આજથી નવરાત્રીનો (Navratri 2022) પ્રારંભ થઇ ગયો છે. યુવા હૈયાઓ ગરબાના તાલે ઝુમવા થનગની રહ્યા છે. જો કે બીજી તરફ વરસાદ (Rain) તેમની માટે વિલન બનીને આવ્યો છે. ચોમાસુ (Monsoon 2022) ગુજરાતમાંથી ક્રમશ: વિદાય લઇ રહ્યુ છે. ત્યારે જતા જતા તે ગુજરાતના અને વિસ્તારોમાં નવરાત્રીના શોખીનોની મજા બગાડતુ જઇ રહ્યુ છે. અમદાવાદમાં (Ahmedabad) નવરાત્રીને લઇને યુવાધન હિલોળે ચઢેલુ છે. ત્યારે આજે અમદાવાદના અનેક વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા છે. જેને કારણે ખેલૈયાઓના મનમાં ચિંતાનું મોજુ ફરી વળ્યુ છે.
અમદાવાદમાં નવરાત્રીના પ્રથમ દિવસે જ વરસાદી વિઘ્ન જોવા મળ્યુ છે. અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. શહેરના પૂર્વ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ઈસનપુર, મણિનગર, વસ્ત્રાલમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે. નોરતાના પ્રથમ દિવસે વરસાદથી ખેલૈયાઓ સહિત આયોજકોમાં ચિંતા વ્યાપી ગઇ છે.
ગીર સોમનાથ જિલ્લામાં નવરાત્રીના પ્રથમ દિવસે વરસાદ વિઘ્ન બનીને આવ્યો છે. ઉના, સૂત્રાપાડાના લોઢવા સહિતના દરિયાકાઠા વિસ્તારમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ઉનાના અનેક વિસ્તારોમાં અડધો કલાકમાં એક ઈંચ વરસાદ ખાબક્યો છે. તો સૂત્રાપાડાના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. કોડીનારના દરિયા કાંઠે પણ વરસાદના હળવા ઝાપટાં પડ્યા છે. તો અમરેલી જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. અમરેલીના ખાંભા, ગીર પંથકના વાતાવરણમાં સવારથી જ વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ હતુ. જે પછી ગીરના ગામડાઓમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે.
ક્રમશ: વિદાય લેતા ચોમાસાને લઇને રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી આપી છે. રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ રહેશે. આગામી ત્રણ દિવસ સુધી સૌરાષ્ટ્રમાં મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં સામાન્યથી મધ્યમ વરસાદનું હવામાન વિભાગનું અનુમાન છે. તેમજ અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે.