તીસ્તા સેતલવાડ (Teesta Setalvad)ના જામીન પર આવતીકાલે બપોરે 2 વાગ્યે સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત રમખાણો (Riots)ના સંબંધમાં કાવતરું ઘડવા બદલ તે લગભગ અઢી મહિનાથી જેલમાં છે. તીસ્તા સેતલવાડ તરફથી હાજર રહેલા એડવોકેટ કપિલ સિબ્બલે દલીલ કરી હતી કે તેમની સામેની FIR સુપ્રીમ કોર્ટની ટિપ્પણીના આધારે કરવામાં આવી છે. તેની સામે કોઈ પુરાવા નથી. 24 જૂને સુપ્રીમ કોર્ટે તેના ચુકાદામાં તીસ્તા સેતલવાડ વિરુદ્ધ ટિપ્પણી કરી હતી. બીજા જ દિવસે તેની સામે FIR નોંધવામાં આવી હતી.
તીસ્તા સેતલવાડના જામીન પર બંને પક્ષોએ ઉગ્ર દલીલો કરી હતી. ગુજરાત સરકાર તરફથી હાજર રહેલા સોલિસિટર જનરલ તુષાર મહેતાએ જામીન અરજી સામે દલીલ કરી હતી. પરંતુ સુપ્રીમ કોર્ટ તેમની દલીલોથી સંતુષ્ટ ન હતી. જ્યારે તીસ્તા વતી વકીલ કપિલ સિબ્બલે દલીલ કરવાનું શરૂ કર્યું તો એસજી તુષાર મહેતાએ કહ્યું કે મારો વાંધો સીધો સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરવામાં છે. ત્યારે સુપ્રીમ કોર્ટે પૂછ્યુ કે તમે એવુ કહેવા માંગો છો કે મામલો હાઈકોર્ટમાં પેન્ડિંગ છે.
સુપ્રીમ કોર્ટે ગુજરાત સરકારના વકીલ એસજી તુષાર મહેતાને પૂછ્યું કે FIR કયા આધાર પર નોંધવામાં આવી છે. તમારી પાસે કઈ સામગ્રી છે? કસ્ટડી દરમિયાન પૂછપરછ દરમિયાન કંઈ મળ્યું? સુપ્રીમ કોર્ટે પૂછ્યુ કે સામાન્ય IPCના આરોપો છે તો જામીન કેમ ન આપવા જોઈએ? ખાસ કરીને મહિલાના કેસમાં જ્યારે અઢી મહિનાથી જેલમાં જ છે.
CJIએ કહ્યું કે મહિલાના જામીન મામલે કેવા પ્રકારની પેટર્ન હોવી જોઈએ. હાઈકોર્ટની જામીન માંગણી પર છ સપ્તાહમાં જવાબ માંગવો યોગ્ય ગણી શકાય? CJIએ કહ્યું કે તમે અમને તમારી દલીલોમાં ચાર પાસાઓ જણાવ્યા છે, તે સચોટ નથી. જો આપણે નીચલી કોર્ટથી સીધા સુપ્રીમ કોર્ટમાં આવતા કેસો દૂર કરવાનું શરૂ કરીએ તો કેન્દ્ર સરકારના મોટાભાગના કેસ અહીં આવે છે.
એસજી મહેતાએ જણાવ્યુ કે આ કોઈ વિશેષ કેસ છે કે તે સીધા સુપ્રીમમાં આવી ગયા. આ અરજી સુનાવણી કરવા યોગ્ય નથી. કોર્ટે મેરિટ પર ન જતા આ કેસને વિશેષ દરજ્જો આપી વ્યવહાર ન કરવો જોઈએ. આ મામલે હાઈકોર્ટને નિર્ણય લેવા દેવો જોઈએ. એસજીએ કહ્યું કે હું મેરિટ પર નથી જઈ રહ્યો. અરજદારે ગુજરાતમાં રમખાણો બાદ સમગ્ર રાજ્યના વહીવટીતંત્રને બદનામ કર્યું હતું. 9 મુખ્ય કેસોમાંનો એક ગુલબર્ગ સોસાયટીમાં બન્યો હતો, જેમાં કોર્ટ દ્વારા SITની રચના કરવામાં આવી હતી.
સુપ્રીમ કોર્ટે કહ્યું, ‘શું ગુજરાત હાઈકોર્ટ આ રીતે જ કામ કરે છે?’ CJI એ કહ્યું કે તે મહિલા છે અને હાઈકોર્ટને તે ધ્યાન રાખવુ જોઈએ. સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે 3 ઓગસ્ટે જામીન અરજી પર નોટિસ જાહેર કરી હતી અને 6 અઠવાડિયામાં જવાબ માંગ્યો હતો. જામીન કેસમાં જવાબ દાખલ કરવા માટે આટલો સમય આપવામાં આવ્યો છે? CJI એ કહ્યું કે તમારી આ બધી દલીલો પછી પણ આ કોઈ સામગ્રી આરોપી વિરુદ્ધ સ્પષ્ટ નથી થતી. એસજીએ કહ્યું કે સીઆરપીસીની કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટે બે સાક્ષીઓના નિવેદન લીધા છે.
Published On - 6:46 pm, Thu, 1 September 22