અને અન્ય સુવિધાઓનો સમાવેશ થાય છે, જે વિસ્તારના વિકાસને નવી દિશા આપશે.
આ તમામ કાર્યક્રમો પૂર્ણ કર્યા બાદ પ્રધાનમંત્રી મોદી સાંજે અંદાજે 5:30 વાગ્યે ડીસાથી સીધા અસમ માટે રવાના થશે. આ પ્રવાસ ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે.